મનન: સનાતન સંસ્કૃતિની અકલ્પ્ય સમૃદ્ધિ

હેમંત વાળા
સનાતની સંસ્કૃતિમાં જે જે સંભાવનાઓ છે તે વિશે મોટાભાગના લોકોને જાણ નથી. છ પ્રકારના દર્શન છે, એક સો આઠ જેટલા ઉપનિષદો છે, ચાર વેદ તથા ચાર ઉપવેદ છે, અઢાર પુરાણો છે, ચોસઠ કળાની વાત છે, મહાભારત-રામાયણનો ઇતિહાસ છે, ગીતા પણ ત્રીસ જેટલી છે, સ્વયમ શ્રીકૃષ્ણએ બે ગીતા કહે છે – ભગવત ગીતા અને ઉદ્ધવ ગીતા, અને આ સિવાય બ્રહ્મસૂત્ર, શિવસૂત્ર, વિવેક ચુડામણી, ત્રિપુરા રહસ્ય, યોગવાશિષ્ઠ, વિજ્ઞાન ભૈરવ જેવાં શાસ્ત્રો તો ખરાં જ. રુચિ પ્રમાણે વ્યક્તિને જે તે શાસ્ત્રને અનુસરવાની છૂટ છે. સનાતની સંસ્કૃતિએ ક્યારેય એમ નથી કીધું કે બસ આ એક જ.
કોઈ દ્વૈતવાદ અનુસરે તો કોઈ અદ્વૈત, કોઈ વિશિષ્ટ અદ્વૈતમાં શ્રદ્ધા રાખે તો કોઈક દ્વૈતાદ્વૈત પ્રમાણે આગળ વધે. કોઈ આત્માને જ ઈશ્વર માની તેની અનુભૂતિ – તેની પ્રતીતિ માટે સાધના કરી શકે તો કોઈ આત્મા ઉપરાંત ઈશ્વર કહી શકાય તેવી અન્ય શક્તિ છે તેમ માની તે પ્રમાણે ભક્તિ પણ કરી શકે. નારદમુનિ દ્વારા ધ્રુવને ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર દીક્ષા અપાય છે તો તે જ નારદમુનિ દ્વારા, મુક્તિ માટે વાલિયા લુંટારાને રામ નામનો મંત્ર સૂચિત કરાય. આ એક મજાની ઘટના છે. આનાથી એમ સ્થાપિત થાય છે કે દરેક વ્યક્તિ માટે કોઈ ચોક્કસ સાધન વધુ યોગ્ય રહે. એક ગીતાનું ઉદાહરણ લેતા સમજાય જશે કે આધ્યાત્મના માર્ગે જવા માટે કેટલી ભિન્ન ભિન્ન લાગતી સંભાવનાઓ
પ્રકાશિત છે.
મજાની વાત એ છે કે સનાતની સંસ્કૃતિમાં સાવજ વિપરીત બાબતોને પણ સમાન સ્થાન મળ્યું છે. એક વિચારધારા એમ જણાવે કે સમગ્ર સર્જનનું મૂળ તે બ્રહ્મ છે, તો અન્ય વિચારધારા પ્રમાણે સૃષ્ટિના સર્જનનું મૂળ તત્ત્વ પદાર્થ છે – કણ છે. આ બંને વિચારધારા માન્ય છે. કોઈ ક્રિયાકાંડથી દરેક પ્રકારની ઇચ્છિત બાબત પ્રાપ્ત થઈ શકે છે એમ માની શકે તો કોઈક ઈચ્છાની પૂર્તિતા માટે તપ કરી શકે. સનાતની સંસ્કૃતિમાં જે સ્થાન યોગીનું છે તે જ સ્થાન જ્ઞાની નું છે, જે સ્થાન ભક્તનું છે તે જ સ્થાન કર્મસ્થનું છે. જે સ્થાન વિષ્ણુનું છે તે જ સ્થાન શિવ અને જગદંબાનું છે. તે જ બ્રહ્મ છે.
ઉપાસનાના દરેક સ્વરૂપ અહીં માન્ય છે. ભક્તિ પણ નવ પ્રકારે થઈ શકે છે. જપયજ્ઞ માટે મંત્રની સંખ્યા પણ કદાચ લાખોમાં છે. ઈશ્વરના જે તે સ્વરૂપને પણ વ્યક્તિ પોતાની રુચિ પ્રમાણે પસંદ કરી શકે છે. જેમ ભૌતિક સામગ્રીથી પૂજા પાઠ કરી શકાય તેમ માનસિક પૂજાપાઠ પણ તેટલી જ માન્યતા પામે છે. અહીં તો અશ્વત્થ વૃક્ષની પૂજા પણ માન્ય છે, અને નાગદેવતાની પણ. અહીં ઐરાવતને પણ વિભૂતિ ગણાય છે અને ઉચ્ચૈશ્રવાને પણ.
આ પણ વાંચો….મનનઃ કુસંગનો સદાય ત્યાગ કરવો
આ એક જ સંસ્કૃતિ છે જેમાં વ્યક્તિ ઈશ્વરને મિત્ર તરીકે સ્થાપી શકે છે, પુત્ર તરીકે ચાહી શકે છે, પતિ તરીકે પામી શકે છે, અને ઈશ્વર તરીકે તો આરાધી જ શકે છે. આટલા વિકલ્પો ત્યારે જ મળી શકે જ્યારે એક આદર્શ વિચારધારા પ્રમાણે સમાજનો વિકાસ થયો હોય. આટલા વિકલ્પો સમાજ ત્યારે જ સ્વીકારી શકે જ્યારે તેને માનવીની પરિપક્વતા માટે વિશ્વાસ હોય. સમાજની દરેક વ્યક્તિ માટે આટલી સંભાવના ત્યારે જ પ્રસ્તુત કરવામાં આવે જ્યારે આ સંભાવના જરૂરી હોય.
સનાતનની સંસ્કૃતિમાં સત્યની શોધ સૌથી મહત્ત્વની ગણાય છે. જો ભાવાત્મક સંબંધથી સત્ય જાણી શકાતું હોય તો તે પણ માન્ય છે, જો તર્કબદ્ધ વિચારોથી સત્ય સુધી પહોંચી શકાતું હોય તો તે પણ માન્ય છે, જો યોગ સાધનાથી સત્યની પ્રતીતિ થઈ શકતી હોય તો તે પણ માન્ય છે, જો નિષ્કામ કર્મથી સત્યનો માર્ગ ઉજાગર થતો હોય તો તે માટે પણ કોઈને વાંધો નથી.
જે વ્યક્તિ દયા દાન કરવા સમર્થ હોય અને તે માટે તૈયાર હોય તો તેના માટે તે યોગ્ય માર્ગ છે. કોઈ વ્યક્તિ જંગલમાં જઈને, બધાનો ત્યાગ કરીને, સંન્યાસ ધારણ કરીને મુક્તિ માટે પ્રયત્ન કરવા માગતો હોય તો તે પણ યોગ્ય છે. રાજા જનકની જેમ સંસારમાં રહીને, કૌટુંબિક ધર્મ નિભાવતાં નિભાવતાં નિર્લેપ રહીને આત્મસ્થ રહી શકતો હોય તો તે પણ માન્ય છે. મંડન મિશ્રની જેમ કોઈકને શાસ્ત્રીય ક્રિયાકાંડમાં શ્રદ્ધા હોય તો એ મુજબના રસ્તે પણ જઈ શકાય છે. સંત જલારામની જેમ ભૂખે કો અન્ન દે અથવા ટુકડામાંથી ટુકડો આપવા માટે કાર્યરત થઈ ઈશ્વરની આરાધના કરી શકે છે. આધ્યાત્મની સનાતન વિચારધારામાં, જ્યાં સુધી બીજાને નડતરરૂપ થયા વગર, માત્રને માત્ર સાત્ત્વિક આશયથી, પોતાની પરમ તથા પૂર્ણ સ્થિતિ માટે પ્રયત્ન કરવામાં આવે ત્યાં સુધી દરેક માર્ગ માન્ય છે.
સનાતની સંસ્કૃતિમાં પ્રશ્ન માર્ગનો નથી અંતિમ મુકામનો છે. જ્યાં સુધી આધ્યાત્મના ક્ષેત્રમાં આગળ વધવાની સંભાવના હોય, ત્યાં સુધી કોઈપણ વિચારધારા માટે બાધ નથી. અહીં શ્રીકૃષ્ણની વાંસળી પણ છે અને સુદર્શન ચક્ર પણ છે. અહીં શિવજીના મસ્તકે પવિત્ર ગંગા પણ છે અને કંઠે વિષધર પણ છે. અહીં મા સરસ્વતીના ધવલ રસ સાથે મા કાલીનો શ્યામ રસ પણ છે. અહીં એકમાત્ર બ્રહ્મ પણ છે અને દેવતાઓની શૃંખલા પણ છે. અહીં બ્રહ્મા-વિષ્ણુ-મહેશની ભિન્નતા છે તો સાથે સાથે એક સદગુરુની અંદર સમાયેલ આ ત્રણેય શક્તિ છે.
એમ કહેવાય છે કે, વ્યક્તિ જે માર્ગે જ્યાં પહોંચ્યો હોય, ત્યાંથી પરત જવા માટે તે જ માર્ગ વધુ અનુકૂળ રહે. સંસાર ચક્રમાં, દરેક વ્યક્તિ એક વિશેષ માર્ગથી જે તે સ્થાને પહોંચ્યો હોય છે. ઊંડાણમાં જોતાં જણાશે કે આ દરેક માર્ગ એક યા બીજા પ્રકારે અન્ય માર્ગથી ભિન્ન હોય છે. સંસારચક્રમાંથી છૂટવા માટે આ જ માર્ગે પરત જવું વધુ ઇચ્છનીય ગણાય, અને તેથી જ દરેક માટે અલગ માર્ગ નિર્ધારિત કરવો જરૂરી ગણાય. સદગુરુ આ કામ વ્યવસ્થિત કરી શકે. શાસ્ત્રોમાં તો મર્યાદિત દસ-પંદર માર્ગ સ્થાપિત થયા હોય, પણ આ દરેક માર્ગનું ઝીણવટતા પૂર્વકનું આયોજન, મુમુક્ષુની સ્થિતિના સંદર્ભમાં, સદગુરુ જ કરી શકે. સનાતની આધ્યાત્મની આ એક અતિ વિશેષ વિશેષતા છે.
સાધનો ભિન્ન હોવા છતાં હેતુ એક જ છે. રસ્તા અલગ અલગ હોવા છતાં અંતિમ મંઝિલ તો એક જ છે. પ્રવાસ માટેની સંભાવના જુદી જુદી હોવા છતાં અંતે તો એક જ ઈશ્વર પ્રાપ્તિની ઈચ્છા હોય છે. જુદા જુદા તર્કથી પણ તે પરમ જ્ઞાન માટે જ પ્રયત્ન થતા હોય છે. જુદા જુદા પ્રમાણથી તે પરમ તત્ત્વને પામવાનું જ લક્ષ હોય છે. સ્વરૂપો જુદા જુદા હોઈ શકે પણ ધર્મ તો શાશ્વત અને સ્વયં-સ્વરૂપે છે. આવાં તો અનેક ઉદાહરણો આપી શકાય. પરંતુ વાસ્તવિકતા એ છે કે દેખાતી ભિન્નતા અંતે તો એક જ સત્યની સ્થાપના કરી છે.
સનાતન સંસ્કૃતિની આ સમૃદ્ધિ, સનાતન સંસ્કૃતિની આ ઝીણવટતા, પ્રત્યેક વ્યક્તિને વિશેષ રીતે આગળ વધારવાની સનાતન સંસ્કૃતિની આ સંવેદનશીલતા, સત્યને પામવા માટે વ્યક્તિને પોતાની રુચિ અનુસાર માર્ગ પસંદ કરવા છૂટ આપવાની સનાતની સંસ્કૃતિની આ સમૃદ્ધ વિરાસત, અને એકમાત્ર નિર્વાણ માટે – મુક્તિ માટે – પરમ સ્થિતિની પ્રાપ્તિ માટે બધા જ મતભેદને અવગણવાની સનાતન સંસ્કૃતિની યથાર્થ ભાવના અકલ્પ્ય ઘટના છે – આ હકીકત છે.
આ પણ વાંચો….મનન:મૃત્યુની પ્રતીક્ષા