રામ ચરણની ફિલ્મ The India Houseના સેટ પર એક્સિડન્ટ, શૂટિંગ રોકી દેવાઈ, અનેક ઘાયલ…

સાઉથના સુપરસ્ટાર રામ ચરણની આગામી ફિલ્મ ધ ઈન્ડિયા હાઉસના સેટથી એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે, જેને કારણે ફિલ્મનું શૂટિંગ પણ રોકી દેવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ હૈદારબાદના શમશાબાદ વિસ્તારમાં શુટિંગ દરમિયાન પાણીની ટાંકી ફાટતા પૂર જેવી સ્થિતિ પેદા થઈ હતી અને આ દુર્ઘટનામાં સેટ પર હાજર ક્રૂ મેમ્બર્સ અને કેમેરામેન ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે પાણીના વહેણમાં સેટ પરનો સામાન અને લોકો વહી ગયા હતા.
આ દુર્ઘટના કઈ રીતે થઈ એના વિશે વાત કરીએ તો ફિલ્મનું એક્શન સિક્વન્સ સમુદ્ર કિનારા પર શૂટ કરવામાં આવવાનું હતું અને ત્યારે અચાનક પાણીની ટાંકી ફાટી હતી. પાણીનું દબાણ એટલું હતું કે આખો સેટ પાણી પાણી થઈ ગયો અને પૂર જેવી પરિસ્થિતિ પેદા થઈ હતી.
મળતી માહિતી મુજબ આ ઘટનામાં સેટ પર હાજર આસિસ્ટન્ટ કેમેરામેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને બીજા ક્રુ મેમ્બર્સે જેમ તેમ પોતાનો જીવ બચાવ્યો હતો, પણ નાની મોટી ઈજાઓ થઈ છે. ઈજાગ્રસ્ત લોકોને હૈદરાબાદની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હાલમાં સુરક્ષાના કારણોસર ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે.
આ દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં ક્રુ મેમ્બર્સ બચી ગયેલો સામાન ઉઠાવતા અને તેને શિફ્ટ કરતાં જોવા મળી રહ્યા છે. આખો સેટ પાણી પાણી થઈ ગયો હતો અને પાણીને કારણે સેટ પર ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે, હજી સુધી એ માહિતી નથી મળી રહી કે દુર્ઘટના સમયે ફિલ્મના લીડ એક્ટર નિખિલ સિદ્ધાર્થ સેટ પર હતા કે નહીં.
બીજી બાજુ શમશાબાદ પોલીસને આ ઘટનાની કોઈ માહિતી આપવામાં આવી નથી, એટલે પોલીસ દ્વારા આ બાબતે કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધ ઈન્ડિયા હાઉસ ફિલ્મ સુપર સ્ટાર રામ ચરણ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી પહેલી ફિલ્મ છે અને એની જાહેરાત 2023માં સ્વતંત્રતા સંગ્રામ સેનાની વીર સાવરકરની 140મી જયંતી પર કરવામાં આવી હતી.
આપણ વાંચો: Ahmadabad plane crash: ગૃહ પ્રધાન અમિત શાહે CM પટેલ સાથે વાત કરી, NDRFની 3 ટીમો તૈનાત
ફિલ્મની જાહેરાત બાદથી જ ધ ઈન્ડિયા હાઉસને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ આ દુર્ઘટનાને કારણે મેકર્સ અને ફેન્સમાં ચિંતા જોવા મળી રહી છે. શૂટિંગ રોકી દેવામાં આવતા ફિલ્મની રિલીઝ ડેટ પર પણ અસર જોવા મળશે, એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.