ધર્મતેજ

વિશેષ : કુમારપાળના રોમેરોમમાં શ્રી હેમચંદ્રાચાર્ય વસેલા હતા!

ભારતી શાહ

(ગતાંકથી ચાલુ)
જીવદયા પ્રેમીઓએ હર્ષનાદથી જય હો, જય હો.
મહારાજા કુમારપાળની
જય હો,

કુમારપાળ પ્રતિબોધક, શ્રી હેમચંદ્રાચાર્યનો જય હો. પ્રજાએ નાદ બોલાવ્યો.

બારમી સદીની આ વાત છે. કુમારપાળે પોતાનું જીવન ધર્મમય બનાવ્યું હતું. અનેક જિનમંદિરો બંધાવ્યા હતા. જ્ઞાનભંડારોનું નિર્માણ કર્યું હતું. પૂ. ગુરુદેવ શ્રી કલિકાલસર્વજ્ઞની પ્રેરણાથી અને પ્રતિબોધ પામેલા પરમાર્હત રાજાએ ચૌદ વર્ષ રાજ્ય કર્યું અને ચૌદ કરોડની રકમ એ જમાનામાં સાધર્મિકોના ઉદ્ધાર માટે વાપરી. ગુજરાતમાં ઠેરઠેર તમામ જીવો માટે પાણી ગાળીને પીવા મળે તેવી પરબોની વ્યવસ્થા કરી હતી.

તારંગાના પહાડ ઉપર મૂળનાયકદાદા શ્રી અજીતનાથ ભગવાનની ભવ્ય પ્રતિમા સાથે આજે ઐતિહાસિક તીર્થ તરીકે પ્રસિદ્ધ છે, તે કુમારપાળ રાજાએ બંધાવ્યું છે. તેઓએ જ્યાં જ્યાં દેરાસરો બંધાવ્યા ત્યાં ત્યાં હંમેશાં પુષ્પપૂજા થાય તે માટે દરેક દેરાસરોની બાજુમાં એકેક બગીચો પણ બનાવતા. તે બગીચાનાં ફૂલો જિનેશ્ર્વર ભગવાનની પૂજામાં વાપરવામાં આવતા. ભરૂચમાં આવેલું પ્રસિદ્ધ જિનાલય સમડી વિહાર તરીકે જાણીતું અને મૂળનાયક ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીની પ્રતિષ્ઠા પણ ગુરુ શ્રી હેમચંદ્રાચાર્ય અને કુમારપાળ રાજાએ કરી છે.

કુમારપાળ મહારાજાએ જ્યાંરે પાટણથી શ્રી શત્રુંજય તીર્થનો સંઘ કાઢ્યો ત્યાંરે તેમના સંઘમાં કેટલી સામગ્રી હતી તે જાણીએ,

સંઘમાં સુવર્ણ અને રત્નોથી બનેલાં 1874 (એક હજાર, આઠસો ને ચુમોતેર) ઘડાઓ વિવિધ દ્રવ્યોથી ભરેલાં હતા. તડામાર તૈયારીઓ ચાલતી હતી, તેવા જ સમયે ગુપ્તચરોએ આવીને રાજાને કહ્યું: ‘રાજા કર્ણ વિશાળ સૈન્ય સાથે ગુજરાત તરફ ધસી આવે છે, ત્રણ દિવસમાં તે પાટણમાં આવીને આક્રમણ કરવાનો છે.’ કુમારપાળને આ તીર્થયાત્રાની ચિંતા થઈ. દોડ્યો જ્ઞાનમંદિરમાં ગુરુદેવ પાસે અને પોતાની મૂંઝવણ રજૂ કરી. સર્વજ્ઞશ્રીએ થોડીકવાર આંખો બંધ કરીને ધ્યાન ધર્યું અને કુમારપાળને ચિંતા છોડી દેવા કહ્યું, ‘કુમારપાળ તીર્થયાત્રા સમયસર નીકળે એની તૈયારી કરો. કર્ણની ચિંતા પણ ના કરશો.’

કુમારપાળ વિચારમાં તો પડી ગયા પરંતુ દેવ-ગુરુ પરની અનન્ય શ્રદ્ધા હતી. બીજા દિવસની સવાર પડતા જ મહેલમાં પોતાના ગુપ્તચરે આવી સમાચાર આપ્યા કે, રાજા કર્ણદેવ તડામાર માર્ગે પાટણ તરફ ધસી રહ્યો હતો, તે હાથી ઉપર બેઠેલો હતો. રાત્રી હોવાથી કર્ણને થોડુંક ઊંઘનું ઝોકું આવી ગયું એટલામાં એના ગળાનો મહામૂલો હાર એક ઝાડની ડાળીમાં ફસાઈ ગયો. હાથી તીવ્ર વેગે ચાલતો હતો તેથી એ ગળાનો હાર કર્ણનો ફાંસો બની ગયો. તેની સાથે રહેલું સૈન્ય હતાશ થઈને આવેલા રસ્તેથી પાછું ફર્યું આ સમાચાર સાંભળી કુમારપાળ આશ્ર્ચર્યમુગ્ધ થઈ ગયા. શ્રી હેમચંદ્રાચાર્યની અથાગ કૃપાનું પરિણામ તે સમજી શક્યો. નિર્ધારિત સમયે શત્રુંજયનો સંઘ નીકળ્યો. કુમારપાળ અને સંઘના એ લોકો ધન્ય બની ગયા. કુમારપાળના રોમે રોમમાં શ્રી હેમચંદ્રાચાર્ય વસેલા હતા. તેમ શ્રી ગુરુદેવનાં મનમાં પણ કુમારપાળ વસેલા હતા.

પરમાહંત રાજાને 54 વર્ષની વયે રાજગાદી પ્રાપ્ત થઈ હતી. અને 70 વર્ષની વયે પહોંચ્યા પછી તેઓ બાર વ્રતધારી શ્રાવક બન્યા હતા. સંઘમાં પણ તેઓ ગુરુદેવની સાથે ઉઘાડા પગે જ ચાલતો, સંથારો પાથરીને શયન કરતા, એકાસણાં કરતા, રસ્તામાં કોઈપણ જીવની વિરાધના ન થાય એનો ખ્યાલ રાખીને, ભાવોલ્લાસ સાથે વિધિવત યાત્રા કરતા. માર્ગની રજ લઈને લલાટે લગાડતા. માર્ગની બંને બાજુએ આવતાં વૃક્ષોને પણ તે હાથ જોડતા, યાત્રિકોને ગરમીથી શાતા પહોંચાડનાર હોવાથી એ વૃક્ષો પણ એમને લાગતા હતા. આ રીતે પરમાર્હત શ્રી કુમારપાળે પોતાની મનોભાવના ઘણી જ સુંદર રીતે વ્યક્ત કર્યાનો તેમનાં ચરિત્ર આદિમાં ઉલ્લેખ છે. પરમાર્હત કહે છે કે, ‘ભગવાન! આજ સુધીમાં મેં બહુ ભ્રમણ કર્યું છે. અનંતકાળથી સંસારમાં હું ભ્રમણ કરું છું એ વાતને દૂર રાખું તો પણ, આ જિંદગીમાં ય પચ્ચીસ વર્ષો સુધી મેં એ રીતે ભ્રમણ કર્યું છે, નહોતું ખાવાનું ઠેકાણુ કે નહોતું પીવાનું ઠેકાણું, પરંતુ એ મારું સઘળું જ પરિભ્રમણ નિરર્થક ગયું. હવે તો ભગવાનની આજ્ઞાનુસાર ચાલીને હું તો સિદ્ધગીરીજીની યાત્રા કરીશ. કારણકે મારું આ ભ્રમણ મારાં સંસારભ્રમણને ટાળનારું છે.’

સિદ્ધગીરી ઉપર આવ્યા પછી, તીર્થમાળા પહેરવાનો હક્ક તો તેમનો જ હતો. તેમ છતાં તેનો લાભ જેને લેવો હોય તે લઈ શકે છે અને એ નિમિત્તે દેવદ્રવ્યનો પણ તીર્થને મોટા લાભ થાય. બોલી બોલવાની શરૂઆત તો રાજા અને મંત્રી વચ્ચે થઈ. કેમ કે દાદાના દરબારમાં તો બધાં જ સાધર્મિક હતા. સૌની ભાવના જોવાની હતી.

શ્રી વાગ્ભટ મંત્રી તીર્થમાળા પહેરવાના ચાર લાખ સૌનેયા બોલ્યા, તો કુમારપાળ આઠ લાખ સૌનેયા બોલ્યા, આમ સામ સામે 32 લાખ સૌનેયા કુમારપાળ બોલે છે, ચઢાવો ચાલુ છે યાત્રિકો તો હર્ષાલ્લાસ સાથે અનુમોદના કરે છે.

એ જ સમયે એક જગડ નામનો પુણ્યાત્મા શ્રાવક પણ ત્યાં હાજર છે. શ્રાવકે એવા જૂના કપડાં પહેરેલા છે. કે એની પાસે કાંઈ હોવાનું કોઈ માની શકે નહીં. પણ રાજા તથા મંત્રીના બોલીના ચઢાવા જોઈને જગડ શ્રાવક સવા કરોડ સૌનેયા બોલે છે. રાજા સહિત સૌને તેના પર શંકા જાય છે. ત્યાં તો એક ચીંથરામાં રત્ન સમાન એ પુણ્યાત્મા શ્રાવકે સવા કરોડનું માણેક રજૂ કર્યું. પછી તો લોકોને ખબર પડી કે જગડને તો એના પિતા તરફથી સવા કરોડનું એક એવાં પાંચ માણેકો મળ્યાં હતા. અને પિતાની આજ્ઞાનુસાર શ્રી ગિરનારજી તેમ જ પ્રભાસપાટણમાં જગડે તીર્થમાળા પહેરી હતી. જગડે આ માણેક કુમારપાળનાં ચરણોમાં ધરી દેતા કહ્યું: ‘હે નાથ! હું પાપી છું, આપ ઘણા મહાન છો. હજારો જીવોને ધર્મમાં જોડનારા છો. અહિંસાના પાલનહાર છો, દીન દુ:ખીઓના બેલી છો. માટે આ માણેક સ્વીકારો આને યોગ્ય આપ જ છો.’ એ જ વખતે કુમારપાળે ખજાનચીને હુકમ કરીને બે કિમતી હાર તૈયાર કરાવ્યા અને તેમાં બે માણેકોમાંથી એક એક હારમાં વચ્ચે જડાવ્યું. એક હાર શ્રી સિદ્ધગીરીજી ઉપર અને એક હાર શ્રી ગિરનારજી ઉપર મોકલી આપ્યો. પુણ્યાત્મા જગડ શ્રાવકને પણ યથોચિત માનપૂર્વક કેટલુંક ભેટણું પણ આપ્યું.

આપણ વાંચો:  ફોકસ : ગંગા દશેરા એટલે સંસ્કૃતિ ને પરંપરાને માણવાનો પર્વ…

પાટણની આવી ગૌરવગાથાના, ગૌરવશાળી, પુણ્યશાળી આત્માઓનાં ચરણોમાં નત મસ્તકે વંદન.

સંકલન-કુમારપાળ ચરિત્રમાંથી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button