ધર્મતેજ

ભજનનો પ્રસાદ : પ્રેમસખી પ્રેમાનંદ સ્વામીનું તપ ને તેજ સાધના-ઉપાસનાની અનુભૂતિનું રસાયણ ને ભગવત્પ્રાપ્તિનો ભાવ નિરૂપાયેલ છે

-ડૉ. બળવંત જાની

‘ઉન્મત્તગંગા માહાત્મ્ય’: પ્રેમસખી પ્રેમાનંદની સર્જક પ્રતિભાનું સુંદર ઉદાહરણ આ રચના છે. અહીં પાંચ-પાંચ કડીના કુલ અઢાર પદ છે. ગઢપુરના પાદરમાં વહેતી ઘેલો નદીને ઉન્મત્તગંગાનું બિરુદ આપીને એનો ભાગિરથ-ગંગા સાથે સંવાદ આલેખ્યો છે. અનેક પૌરાણિક પ્રસંગોને-સાંકળીને ઉન્મત્તગંગા નિત્ય શ્રીહરિ સ્નાન માટે પધારતા હોવા છતાં ગર્વિષ્ઠ નથી બની, સુવ્રત મુનિ મુખે પદમાં કથન દ્વારા ઉન્મત્તગંગાના દર્શન થકી પાતક નાશ પામે છે એમ પ્રેમાનંદે પદમાં સરિતા મહિમાને વણી લીધો છે. આજ સુધી અપ્રકાશિત પ્રસ્તુત રચના પણ હસ્તપ્રત આધારે જ્ઞાનજીવનદાસજીએ ‘પ્રેમાનંદ સ્વામીના ગ્રંથો’ (2010) સંપાદિત કરી છે.

‘દુર્ગપુર માહાત્મ્ય’ શ્રીહરિએ ગઢપુર-દુર્ગપુરને નિવાસ સ્થાનક તરીકે પસંદ કરીને એ સ્થળને મહિમાવંતુ કર્યું. અનેક પ્રકારના યુગકાર્યો, ઉપદેશો અને ગોપીનાથજીની સ્થાપનાને વર્ણવતું આઠ પદની શૃંખલાની આ ગેય રચના પ્રેમાનંદની પવિત્ર નગરની મહત્તા અને મહિમાને વર્ણવવાની કળાનો પરિચય કરાવે છે.

‘ગોપીનાથજીનો ગરબો’ અદ્યપિ અપ્રકાશિત સુદીર્ઘ પદરચનાને કુંડળધામમાં સદગુરુ જ્ઞાનજીવનદાસજીએ હસ્તપ્રતને આધારે સંપાદિત કરીને પ્રકાશિત કરી છે. ‘પ્રેમાનંદ સ્વામીના ગ્રંથો’માં 107 કડીની આ પદમાળામાં ગોપીનાથજીની સ્તુતિ અને એમનો રૂપ મહિમા કેન્દ્રમાં છે. પહેલું પદ 47 કડીનું છે અને પ્રેમાનંદની નામછાપ સાથે પૂર્ણ થાય છે. બીજા પદમાં 20મી કડીએ પ્રેમાનંદની નામછાપ છે પણ પદનો કડી ક્રમાંક સળંગ જાળવીને 40મી કડીએ નામછાપ મૂકી છે, તે સાર્થ છે.

અખંડ બીરાજો એવા ઉરમે શ્રી ગોપીનાથ,
પ્રેમાનંદ માગે કરી પ્યાર રે જાદવરાય… 40

ગોપીનાથજીના ગરબાનો પ્રારંભ પ્રથમ પદના ‘વંદુ ગિરિધર ગોકુળચંદ ગોપીનાથજીરે’ એવી ધ્રુવપંક્તિથી થયો છે. તો બીજા પદની ધ્રુવપંક્તિ ‘પ્રગટ બિરાજો આજ ગઢડે ગોપીનાથ’ એવી ચાલીસમી કડી સુધી સળંગ જળવાઈ છે. ગોપીનાથની સ્તુતિ ગરબા સ્વરૂપે પદબંધમાં કરી જણાય છે.

પૂર્વકાલીન અને તત્કાલીન પ્રસંગસામગ્રી પ્રગટાવતું સાહિત્ય…
કેટલાક પૂર્વ (પુરાણ) કાલીન કૃષ્ણલીલા પ્રસંગો અને કેટલાક તત્કાલીન (સ્વામિનારાયણકાલીન) પ્રસંગોની પદશૃંખલા પ્રેમસખીની સાહિત્ય સર્જનકળાનો આગવો ઉન્મેષ પ્રગટાવે છે. અલબત્ત એમની વિપુલ પદરાશિનો એ એક અંશ-ખંડ છે. પણ સ્વતંત્ર કાવ્યરચના જેવી મહત્તા અને મૂલ્યવત્તા ધરાવતી આવી કૃતિઓને અહીં વર્ગીકૃત કરીને અભ્યાસ કર્યો છે.
અહીં પ્રારંભે પુરાણકાલીન પ્રસંગોને અનુલક્ષીને રચાયેલી બે કૃતિમાં અવલોકીએ, પછીની ચાર કૃતિઓ તત્કાલીન પ્રાસંગિક વિષય સામગ્રીવાળી હોઈને એને અવલોકવાનું રાખ્યું છે.

  1. ‘રાસરમણલીલા’
  2. ‘નારાયણલીલા’
  3. ‘વનવિચરણલીલા’
  4. ‘વટપતન લીલા’
  5. ‘લોયાની લીલા’
  6. ‘વડતાલ યાત્રાલીલા’

રાસરમણલીલા’ સનાતન ધર્મમાં શ્રીમદ્ ભાગવતની ‘રાસપંચાધ્યાયી’નો આગવો મહિમા છે. ‘રાસપંચાધ્યાય’ના વૈષ્ણવ, પ્રણામી અને સ્વામિનારાયણીય સાંપ્રદાયિક અર્થઘટનનો મેં વિગતે અભ્યાસ કર્યો છે. અર્થઘટનથી જ તે સંપ્રદાયો અનોખું સાંપ્રદાયિક રૂપ ધારણ કરે છે. લગભગ બધા નંદકવિઓએ રાસરમણસૃષ્ટિને પદમાં ઢાળી છે. અને સહજાનંદીય રૂપને અભિવ્યક્તિ અર્પી છે. પ્રેમસખી નામ પ્રાપ્ત થયું આવા કૃષ્ણસખીરૂપ ગાનથી એમના ‘રાસરમણસૃષ્ટિને પદમાં ઢાળી છે, અને સહજાનંદીય રૂપને અભિવ્યક્ત અર્પી છે. એમના ‘રાસરમણલીલા’ના ત્રીશ પદો મારી દૃષ્ટિએ એકાંતિકભક્તિ ઉપાસનાના દ્યોતક છે.

વૈષ્ણવ અને પ્રણામી સંપ્રદાય પછીના આ રૂપની તાત્ત્વિક તત્ત્વદર્શનાત્મક ચર્ચા ‘વચનામૃત’ અને આવા સાંપ્રદાયિક કવિઓની પદશૃંખલાને અનુસંગે વિશેષ રૂપે કરવી-થવી જોઈએ. શ્રીકૃષ્ણના વૃંદાવનવિહારના રાસોત્સવને આલેખતી ત્રીસ પદોની શૃંખલા ‘રાસરમણલીલા’માં પ્રેમસખીનું જયદેવના ‘ગીતગોવિંદ’નું અધ્યયન, સહજાનંદીય સત્સંગરસસુધાપાન, સાધના-ઉપાસનાની અનુભૂતિનું રસાયણ અને ભગવત્પ્રાપ્તિનો ભાવ નિરૂપાયેલ છે. મને આ ત્રીસ પદો ભાવવિશ્ર્વ, રાગ-રાગિણી, નૃત્ય-લટકા, અને અર્થાનુસારી પ્રાસ, અનુપ્રાસજન્ય લયવિશ્ર્વને કારણે પણ આગવા જણાયા છે. એ રીતે ‘રાસરમણલીલા’ રાધાકૃષ્ણ ભક્તિ કવિતામાં મહત્ત્વની ગ્રંથરાશિ હોઈને એનો તાત્ત્વિક પીઠિકાની ષ્ટિએ વિશદ અભ્યાસ આવશ્યક છે.

નારાયણચરિત્ર: ‘નારાયણ લીલા’
પૂર્વકાલીન ચરિત્ર નારાયણનું છે. એનો આરંભ અમદાવાદમાં સહજાનંદ સ્વામીએ ભવ્ય મંદિરનું નિર્માણ કરાવીને એમાં નર-નારાયણની મૂર્તિ પ્રતિષ્ઠા કરી એ પદક્રમાંક 1008થી 1026 સુધીના ઓગણીશ પદોમાં નિરૂપાયેલ છે. પ્રારંભના આઠ પદ મંદિરની પ્રતિમા પ્રતિષ્ઠા સંદર્ભે છે. પછીના અગિયાર પદોમાં નારાયણ રૂપ શ્રીકૃષ્ણની શૈશવ અવસ્થાથી દ્વારિકાનિવાસી બની અષ્ટ પટરાણીને વર્યાની વિગત વર્ણવી છે. પછી નર રૂપ અર્જુનની મચ્છવેધ લીલાનું આલેખન કરેલ છે.

સહજાનંદ સ્વામી અને બદ્રીપતિ નારાયણ ઉભયનું ઐક્યરૂપ નિરૂપણ પ્રેમસખી ગાય છે. ‘ભૂનો ભાર ઉતારવા.’ આ જ નર-નારાયણદેવ બદ્રીપત અમદાવાદમાં બિરાજ્યા છે. અર્જુનના મચ્છવેધની વિગત ‘હરિને શિશ નમાવી’ અર્થાત્ નારાયણને વંદીને’.

‘સહુ દેખંતા સાવધાન થઈ, દષ્ટ સુરત એક બાંધી રે;
મછ પ્રતિબિંબ જોઈ કુંડમાં, માર્યું બાણ તે સાંધી રે…’

‘થોડામાં કહી દાખુ નરની લીલા અતિ નિષ્પાપ રે’ પંક્તિમાંથી પ્રેમસખીની કથનકળાનો પરિચય મળી રહે છે. 19 પદમાં સમગ્ર કથાનકને વણી લીધું હોઈને આ પદમાળાને હું મહત્ત્વની પુરાણ(પૂર્વ)કાલીન વિષયસામગ્રીને કલાત્મક રીતે કથતી-વર્ણવતી સ્વાયત્ત કૃતિ ગણું છું.

‘વનવિચરણ લીલા’ : અગિયાર પદની ક્રમાંક 679 થી 688 પદમાળામાં પ્રેમસખી પ્રેમાનંદે શ્રીહરિ નીલકંઠવર્ણી રૂપે વનવિચરણ કર્યું તેની વિગતો અર્થાત્ તત્કાલીન સમયની સામગ્રી કેન્દ્રમાં રાખી છે. સહજાનંદસ્વામી જે નામાભિધાન બહુ મોડે પ્રાપ્ત થયેલું તેને પ્રત્યેક પંક્તિમાં ટેક તરીકે પ્રયોજેલ છે.

‘વય વરસ અગ્યાર બાર, સહજાનંદ સ્વામી;
દેહે અતિકૃશ મોરાર, સહજાનંદ સ્વામી…2
કરે કંદ મૂલનો આહાર, સહજાનંદ સ્વામી;
ક્યારે રહે વાયુ આધાર, સહજાનંદ સ્વામી…3’ (682)
નાસિકાગ્રભાગે દૃષ્ટિ કેન્દ્રિત કરીને યોગાનિષ્ઠ અને તપસ્યારત નીલકંઠવર્ણી ક્યાં-ક્યાં ઘુમ્યા વનમાં વિચરણ કર્યું.

પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ દિશાની પ્રદક્ષિણા વિવિધ તીર્થક્ષેત્રોની વિહારની વિગતો અહીં આલેખી છે. એક સ્વતંત્ર કૃતિ તરીકેનો વનવિચરણ, તપસ્યા અને આહાર-વિહારની વિગતોને ગુંથી લઈને અગિયાર વર્ષની વયથી ગૃહત્યાગ કરીને આરંભેલું વનવિચરણ એ એમની તપસ્યા અને યોગવ્રત સાધનાનાં ઘટકો છે. લયાન્વિત પદાવલિ અને સતત સહજાનંદ સ્વામીનું અનુરણન રચનાને ગેયતા અર્પે છે. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button