ફિલ્મના શૂટિંગ વખતે નાવ પલટીઃ અભિનેતા-ક્રૂનો આબાદ બચાવ

શિવમોગાઃ કન્નડ ફિલ્મ કંતારા-ચેપ્ટર ૧ના શૂટિંગ દરમિયાન કર્ણાટકમાં એક નાવ જળાશયમાં પલટી ગઇ હતી. પરંતુ અભિનેતા-દિગ્દર્શક ઋષભ શેટ્ટી અને ૩૦ ક્રૂ સભ્ય સુરક્ષિત બચી ગયા હતા. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી, એમ અહીંની પોલીસે માહિતી આપી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના શિવમોગા જિલ્લાના મસ્તી કટ્ટે વિસ્તારમાં મણિ જળાશયમાં ફિલ્માંકન દરમિયાન બની હતી. આ દુર્ઘટના જળાશયના છીછરા વિસ્તારમાં બની હતી. જે સ્થાનિક રીતે મેલિના કોપ્પા તરીકે ઓળખાતા વિસ્તારની નજીક છે. જેના કારણે સંભવિત દુર્ઘટના ટળી હતી.
જો કે કેમેરા અને અન્ય ફિલ્માંકન સાધનો પાણીમાં ખોવાઇ ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. નુકસાનનું મૂલ્યાંકન હજુ બાકી છે. ઘટનાસ્થળે પહોંચેલી તીર્થહલ્લી પોલીસના જણાવ્યા અનુસાર બોટ પર સવાર લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. પોલીસ તપાસ કરી રહી છે.
થિયેટર કલાકાર રામદાસ પૂજારીએ જણાવ્યું કે દક્ષિણ કન્નડના આત્માઓ પર ફિલ્મો બનાવવી હંમેશા જોખમ ભરેલું હોય છે. કારણ કે આત્માઓ(ભૂત-દેવ) તેમની સાથે સંબંધિત કોઇપણ પ્રવૃતિનું વ્યાપારીકરણ પસંદ કરતા નથી.
એક વરિષ્ઠ ક્રૂ સભ્યએ જણાવ્યું કે હોડી પલટી જતાં કેટલાક ક્રૂ મેમ્બર ગભરાઇ ગયા હતા, પરંતુ તે છીછરા પાણીમાં હોવાથી બધા સુરક્ષિત રીતે બચી ગયા હતા. તેમણે જણાવ્યું કે આ દર્શાવે છે કે આત્માઓએ અમને કોઇ રીતે આશીર્વાદ આપ્યા છે.
આ પણ વાંચો - મારી બહેનો અને દીકરીએ હિન્દુ સાથે લગ્ન કર્યા છે, આ લવજેહાદ છે? આમિરનો સીધો સવાલ
આ ઘટના કંતારાઃ ચેપ્ટર ૧ માટે વધુ એક આંચકો છે, જે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓની શ્રેણીથી ઝઝૂમી રહ્યું છે. ગયા મહિને જ પ્રોડક્શન ટીમે અસંબંધિત ઘટનાઓમાં ત્રણ કલાકારો ગુમાવ્યા હતા. જેના કારણે ફિલ્મના ક્રૂ સામેના પડકારોમાં વધારો થયો છે.