માનસ મંથન: કોઈને શાપ આપવાને બદલે તેને જીવનમાં પ્રેમપૂર્વક સમાધાન આપીએ

-મોરારિબાપુ
આપણે કોઈ સત્કર્મ કરતાં હોઈએ અને જો કોઈનું અપમાન કરીએ તો સત્કર્મ માત્ર એ જ ક્ષણે ઘટી જાય છે. સત્કર્મ સ્પર્ધા વાળા ન હોવા જોઈએ. સત્કર્મ સૌના મૌલિક હોવા જોઈએ. આ વખતની કથા આણે કરી, તો આવતા વખતની કથામાં હું વટ પાડી દઉં, એવા વટ ચાલે નહિં. આમાં તો કેવટ બને એ જીતે. રામના પગ ધોવા હોય તો વટ કામમાં નહીં આવે, કેવટ જ કામમાં આવશે. આપણે કહીએ કે ક્રોધ ન કરો. ખોટી વાત છે. ખોટી વાતો કરીએ છીએ કે ક્રોધ મૂકી દ્યો ! ઋષિ-મુનિઓએ પણ ખૂબ ક્રોધ કર્યો છે. હજારો વર્ષોના તપ પછી પણ શાપ આપ્યા છે ! શાપ ન આપો, સમાધાન આપો, ત્રેવડ હોય તો. ‘માનસ’માં ગોસ્વામીજીએ ત્રણ વખત ‘સમાધાન’ શબ્દ વાપર્યો છે. મારે આખી કથા ‘સમાધાન’ પર કરવી છે. જીવનના સમાધાનો શોધવાં છે. તમે જુઓ, શાપ આપવાની વાત આવી ત્યાં કાં તો ‘પ્રિય’ શબ્દ લખ્યો, કાં તો ‘મુનિ’ શબ્દ લખ્યો અને કાં તો ‘ઋષિ’ અથવા ‘મહાઋષિ’ શબ્દ લખ્યો. કોઈ જગ્યાએ સાધુએ શાપ આપ્યો એવું ‘રામાયણ’માં લખ્યું નથી! સાધુતાની અખંડતાનું અહીં સ્વાગત છે. મુનિઓ શાપ આપતા દેખાયા છે, ઋષિઓ દેખાયા છે. પણ ‘સાધુ’ એ શાપ આપ્યો એવું લખ્યું નથી. આમાં ‘સાધુ’ કોઈ જ્ઞાતિ નથી એ ધ્યાન દેજો. સાધુ વર્ણ બહાર છે. આપણી ગંગાસતી બોલ્યાં છે-
જાતિ રે છોડીને પાનબાઈ, અજાતિમાં
જાવું ને
મેલવો વરણનો વિકાર રે…
વર્ણ એ વિકાર છે. બ્રાહ્મણત્વ એ વિચાર અને વિવેકની એક ઊંચાઈ છે. એ તો વિશ્વમાં રહેવી જોઈએ. ક્ષત્રિયત્વ એ પ્રભુનું, દેશનું, ગાયોનું રક્ષણ કરવા માટે શક્તિનું સમ્માન છે. ખેતી, પશુપાલન, વેપાર માટે વૈશ્ય આયોજન સારું છે, અને સમાજને ઉજળો રાખવા માટે એ વ્યવસ્થા બરાબર છે, પણ ભેદ ન હોવો જોઈએ. શું કામ અમુક લોકો મંદિરમાં ન જઈ શકે? આવી પ્રથાઓએ દેશને બહુ નુકસાન કર્યું છે. એક ભૂલ સમાજની થઇ જાય એને રિપિટ ન કરાય.
તો, સાધુ કોઈ પણ હોય એ વર્ણની બહાર છે. અહીં સાધકે શાપ આપ્યો છે. અને અહલ્યા બોલ્યાં છે કે મુનિએ શાપ આપ્યો. બહુ તપ કરે એનામાં તેજ પણ હોય અને થોડોક એનો સ્વભાવ કડક પણ હોય એ તમે લખી રાખજો. હું તમને એમ કહેવા જાઉં છું કે ક્રોધ આવ્યા વગર કોઈ શાપ આપી શકે ? શાપ આપવા માટે ક્રોધ નિતાંત જરૂૂરી છે.
આ પણ વાંચો….માનસ મંથન: હે પરમાત્મા, તમને જે ગમશે એ મને ફાવશે
તો, ઋષિ શાપ આપે છે, પણ સાધુએ શાપ આપ્યો એવું ક્યાંય લખ્યું નથી. માટે સાધુનો સંગ કરવો. ‘સાધુ’ શબ્દ વાપરીને એક અદ્ભુત ઉદઘાટન કર્યું તુલસીએ. હનુમાનજીને થયું કે ભલે રાવણનો ભાઈ હોય, રાક્ષસની નગરી છે, પણ વિભીષણ સાથે હું પરાણે દોસ્તી કરીશ, કારણ કે સાધુની સાથે સંગ કરવાથી શાપ તો શું, જીવનના કોઈ કાર્યમાં હાનિ નથી થતી. આ સાધુસંગનો મહિમા છે. તેથી આપણે ત્યાં હંમેશાં, પ્રાચીન ભજનોમાં ‘અમને મુનિચરણે વાસ આપજો’ એમ નહીં, પણ ‘અમને સાધુચરણમાં વાસ આપજો’ એમ આવે છે. સાધુપદ બહુ મોટું છે. સાધુમાં પાંચેય વિદ્યા હોય, ભલે ભણ્યો ન હોય. એક, વેદવિદ્યા હોય છે. સાધુ પાસે વેદવિદ્યાના રૂપમાં રામકથા છે. આ અધ્યાત્મવિદ્યા છે.‘અધ્યાત્મ’ તો બહુ મોટો શબ્દ છે, પણ ‘અધ્યાત્મવિદ્યા’નો અર્થ એમ કે આપણા માટે નહીં, બીજાના માટે આપણે વિદ્યાનો ઉપયોગ કરીએ એ આધ્યાત્મિક વિદ્યા છે. હું યજ્ઞ મારા માટે ન કરું, જગતના કલ્યાણ માટે કરું તો એ યજ્ઞ આધ્યાત્મિક છે. અને સાધુનું તો જીવન જ બીજા માટે હોય એટલે અધ્યાત્મવિદ્યાનો એને અધિકાર છે.
તો, સમાધાન આપો, શાપ નહીં. સમાધાન ત્રણ રીતે અપાય. એક, તમે માનસિક રીતે સમાધાન આપો. એક માણસ તમારી સામે આવે અને જો તમારામાં તપસ્યા હોય તો માનસિક રીતે તમે એના મનનું સમાધાન કરી શકો. બીજું, વાચિક રીતે તમે સમાધાન આપો. પાસે બેસાડો, પ્રેમથી સમજાવો તો તેનું સમાધાન થઈ જાય. ત્રીજું, કર્મથી સમાધાન કરો. વિચારોથી સમાધાન ન થાય,વાણી તમારી નબળી પડે તો તેને કરીને દેખાડો ! ‘મારું જીવન એ જ મારો સંદેશ’ એવું મહાત્મા ગાંધીએ કહ્યું છે.
આ પણ વાંચો….માનસ મંથન : નિષ્કામ થવું આસાન છે – ભોગવવું આસાન છે, પરંતુ સમ્યક રહેવું બહુ મુશ્કેલ છે…
મન, વચન અને કર્મથી સમાધાન અપાય; એટલે મારો તુલસી આટલા મોટા સદ્ગ્રંથમાં ‘સમાધાન’ શબ્દ ફક્ત ત્રણ વખત વાપરે છે. વિચારોને સંક્રામક કરીને સમાધાન આપો. એક બિલાડી સમુદ્રના તટ પર ઊભી હતી અને તેના બચ્ચાને લોકો સમુદ્રના તળિયે લઇ ગયા. ઉપર એવાં યંત્રો ગોઠવ્યાં કે તળિયે બચ્ચાંને પીડા આપવામાં આવી તો તેની અસર તટ પર ઊભેલી બિલાડીને થઈ! આ સંક્રમકતા છે, સંવેદના છે.
ઠાકુર રામકૃષ્ણ પરમહંસનો શબ્દ, આ ‘સમાનુભૂતિ’ છે. ઠેસ કોઈને લાગે તો આંખમાં આંસુ આપણને આવવા જોઈએ; તે સમાનુભૂતિ છે. બીજી તરફ એવો પ્રયોગ કર્યો કે બિલાડીનું ગળું મરડ્યું ત્યાં તળિયે રહેલાં બચ્ચાં તડપવા લાગ્યાં! આ વૈચારિક સંક્રમકતા છે. બુદ્ધપુરુષો વિચારોથી બહુ કામ કરે. બોલવું તો મજબૂરી હોય છે, વિચારો જ સંકરામક હોય છે. આધુનિક વિજ્ઞાન તેને ટેલિપથી કહે છે. આપણે જ આપણી સમસ્યા છીએ અને આપણે જ તેના સમાધાનો શોધવાં પડશે. બાકી કહ્યું તેમ ત્રણ રીતે સમાધાનો આપી શકાય. માનસિક, વાચિક અને કર્મ દ્વારા. આપણી દીવાલ આપણે જ છીએ. આપણે જ આપણી સમસ્યા છીએ. તેનો ઉપાય આપણે જ મેળવવો પડશે. મહાદેવ માર્ગદર્શન આપશે, તેનાથી થાય તેટલા ઉપાયો પણ કરશે, પણ આપણે જ આપણી રીતે સમાધાન શોધવા પડશે. મારાં ભાઈ-બહેનો, શાપ દેનારા સમાધાન આપે તે જરૂરી છે. – સંકલન: જયદેવ માંકડ
આ પણ વાંચો….માનસ મંથન: માણસના મનને ચગદી નાખો તો એનું કેટલું પાપ લાગે ?