ધર્મતેજ

શિવ રહસ્ય : પ્રભુ તમે વરદાન આપવા જ માગતા હોવ તો મને પુનર્જન્મના ભયથી મુક્ત કરો

  • ભરત પટેલ

મહાનંદા નામની એક વારાંગના જે શિવભક્ત હતી, એની ઉપાસના હિમાલયથી પણ મક્કમ હતી. આદ્યશક્તિ અંબા સહિત ભગવાન શિવનું પૂજન કરતી હતી. ‘ઓમ નમ: શિવાય’ પંચાક્ષર મંત્ર હંમેશાં રટતી જ રહેતી. તે ભગવાન શંકરના ગુણલા ગાતી અને ભક્તિપૂર્વક ભગવાન શિવને રિઝવવા નૃત્ય કરતી. ગણિકા મહાનંદાને મન ભગવાન વિશ્ર્વેશ્ર્વર એટલે ભગવાન શિવ પતિત-પાવન અને અદ્યમ ઉદ્વારક હતા. આ અવતારના અવતારી એવા ભગવાન શિવ પરમ ઉપાસક હતા. સાચો વૈરાગ્ય આત્મભાનથી જ પ્રગટે છે. સાચા વૈરાગ્યના મૂળ વિના ત્યાગનો છોડ ટકી શકતો નથી. મહાનંદા ગણિકા હતી, પણ તે બહુ જ ગુણિયલ અને જ્ઞાની હતી. મહાનંદા સંગીત વિદ્યામાં પારંગત હતી. મહારાજાના મહેલમાં જે ધનવૈભવ હોય તેવો જ ધનવૈભવ એના મહેલમાં વારાંગનાનો હતો. આશ્ર્ચર્યની વાત એ હતી કે આ ગણિકાએ એક માકડું અને કૂકડો પાળ્યો હતો. એક સમયે ભગવાન શિવને મહાનંદાની કસોટી કરવાની ઇચ્છા થઈ. તેમણે ગણિકા મહાનંદાની પરીક્ષા લેવા ‘વૈશ્ય’નું રૂપ ધારણ કર્યું. કંઠમાં રુદ્રાક્ષની માળા, મસ્તક પર જટા, શરીર પર ભસ્મનું લેપ અને ‘ઓમ નમ: શિવાય’નો જાપ ચાલુ રાખ્યો. ભગવાન શિવે અમૂલ્ય રત્નોજડિત દિવ્ય કંકણો કાંડા પર પહેર્યાં અને મહાનંદાને દ્વારે આવી ઊભા રહ્યાં. મહાનંદાએ આવેલા વૈશ્યનું સ્વાગત કર્યું અને પૂછયું: ‘દેવ, તમે પહેરેલાં આ રત્નજડિત કંકણો ખૂબ જ સુંદર છે.’ ભગવાન શિવે કહ્યું, ‘મહાનંદા! આ મૂલ્યવાન કંકણો જો તમને પસંદ હોય તો રાખી લે, પરંતુ કંકણની કિંમત તો તારે ચૂકવવી જ પડશે.’ મહાનંદાએ કહ્યું, ‘દેવ, હું કોઈ પવિત્રતા ી નથી. મારો વ્યવસાય તો ગણિકાનો છે. અમારું જીવન કેવું હોય તે તો તમે જાણો જ છો. આપ જો આ કિંમતી કંકણો મને આપશો તો હું ત્રણ રાત અને ત્રણ દિવસ તમારી અર્ધાંગના બનીને તમારી સાથે વિહાર કરીશ.’ તરત જ ભગવાન શિવે કહ્યું, ‘પરંતુ તારે પતિ-પત્ની તરીકે રહેવાની પ્રતિજ્ઞા સૂર્ય અને ચંદ્રની સાક્ષીએ લેવી પડશે અને આ પ્રકારે પ્રતિજ્ઞા લીધા બાદ મારા હૃદયને સ્પર્શ કરશે તો જ હું શરત સ્વીકારીશ.’

***

મહાનંદાએ સૂર્ય-ચંદ્રને પ્રણામ કરી વૈશ્યરૂપે આવેલા ભગવાન શિવના હૃદયને સ્પર્શ કર્યો. વૈશ્યનાથે રત્નજડિત કંકણો પોતાના કાંડા પરથી ઉતારી પોતાના હાથે જ વારાંગના મહાનંદાને પહેરાવી દીધાં અને પોતાના પાસે રત્નમય શિવલિંગ હતું તે ભેટ આપ્યું અને કહ્યું, ‘મહાનંદા આ રત્નમય શિવલિંગ છે તેની નિત્ય પૂજા કરજે અને તેની ખૂબ સંભાળ રાખજે.’

મહાનંદાએ ખૂબ જ ઉત્સાહથી એ શિવલિંગનો સ્વીકાર કર્યો અને પોતાના પૂજાના ઓરડામાં પધરાવ્યું. પૂજાનો ઓરડો નૃત્યમંડપની બાજુમાં જ હતો. રાત્રિના સમયે વારાંગના મહાનંદાના નિવાસસ્થાને ભયંકર આગ લાગી. ગણિકા મહાનંદાએ સમયસૂચકતા વાપરી પોતાના ઘરનો સામાન બચાવવાની કોશિશ કરી. આ કોશિશમાં તે પોતાના પાળેલા કૂકડા અને માંકડાને બચાવી લીધા, પરંતુ આ આગમાં ભગવાન શિવે આપેલું રત્નમય શિવલિંગ બચાવી ન શકી અને એ શિવલિંગ બળીને કદરૂપું બની ગયું, આગની ગરમીમાં તેના નાના નાના ટુકડા થઈ ગયા.

વૈશ્યનાથ સ્વરૂપે આવેલા ભગવાન શિવે લીલા કરતાં કહ્યું કે, ‘હે મહાનંદા, મેં આપેલ શિવલિંગ તો મારા પ્રાણ સમાન હતું, તું આગથી બચાવી નથી શકી અને એ શિવલિંગ આગને લીધે ખંડિત થઈ ગયું છે તેથી હું જીવી નહીં શકું. તારા સેવકોને કહે કે, ચિતા તૈયાર કરે, હું હવે શિવમાં મગ્ન થઈને મરણને શરણ થઈશ.’

વૈશ્યનાથના આગ્રહને વશ થઈ મહાનંદાએ તેના સેવકો પાસે ચિતા ખડકાવી. વૈશ્યનાથે ચિતાને પ્રદક્ષિણા કરી ભગવાન શિવનું સ્મરણ કર્યુર્ં અને ભડભડ બળતી ચિતામાં પ્રવેશ કર્યો અને અગ્નિની જ્યોત સાથે જ્યોર્તિમય બની ગયા.

વૈશ્યનાથની પોતે સૂર્ય – ચંદ્રની સાક્ષીએ ત્રણ દિવસ અને ત્રણ રાત માટે પત્ની બની હતી. પોતાના ઘરે લાગેલી આગમાં એ રત્નમય શિવલિંગને બચાવી શકી નહોતી, મળેલી જવાબદારી એ પૂર્ણ કરી શકી નહોતી. એને પશ્ર્ચાત્તાપની આગ સતાવવા માંડી.

તેણે વિચાર્યું કે, ‘વૈશ્યનાથે આપેલા શિવલિંગનું પોતે જતન ન કરી શકતાં વૈશ્યનાથે મૃત્યુને ભેટવું પડયું. માટે હવે તેણે વૈશ્યનાથની પત્ની તરીકે ધર્મ પાળવો જોઈએ અને તેમની જેમ ચિતામાં બળીને મરી તેમનું અનુગમન કરવું એ જ મારા માટે હવે ઉત્તમ ધર્મ છે.

ગણિકા મહાનંદાએ પોતાની સર્વ માલ મિલકત યોગ્ય પાત્ર જોઈ દાનમાં આપી દીધી અને સતી થવા માટે તત્પર થઈ. અગ્નિથી પ્રગટેલી ચિતાની પ્રદક્ષિણા કરી ભગવાન શિવનું સ્મરણ કર્યું અને અગ્નિમાં પ્રવેશ કરવા જાય છે ત્યારે જ ભગવાન શિવ સાક્ષાત પ્રગટ થાય છે.

ભગવાન શિવ: ‘હે મહાનંદા, હું પોતે વૈશ્યનાથના સ્વરૂપે તારી પરીક્ષા કરવા આવ્યો હતો. તું કસોટીમાંથી પાર ઊતરી છે. તું વરદાનને પાત્ર છે, માગ તારી ઇચ્છા મુજબ વરદાન.’

ગણિકા મહાનંદા: ‘પ્રભુ તમે સાક્ષાત દર્શન આપ્યા એ જ મારા માટે વરદાન સ્વરૂપ છે. મને વરદાનની કોઈ કામના નથી.’

ભગવાન શિવ: ‘મહાનંદા, મેં અત્યાર સુધી તારી બે વખત પરીક્ષા લીધી છે. બંને વખત તું મારી કસોટીમાં ઉત્તીર્ણ થઈ છે. તારે અવશ્ય વરદાન લેવું જોઇએ.’

ગણિકા મહાનંદા: ‘પ્રભુ તમે વરદાન આપવા જ માગતા હોવ તો મને પુનર્જન્મના ભયથી મુક્ત કરી પરમપદ અર્પણ કરો.’

ભગવાન શિવ: ‘તથાસ્તુ, તમારી ઇચ્છા મુજબ હવે પછીના જીવનમાં પુનર્જન્મના ભયથી મુક્ત થશો અને પરમપદને મેળવશો અને જે મનુષ્ય આ અદ્ભુત ચરિત્રનું શ્રવણ-પઠન કરશે તેનું આત્યંતિક કલ્યાણ થશે અને પરમ પદને પામશે.’

* *

આપણ વાંચો ચિંતન : શાશ્વત-સાંજોગિક…

ગણિકા મહાનંદાને પરમપદ પ્રાપ્ત થતાં ભગવાન શિવ ફરી કૈલાસ પધારે છે.

માતા પાર્વતી: ‘હે સ્વામિ મહાનંદાને તો પરમપદ પ્રાપ્ત થઈ ગયું છે પણ પૃથ્વીવાસીઓ કઈ રીતે પોતાના પાપનો નાશ કરી ધન, યશ અને મનોવાંછિત ફળ મેળવી શકે તેની વ્રત વિધિ બતાવો જેથી તેમનું કલ્યાણ થાય. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button