મનન : ભય ને સમજતા પહેલા ડર ને સમજવો પડે

- હેમંત વાળા
ગીતામાં દૈવી સંપત્તિની સૂચિમાં સૌથી અગ્રસ્થાન અભયને આપવામાં આવ્યું છે. આ હકીકત કંઈક વિચાર કરવા પ્રેરે છે. બીજી કોઈ બાબતોને નહીં પણ અભયપણાને આટલું મહત્ત્વ શા માટે? કહેવાય છે કે પ્રાણીમાત્ર આહાર-નિંદ્રા-ભય-મૈથુનમાં રચ્યો-પચ્યો રહે છે. તેના શરીરનો નિર્વાહ ચાલે તે માટે આહાર લે છે, શરીરના નિર્વાહ માટે જ નિદ્રા ની જરૂર પડે છે, મૈથુનમાં પણ શરીર કેન્દ્ર સ્થાને છે તો પછી ભયને લગતી બાબતો પણ શરીર લક્ષી જ હોય એમ માનવા મન પ્રેરાય છે.
ભય ને સમજતા પહેલા ડર ને સમજવો પડે અને ભય તથા ડર એ ભિન્ન છે કે નહીં અને જો ભિન્ન હોય તો એ ભિન્નતા કયા પ્રકારની છે. શ્વાસ રોકાતા મૃત્યુનો ડર લાગે માનવીને માંદગી અને ઘડપણનો પણ ડર લાગે, વળી ક્યાંક સંભવિત નિરાશા અને નિષ્ફળતા પણ ડરના કારણરૂપ હોઈ શકે. સમાજ ક્યાંક આપણને ખોટા ન સમજી લે તેનો પણ ડર હોઈ શકે. જે વ્યક્તિ અનૈતિક કાર્ય કરતો હોય તેને છતાં થઈ જવાનો પણ ડર હોય. આ બધી વાતથી એમ જણાય છે કે ડર એ સમાજ સાથેના વ્યવહારને કારણે આવતા સંભવિત અસ્વીકૃત પરિણામને કારણે ઉદ્ભવે છે.
એની સામે એમ જણાય છે કે ભય એ ‘હું અને મારા’ કારણે ઉદ્ભવતો ભાવ છે. હું અને મારાપણાને કારણે જે જે લગાવ ઊભો થાય, જે જે ગમતા બંધનો બંધાતાં જાય, જે જે મમત્વની ભાવના જાગે અને મોહની માયાજાળ પ્રસરે – તે બધાને હાની પહોંચવાની સંભાવના જાગે અને જે ભાવ જન્મે તે ભય છે એમ લાગે છે. જો કે આ બાબત એટલી બધી સ્પષ્ટ પણ નથી. પરંતુ જ્યારે ભગવત-ગીતામાં દૈવી સંપત્તિના ક્રમમાં અભયનો સૌથી પહેલો ઉલ્લેખ થાય ત્યારે એમ તો માની જ શકાય કે ભય એ મોહ અને માયાનું પરિણામ હોવું જોઈએ. ભય એ ‘હું અને મારા’થી ઉત્પન્ન થતાં અહંકારનું પરિણામ હોવું જોઈએ. જ્યારે ડર એ દુનિયાની વ્યવહારને કારણે ઉત્પન્ન થતો ભાવ છે.
નીડર એટલે એવી વ્યક્તિ કે જે સર્વ સંજોગોમાં – સર્વ કાર્યનો – સર્વ પરિસ્થિતિનો ધૈર્ય અને હિંમતપૂર્વક સામનો કરી શકે. તેના મનમાં ભવિષ્યની સંભાવનાઓને પહોંચી વળવાના પોતાના સામર્થ્ય માટે સંશય કે દ્વિધા ન હોય. તે વ્યક્તિ એક નિષ્ઠાથી એક ધ્યેયને વળગી રહે અને કોઈનો સાથ સથવારો હોય કે ન હોય તો પણ લીધેલા લક્ષ્યને પાર પાડવા આગળ વધી જાય. નીડર વ્યક્તિ અજાણી તથા સંભવિત જોખમી પરિસ્થિતિને પણ એક પડકાર તરીકે ઝીલી લે. તે સંભવિત પરિણામ માટે તૈયાર હોય તે કોઈની પણ ખોટી તમા ન રાખે. નીડર વ્યક્તિ ક્યાંયથી પાછો ન પડે.
તો નિર્ભય વ્યક્તિ પણ નીડર વ્યક્તિ સમાન જ છે એમ ક્યાંક કહી શકાય! અહીં ફેર ભય અને ડર વચ્ચેનો છે. નિર્ભય બાળક હોય જ્યારે નીડર શૂરવીર હોય. બાળકને ભય શું છે એની ખબર જ ના હોય, તે તો નિર્દોષતાથી પોતાની બાલિશ રમતોમાં જ મશગૂલ હોય. દુનિયાથી સાવજ અજાણ વ્યક્તિને દુનિયાના ભયસ્થાનની પણ ખબર ન હોય; જ્યારે નીડર વ્યક્તિને આ ડર સ્થાનની ખબર હોય છે. નિર્ભયતા એ ક્યાંક માહિતગાર ન હોવાનું પરિણામ પણ હોઈ શકે જ્યારે નીડરતા એ માહિતગાર હોવા પછીનો ગુણધર્મ છે. નિર્ભયને ભયસ્થાન કે ભયમાત્રા માટે અજ્ઞાનતા હોય અથવા એવી બાબતોને તે સાવ તુચ્છ ગણતો હોય; તો નીડર વ્યક્તિ એ બધી જ સંભાવનાથી માહિતગાર હોય અને આવનારી સંભવિત સ્થિતિ માટે તૈયાર હોય.
આ મૂળભેદને કારણે જ કદાચ ગીતામાં દૈવી સંપત્તિ સાથે અભયતાને જોડવામાં આવી હશે. વ્યક્તિ જ્યારે ભયસ્થાનને પૂર્ણ રીતે અતિ ગૌણ સમજી પોતાની અલખ-મસ્તીમાં જીવે અને તે વખતે જેવી જે તેની આંતરિક સ્થિતિ હોય તે સ્થિતિ જ દૈવી સંપત્તિ. અહીં નિજાનંદ મસ્તીની વાત છે. વ્યક્તિ પોતાના અસ્તિત્વને ચારે તરફથી સંકેલી લે પછી કોઈપણ પરિસ્થિતિનો ભય ન લાગે, તેની સામે જ્યારે વ્યક્તિમાં પૂર્ણ પુરુષાર્થ પ્રગટ્યો હોય ત્યારે તેને ડર ન લાગે.
વળી અહીં પ્રશ્ન એ પણ થાય છે કે દૈવી સંપત્તિમાં અભયની ગણના થઈ છે નિર્ભયની નહીં. ગીતામાં કશું જ એવું નથી કે જ્યાં પ્રશ્નોની સંભાવના બાકી રહે. અભય શબ્દની પસંદગી પાછળ પણ મહાન સમજ હોવી જોઈએ. કોઈ એક શક્તિમાન વ્યક્તિ – સામર્થ્યવાન વ્યક્તિ બીજી વ્યક્તિને અભયદાન આપે છે, નિર્ભય દાન નહીં. એનો અર્થ એવો થાય કે અભયતા એ ચોક્કસ પરિસ્થિતિ સામેનું રક્ષણ છે જ્યારે નિર્ભયતા એ સંપૂર્ણતામાં મળેલું સંરક્ષણ છે. જ્યારે કોઈ વ્યક્તિ અભય છે એમ કહેવાય તો એ ચોક્કસ પરીપ્રેક્ષમાં અમુક બાબતો સામે સલામતીનો ભાવ રાખી શકે એમ છે જ્યારે કોઈ વ્યક્તિ નિર્ભય છે એમ કહેવાય તો તે દરેક બાબતો સામે સક્ષમ છે એમ મનાય. શામાં કહ્યા પ્રમાણે ભયનાં ચોક્કસ સ્થાનો છે જેમ કે કામ- ક્રોધ-લોભ-મોહ વગેરે. આ ભયના સ્થાનો ચોક્કસ હોવાથી તેની સામે જે પોતાને સલામત રાખી શકે તે અભય.
આપણ વાંચો શિવ રહસ્ય : પ્રભુ તમે વરદાન આપવા જ માગતા હોવ તો મને પુનર્જન્મના ભયથી મુક્ત કરો
વાત થોડી ગૂંચવાડા સમાન છે, પણ જો ગીતાને જ આધાર રાખીએ તો એમ ચોક્કસ કહી શકાય કે અભયતા એ ષટરીપુ સામેની ઢાલ છે. તેનાથી માનવી પોતાની જાતને પતન પામતો અટકાવી શકે છે. અભયતા એ આ રીતના કેન્દ્રિત છે અને જરૂરત આ અભયપણાની છે. જો આ અભયપણું પામી લેવાય તો દૈવી સંપત્તિની શરૂઆત થઈ છે એમ કહેવાય.