Happt Birthday: હીરો બનવા આવેલા ને ખુંખાર વિલન બની ગયા…

મુંબઈ: બોલીવૂડની ફિલ્મોમાં એક-એકથી ચડિયાતા વિલનની ભૂમિકા ભજવનાર અમરીશ પુરીથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે તેઓ વિલન નહીં, હીરો બનવા આવ્યા હતા. આ દિવંગત અભિનેતાનો આજે 93મો જન્મદિવસ છે. ત્યારે આવો તેમની ફિલ્મી કરિયર વિશેની કેટલીક જાણી-અજાણી રસપ્રદ વાતો જાણીએ.
અમરીશ પુરીએ કરી ઈન્શ્યોરન્સ કંપનીની નોકરી
પંજાબના નવા શહેરમાં 22 જૂન 1932ના રોજ જન્મેલા અમરીશ પુરીએ તેમના માતા-પિતાનું ત્રીજુ સંતાન હતા. તેમના ભાઈ મદન પુરી અને ચંદન પુરીએ તેમની પહેલાથી જ ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરી દીધી હતી. 1967માં અમરીશ પુરીએ 39 વર્ષની ઉંમરે ફિલ્મજગતમાં પગ મૂક્યો હતો. તેઓ શરૂઆતમાં હીરો બનવા માંગતા હતા. પરંતુ તેઓને વારંવાર રિજેક્ટ કરવામાં આવતા હતા. જેથી તેમણે ગુજરાન ચલાવવા માટે ઈન્શ્યોરન્સ કંપનીની નોકરી પણ શરૂ કરી દીધી હતી.
તારો ચહેરો હીરો જેવો નથી
પોતાને હીરો તરીકે કામ અપાવવા માટે અમરીશ પુરીએ ભાઈઓને પણ વાત કરી હતી. પરંતુ તેમના ભાઈઓએ તેમને કામ અપાવવાની સ્પષ્ટ ના પાડતા કહ્યું હતું કે, “તારો ચહેરો હીરો જેવો નથી.” પરંતુ હીરો જેવો ચહેરો ન ધરાવતા અમરીશ પુરીનું વિલન તરીકે નસીબ ચમક્યું. જેણે તેમને બોલીવૂડના સૌથી વધુ ફી વસૂલતા વિલન બનાવી દીધા. જોકે વિલન તરીકે પણ સફળતા મેળવવા માટે તેઓને 10 વર્ષ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. 1967માં તેમણે મરાઠી ફિલ્મ ‘શંતતુ! કોર્ટ ચાલુ આહે’થી ફિલ્મી પડદે પદાર્પણ કર્યું હતું. આ ફિલ્મમાં તેમણે ટ્રેનના કોચમાં ગીત ગાતા આંધળા વ્યક્તિનું પાત્ર ભજવ્યું હતું.

બહું મોડી થઈ મોગેમ્બોના રોલની ઓફર
મોગેમ્બો ખુશ હુવા…મિ. ઈન્ડિયા ફિલ્મના અમરીશ પુરીના આ ડાયલોગે અબાલવૃદ્ધ સૌ પર અલગ છાપ છોડી છે. મોગેમ્બોના કિરદારમાં તેઓ ઘણા ખુંખાર લાગતા હતા. પરંતુ આ ફિલ્મમાં તેઓ વિલન તરીકે ફિલ્મ નિર્માતાની પહેલી પસંદ ન હતા. મોગેમ્બોની ભૂમિકા માટે પહેલા અનુપમ ખેરની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ ફિલ્મની શુટિંગના થોડા દિવસો બાદ અમરીશ પુરીને મોગેમ્બો બનાવવા માટે ઓફર કરવામાં આવી હતી.
મોગેમ્બોના પાત્રની ઓફર મળવાથી અમરીશ પુરી આશ્ચર્યમાં પડી ગયા હતા. આ અંગે તેમણે પોતાની આત્મકથા ‘એક્ટ ઓફ લાઈફ’માં પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે, ”જ્યારે શેખર કપૂરે મને આ રોલની ઓફર કર્યો, ત્યારે ફિલ્મનું 60 ટકા શુટિંગ પૂરૂ થઈ ગયું હતું. મને થોડી શંકા હતી. મારા મનમાં થયું કે તેઓને હમણા મારા વિશે વિચાર આવ્યો.”

અમરીશ પુરીએ હોલીવૂડમાં પણ કર્યું કામ
ઉલ્લેખનીય છે કે, અમરીશ પુરીએ વિલનના નકારાત્મક પાત્ર ભજવવાની સાથોસાથ અન્ય હકારાત્મક પાત્રો પણ ભજવ્યા છે. ‘દિલવાદે દુલ્હનીયા લે જાયેગે’ ફિલ્મનો ‘જા સિમરન જા જીલે અપની જિંદગી’ ડાયલોગ યાદગાર છે. આ સિવાય તેમણે રિચાર્ડ એટનબરોની ફિલ્મ મહાત્મા ગાંધીના જીવન પર આધારીત ફિલ્મ ‘ગાંધી’માં પણ કામ કર્યું હતું. તેમણે હોલીવૂડની ફિલ્મ ‘ઈન્ડિયાના જોંસ’ ફિલ્મમાં મૂલા રામનું પાત્ર ભજવ્યું હતું.