ધર્મતેજ

આચમનઃ આપણા ઉત્સવો હૈયાના મિલન સમા…

-અનવર વલિયાણી

ભગવાન શંકર સ્મશાનમાં રહે છે. ગળામાં વિષધર નાગ અને શરીરે ભભૂતિ ચોળીને તેઓ આકરી તપશ્ચર્યા કરે છે. સ્મશાનમાં વસવાનું કારણ એ કે દરેક મનુષ્યે છેલ્લે સ્મશાનમાં જઈને માટીમાં મળી જવાનું છે. માણસ ચાહે હિન્દુ હોય કે મુસલમાન; શીખ હોય કે ઈસાઈ સૌનો અંત સરખો છે; એ ભાવના વ્યક્ત કરવા એવી કલ્પના કરવામાં આવી કે શંકરજી સ્મશાનમાં વસે છે.

દેશભરનાં શિવાલયોમાં શંકર ભગવાનની ઘીની પૂજા થાય છે. થીજાવેલા ઘીમાં વિવિધ પૌરાણિક પ્રસંગો અને ચિત્રો ઉપસાવીને તેની પૂજા થાય છે. ઘણા લોકો શ્રાવણ મહિનામાં ત્રીસેત્રીસ દિવસ એકટાણું કરે છે અને વાળ-દાઢી વધારે છે.
શ્રાવણ માસમાં ઔર બે ખૂબ જ મોટા ઉત્સવો આવે છે. એક છે શ્રાવણ પૂનમ જેને આપણે સૌ રક્ષાબંધનના નામે ઓળખીએ છીએ. હિન્દુઓનો ઉત્સવ ગણાતો રક્ષાબંધન હવે લગભગ બધા મનાવે છે. ફિલ્મ ઉદ્યોગમાં તો એનું ખૂબ જ મહત્ત્વ છે.
સ્વર-કિન્નરી લતા મંગેશકર અભિનય સમ્રાટ દિલીપકુમારને (જેઓ જન્મે અને ધર્મે મસ્લિમ છે તેને) રાખી બાંધે છે. મશહૂર વેમ્પ નાદિરા, રાજ કપૂર જીવતા હતા ત્યાં સુધી રાજ કપૂરને રાખી બાંધતી તો છેલ્લાં 60-65 વર્ષથી ફિલ્મો, ટેલિવિઝન પ્રોગ્રામ તથા સ્ટેજ કાર્યક્રમો કરતી તબસ્સુમ સંગીતકાર કલ્યાણજીભાઈ હયાત હતા ત્યાં સુધી રાખી બાંધતી. આમ રાખી હવે હિન્દુ-મુસ્લિમ ભાઈચારાનું પ્રતીક અને બધા લોકોનો ઉત્સવ બની રહી છે.

આ થયો શ્રાવણનો પ્રથમ પક્ષ (પહેલા પંદર દિવસ). પછીના પંદર દિવસમાં ઔર એક જાબરદસ્ત ઉત્સવ આવે છે. એ છે જન્માષ્ટમી. તમે જો કે. આસિફ સાહેબની મોગલે આઝમ ફિલ્મ જોઈ હશે તો તમને યાદ હશે કે સર્વ ધર્મ સમાનતામાં માનતા શહેનશાહ જલાલુદ્દીન અકબર પોતે પોતાના મહેલમાં કૃષ્ણજન્મ ઉજવાતા. ફિલ્મમાં અકબર બાદશાહ ચાંદીના પલનામાં બિરાજેલા બાળ કૃષ્ણને હિચકો નાખે છે ત્યારે અનારકલીનું ‘મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે’ એ દૃશ્ય આખી દુનિયામાં વખણાયું હતું.

સુજ્ઞ વાચક મિત્રો! જરા વિચારો, હિન્દુ- મુસ્લિમ એકતાનું આથી સુંદર દૃષ્ટાંત બીજું કયું હોઈ શકે? પિતા આવે એની પાછળ પુત્ર પણ આવે ને! શ્રાવણમાં શંકર આવે તો ભાદરવામાં પિતાની પાછળ પાછળ પુત્ર ગણેશ આવે. ભાદરવા સુદ ચોથે ગણેશ ચતુર્થી આવે છે. જ્યારે વિઘ્નહર્તા ગણપતિની પૂજા થાય છે.
પિતા અને પુત્ર આવે પછી માતા શા માટે રહી જાય?

આ પણ વાંચો…આચમન : કોમી એકતાના પ્રતીક: ચોમાસાથી દિવાળી સુધી ઉત્સવોની વણઝાર

આસો માસના પહેલા દસ દિવસ એટલે માતાના ઉત્સવના દિવસ. આમ તો એને નવરાત્રિ કહે છે. નવરાત્રિમાં હવે તો છેક દુબઈ, મસ્કત, ઓમાન અને શારજાહ જેવા દુનિયાના અનેક દેશોમાં દાંડિયા રાસની રમઝટ બોલાય છે.
લંડનમાં વેમ્બલી, હેરો અને લેસ્ટરમાં દાંડિયા રાસની જમાવટ થાય છે. અહીં અમેરિકાના ન્યૂ યોર્ક, ન્યૂજર્સી, એટલાંટા, શિકાગો જેવાં અનેક રાજ્યોમાં નવરાત્રિની ઉજવણી, માતાની પૂજા- હોમહવન અને રાસ ગરબા ઠેર ઠેર સાંભળવા મળે છે. જેમાં આ લખનારા પણ સહ કુટુંબ સામિલ થાય છે.

આટઆટલી રાત સુધી આનંદ કર્યા પછી પણ ઘણા રાસરસિયાઓને સંતોષ થતો નથી એટલે ફરી પાંચેક દિવસના વિરામ પછી શરદ પૂનમની રાત્રે દાંડિયા રાસ અને લોકસાહિત્યના કાર્યક્રમો મુંબઈ, અમદાવાદ, રાજકોટ વગેરે દેશના રાજ્યોમાં આવેલ આયોજકોના સથવારે ઠેરઠેર યોજાય છે અને એ પછી તમામ ઉત્સવોની પટરાણી સમી દિવાળીની વાટ જોવાય છે.
આસો મહિનાના છેલ્લા પાંચ દિવસ એટલે દિપોત્સવ. જેને સામાન્ય માણસ દિવાળીના નામે ઓળખે છે. દેશના ખૂણે ખૂણે દિવાળી શાનદાર રીતે ઉજવાય છે. ઘેર ઘેર તોરણ બંધાય, સાથિયા પુરાય, મિષ્ટાન-પકવાન રંધાય, દીવા પ્રગટાવાય, નવાં વસ્ત્રોમાં સજ્જ થઈને લોકો એકમેકને મળે, લક્ષ્મીપૂજન કરે, ચોપડામાં નવું ખાતું (મિતિ) નાખે અને ઉત્સવની પરાકાષ્ટારૂપે આતશબાજી શરૂ થાય.

આ પણ વાંચો…આચમન : મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ આદર્શ પુત્ર-આદર્શ પતિ ને આદર્શ રાજવી…

આ અગાઉ બધા ઉત્સવો અમુક ચોક્કસ વર્ગના લોકોના ગણાતા, પરંતુ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન અને એ પછી હવે તમામ જાતિ-કોમના લોકો લગભગ તમામ ઉત્સવો ઉજવે છે.

  • આપણા ઉત્સવો હૈયાના મિલન સમાન;
  • વિવિધ ફૂલોથી બનેલા ગુલદસ્તા સમાન આપણા મહાન ભારત દેશની આવી કોમી એકતાને નત્ મસ્તકે પ્રણામ-સલામ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button