શિવ રહસ્ય: બંનેએ પોતાનો અહમ ઓગાળી સમાજ કલ્યાણ માટે કાર્ય કરવાના છે

-ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
ભગવાન શિવ તપમાં લીન હતા. કૈલાસ ખાતે ‘ૐ નમ: શિવાય:’નો ધ્વની ગુંજવા લાગ્યો. માતા પાર્વતીએ ભગવાન શિવને એ તપસ્વી પર કૃપા દૃષ્ટિ કરવા કહ્યું. ભગવાન શિવ તુરંત વરદાન દેવા પહોંચી ગયા. ભગવાન શિવે ભક્ત સૌમિત્રને વરદાન માગવા કહ્યું. પોતાના આરાધ્ય દેવને પોતની સમક્ષ ઊભેલા જોઈ ઋષિ સૌમિત્ર ગદ્ગદ્ થઈ જાય છે, અને કહે છે, ભગવંત તમારી જે ઇચ્છા હોય તેમ જ આપો. ભગવાન શિવ તેમને એક શંખ આપતા કહે છે, ‘હે સૌમિત્ર આ શંખ તમને હું પ્રસાદીના રૂપે આપું છું, સૃષ્ટિમાં તમે જ્યાં જયાં જશો ત્યાં તમારો સર્વત્ર આદર-સત્કાર થશે.’ ઋષિ સૌમિત્ર ધર્મના પ્રચાર – પ્રસાર માટે જ્યાં જયાં જાય ત્યાં ઝોળી અને શંખ સાથે લઈ જતા અને ભગવાન શિવજીની પૂજા અને આરતી વખતે એ શંખ વગાડતાં. કક્ષીવાન નામનો યુવાન તેમના શિષ્ય તરીકે તેમની સાથે જોડાયો. કક્ષીવાનને કોઈએ કહ્યું કે, તારા ગુરુ પાસે જે શંખ છે તે પ્રસાદીનો શંખ છે. આ ચમત્કારી શંખને લીધે જ તારા ગુરુને સર્વત્ર આદર અને સત્કાર મળે છે. એકદિવસ સંધ્યાવેળાએ સૌમિત્ર શંખને સરોવર કાંઠે મૂકી સ્નાન કરવા ગયા. કક્ષીવાને વિચાર્યું કે, ‘અપાર સિદ્ધિઓથી સભર આ શંખ જો મારી પાસે હોય તો હું પણ આદર સત્કારનો અધિકારી બનું, મારું પણ સર્વત્ર બહુમાન થાય અને લોકો મારી પૂજા કરે.’ લાલચુ શિષ્ય કક્ષીવાને તે શંખ સંતાડી દીધો. સૌમિત્રની શંખની ચોરી થયાનું લાગતાં તેમણે કહ્યું કે ‘જેણે શંખની ચોરી કરી હશે તે સ્વયં શંખ બની જશે.’ સૌમિત્રના શાપથી ભયભીત થયેલા કક્ષીવાને ચોરીની કબૂલાત કરે છે અને પાપ નિવારણઅર્થે સરોવરમાં સ્નાન કરવા ડૂબકી લગાવતાં શંખ બની જાય છે. શંખમાંથી એકધારો શિવ… શિવ… ધ્વની નીકળવા લાગ્યો. શંખ સ્વરૂપે તે અહોનિશ શિવ… શિવ… રટતો જ રહ્યો. બાર વર્ષની તપસ્યા બાદ એ ધ્વની કૈલાસ પહોંચવા માંડયો. ભગવાન શિવ કક્ષીવાનનો ઉદ્ધાર કરવા નીકળી પડયા. સરોવર તટે પહોંચી ભગવાન શિવે કહ્યું, ‘કક્ષીવાન તારું તપ પૂર્ણ થયું, તું સરોવરની બહાર આવ.’ આટલું કહી ભગવાન શિવે હાથ લંબાવતા કક્ષીવાન પોતાના મૂળ સ્વરૂપે સરોવરની બહાર આવ્યો. સાક્ષાત ભગવાન શિવના દર્શન કરી તે હર્ષવિભોર બન્યો અને અંતે ભગવાન શિવની કૃપાથી શિવલોક સિધાવ્યો. કક્ષીવાન તપને લીધે પાપમુક્ત બન્યો હતો તેથી આ સરોવર ‘શંખોદ્વાર’ નામનું તીર્થધામ બન્યું. અહીં સ્નાન કરવાથી શિવધામની પૂજા અર્ચનાનું ફળ પ્રાપ્ત થાય છે.
પાટલીપુત્રના રાજા ક્ષુવ ભગવાન વિષ્ણુના પરમ ઉપાસક તરીકે પ્રખ્યાત હતા. તેમની આરાધનાથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુએ તેમને સાક્ષાત દર્શન આપ્યા હતા અને તેમની કીર્તિ જગવિખ્યાત થાય તેવું વરદાન આપ્યું હતું. રાજા ક્ષુવ ગૌબ્રાહ્મણ પ્રતિપાળ અને પ્રજાવત્સલ રાજા હતા. તેમના રાજ્યમાં કોઈ દુ:ખી ન હતું. રાજા સદાય વિષ્ણુ ભક્તિમાં લીન રહેતા.
એક દિવસ રાજા ક્ષુવ પોતાના રાજરસાલા સાથે વનગમન કરતાં કરતાં ઋષિ દધિચીના આશ્રમ પાસે આવી પહોંચ્યાં. ઋષિ દધિચી શિષ્યો સાથે પોતાના આશ્રમના દ્વારને રંગસજ્જા કરી રહ્યાં હતાં. તેમણે જોયું કે તેમના મિત્ર રાજા ક્ષુવ ત્યાંથી પસાર થઈ રહ્યાં છે. રાજા ક્ષુવને જોઈ તેઓ પુલકિત થઈ ગયા. સામે રાજા ક્ષુવ પણ ઋષિ દધિચીને જોઈને પુલકિત થઈ ગયા. બંને એકબીજાની સામે આવતાં જ ભેટી પડયા અને રાજા ક્ષુવે ઋષિ દધિચીનો આતિથ્યસત્કાર સ્વીકાર કરી લીધો.
ઘણા વરસો બાદ બંને મિત્રોનું મિલન થતાં આશ્રમમાં રાજા ક્ષુવ અને ઋષિ દધિચીના અનુયાયીઓ સામસામે શાસ્ત્રાર્થ કરવા લાગ્યા. એ દરમિયાન એ વાત પર ચર્ચા થવા લાગી કે શ્રેષ્ઠ કોણ? રાજા કે તપસ્વી?
રાજા ક્ષુવ: ‘મિત્ર તમને માઠું ન લાગે તો તમને એ અવશ્ય જણાવીશ કે આ પૃથ્વી પર રાજાઓ જ શ્રેષ્ઠ અને મહાન ગણાય. રાજા પર માત્ર પોતાના ગ્રામ્યજનોનું જ રક્ષણ કરવાની જવાબદારી છે એટલું જ નહિ, તેમના પર જંગલમાં તપ કરતાં તપસ્વીઓના રક્ષણની પણ જવાબદારી છે. માટે તપસ્વી કરતાં રાજા મહાન છે, રાજા જ શ્રેષ્ઠ ગણાય.’
ઋષિ દધિચી: ‘હે રાજન! તપસ્વીથી મહાન કોણ હોઈ શકે? તપની મહાશક્તિથી ઇન્દ્રનું સિંહાસન પણ ડોલી ઉઠે છે. તો રાજાની શું વિસાત? માટે તપસ્વીને જ મહાન અને શ્રેષ્ઠ ગણી શકાય.’
રાજા ક્ષુવ અને ઋષિ દધિચી વચ્ચે વિવાદ વધતો ગયો અને છેલ્લે ક્રોધાવેશમાં ઋષિ દધિચીએ રાજાના મસ્તક પર પ્રહાર કર્યો. રાજાએ તેમના વજ્રથી ઋષિ દધિચીને ઘાયલ કર્યા. રાજા ક્ષુવને થયું કે ઋષિનું પ્રાણપંખેરું ઉડી જશે. એ જ સમયે ત્યાંથી પસાર થતાં અસુરગુરુ શુક્રાચાર્યએ જોયું કે ઋષિ દધિચી ઘાયલ થયા છે. રાજા ક્ષુવે બધી વાત સવિસ્તાર જણાવી.
અસુરગુરુ શુક્રાચાર્યએ મૃત્યુંજય વિદ્યાના પ્રતાપે ઋષિ દધિચીને પૂર્વવત્ બનાવી દીધા. શુક્રાચાર્યએ ઋષિ દધિચીને મૃત્યુંજય જાપનો મહિમા સમજાવ્યો અને કહ્યું કે ભગવાન મૃત્યુંજની ઉપાસનાનો મહિમા ઘણો જ મોટો છે. તમે મહામૃત્યુંજયના જાપથી શિવજીને પ્રસન્ન કરો.
ઋષિ દધિચી વનમાં જઈ ઉગ્ર તપ કરવા લાગ્યા. તેઓએ વર્ષોના વર્ષો તપમાં લીન રહ્યાં. શરીર કૃશ બની ગયું. તેમની આરાધનાનો સ્વર કૈલાસ સુધી પહોંચવા લાગ્યો. ભગવાન શિવ પ્રસન્ન થઈ વરદાન આપવા ત્યાં પધાર્યા.
ભગવાન શિવ: ‘ઋષિવર, આંખ ખોલો, વરદાન માગો.’
ઋષિ દધિચીએ ભગવાન શિવને દંડવત પ્રણામ કર્યા અને કહ્યું, ‘ભોળાનાથ મને વરદાન આપો કે મારાં અસ્થિ વજ્ર સમાન દૃઢ બની જાય, કોઈ મારો વધ ન કરી શકે અને મારામાં ક્યારેય હીનભાવના ન પ્રવેશે.’
ભગવાન શિવ: ‘તથાસ્તુ.’
ઋષિ દધિચીને વરદાન મળતાં જ તેમનામાં રહેલી વેરની ભાવના જાગ્રત થઈ ગઈ. વરદાન પ્રાપ્ત કરી તેઓ સીધા રાજા ક્ષુવના રાજમહેલ પર પહોંચ્યાં. રાજા ક્ષુવ સભા ભરીને ઉચ્ચ સિંહાસન પર બિરાજમાન હતા.
ઋષિ દધિચી: ‘હે રાજન! મેં આગળ પણ કહ્યું હતું કે તપસ્વીથી મહાન અને શ્રેષ્ઠ કોઈ ન હોય શકે? તપસ્વીની મહાનતાને તું સ્વીકાર કર. તારો અહંકાર ઓગાળવા માટે આ મહાતપસ્વી ઋષિ દધિચી તારી સમક્ષ ઊભો છે. તારું ક્ષુલ્લક વજ્ર મને લેશમાત્ર હાનિ નહીં પહોંચાડી શકે.’
અંતે રાજા ક્ષુવે ક્રોધિત થઈ ઋષિ દધિચી પર વજ્રનો પ્રહાર કર્યો, પરંતુ વરદાનને લીધે વજ્ર લેશમાત્ર હાનિ નહિ પહોંચાડી શકયું. આથી રાજા ક્ષુવનું સ્વમાન ઘવાયું.
રાજા ક્ષુવ વધુ શક્તિશાળી બનવાં વનમાં જઈ ઘોર તપસ્યા કરવા લાગ્યાં. ઘણાં વરસોની તપસ્યા બાદ ભગવાન વિષ્ણુ પ્રસન્ન થતાં તેમને દર્શન દીધાં.
રાજા ક્ષુવ: ‘ઋષિ દધિચી વરદાન પ્રાપ્ત કરી ઘમંડી બની ગયા છે. હું તેનો બદલો લેવા ઇચ્છું છું.’
ભગવાન વિષ્ણુ: ‘ક્ષુવ તમે સમજવાની કોશિશ કરો, તમે મારા ભક્ત છો, ઋષિવર શિવભક્ત છે. બંનેએ પોતાનો અહમ ઓગાળી સમાજ કલ્યાણ માટે કાર્ય કરવાના છે. તમે મારી સાથે ચાલો.’
રાજા ક્ષુવ આજ્ઞાંકિત હોવાથી તેઓ ભગવાન વિષ્ણુ સાથે ચાલી નીકળ્યા. ભગવાન વિષ્ણુ અને રાજા ક્ષુવ ઋષિ દધિચીને મળવા તેમના આશ્રમ તરફ જતાં હતાં તે દરમિયાન ઋષિ દધિચી જ સામેથી આવતાં દેખાયાં. ભગવાન વિષ્ણુને જ્ઞાત છે કે માનવોને ભય વગર પ્રીતિ થતી નથી. તેઓ એ જ સમયે મહાકાય વિરાટરૂપ ધારણ કરે છે. તેમને જોઈ ઋષિ દધિચીનો અહંકાર ઓગળી જાય છે. તેઓ ભગવાન વિષ્ણુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે.
ભગવાન વિષ્ણુ: ‘ઋષિવર તમને અને રાજા ક્ષુવને એટલું અવશ્ય કહીશ કે રાજા રાજ્યનો પિતા સમાન હોય છે તેણે રાજ્યના દરેકના સુખ-મંગલ માટે સમાજ કલ્યાણના કાર્ય કરવાના હોય છે, તો તપસ્વીની જવાબદારી તેઓ જ્યાં જ્યાં જાય ત્યાં ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવાનો હોય છે એટલે રાજા અને તપસ્વી બંને મહાન અને શ્રેષ્ઠ છે.’
ભગવાન વિષ્ણુની વાત શિરોમાન્ય કરતાં રાજા ક્ષુવ અને ઋષિ દધિચીનો અહંકાર ઓગળી ગયો અને તેઓ બંને ભગવાન વિષ્ણુએ આપેલી જવાબદારીના કાર્યમાં ઓતપ્રોત થઈ જાય છે.
જે સ્થળે ભગવાન વિષ્ણુ અને ઋષિ દધિચીનો મેળાપ થયો હતો તે સ્થળ આજે પણ સ્થાનેશ્ર્વર તીર્થધામ તરીકે પ્રસિદ્ધ છે. સ્થાનેશ્ર્વર ધામનું શરણું લેતા દરેક માનવી નિરઅહંકારી બની જાય છે અને અંતે વૈકુંઠલોક પામે છે.
(ક્રમશ:)