ધર્મતેજ

ચિંતન: વૃક્ષમાં પીપળો હું છું…

-હેમુ ભીખુ

વિભૂતિ યોગમાં ઘણી વાતો કહેવાય છે. કેટલીક વાતો બુદ્ધિના સામાન્ય સ્તરથી ઉપરની ઘટના સમાન છે. છતાં પણ વિભૂતિ યોગની દરેક વાતને બુદ્ધિના ચોકઠામાં બેસાડવાનો પ્રયત્ન થાય છે. બુદ્ધિ એ જ માનવા તૈયાર થાય જે માનવા તે તૈયાર હોય. બુદ્ધિનો દરેક નિર્ણય તેણે માની લીધેલા સત્યને આધારિત હોય છે. જરૂર નથી કે આ આધાર વાસ્તવિક સત્ય હોય. માનવી બુદ્ધિના ક્ષેત્રની બહાર ‘નજર’ કરવાની ક્ષમતા ગુમાવી બેઠો છે, અને તેથી તેને તે ક્ષેત્રની અંદરની ઘટના જ સાચી યથાર્થ અને ઉપયોગી લાગે છે.

સમજવાની વાત એ છે કે બુદ્ધિના ક્ષેત્રની બહાર પણ એક વિસ્તાર છે. આ વિસ્તારને આપણે અગમ્ય વિસ્તાર કહીશું. અગમ્ય વિસ્તારમાં બુદ્ધિ સાથે ગમન થઈ શકતું નથી અને તેથી તે વિસ્તારમાં આકાર લેતી ઘટના અન્ય પરિપ્રેક્ષ્યથી જ સમજમાં આવી શકે. જેમ બુદ્ધિનો તર્ક હોય છે તેમ અગમ્ય વિસ્તાર માટે પણ ચોક્કસ પ્રકારનો તર્ક સ્થાપિત હોય છે.

બુદ્ધિનાં ક્રમબદ્ધ વિચારની જેમ અગમ્ય વિસ્તારમાં પણ ચોક્કસ પ્રકારની વિચાર-ક્રમતાના આધારે નિષ્કર્ષ સુધી પહોંચી શકાય. જ્યારે અગમ્ય વિસ્તારની વાત થાય ત્યારે આ બધી જ બાબત જુદા સ્તરની હોય. અગમ્ય વિસ્તારમાં નિર્ણય લેવાની પ્રક્રિયાનો આધાર સાવ જ ભિન્ન હોય છે. અહીં ક્યાંક અનેક જન્મથી ચિત્તમાં એકત્રિત થયેલી ઘટનાઓને આધારે સ્થાપિત થયેલાં સત્યનું મહત્ત્વ રહે.

અહીં પ્રત્યક્ષ ન થયેલ પરંતુ પરોક્ષ રીતે અનુભવાયેલ ઘટના પણ આધાર ગણાય. સમજણ સ્થાપિત કરવા અહીં ચૈતન્ય-શક્તિ સત્યને ઉજાગર કરી શકે. અહીં શાસ્ત્ર દ્વારા સ્થાપિત અવધારણા પર વિશ્વાસ મૂકવાની પરંપરા રહેલી છે. વૃક્ષમાં હું પીપળો છું તે વિધાન આ અગમ્ય વિસ્તારનાં પરિપ્રેક્ષ્યમાં આવે.

સનાતનની સંસ્કૃતિમાં અશ્વત્થ અર્થાત પીપળાના વૃક્ષનું આગવું મહત્ત્વ છે. તેને વૃક્ષોનો રાજા કહેવાય છે. વિભૂતિ યોગમાં શ્રીકૃષ્ણ સ્વયં કહે છે કે ‘અશ્વત્થ: સર્વવૃક્ષાણાં’, અર્થાત્, ‘સર્વ વૃક્ષોમાં પીપળો હું છું.’ એક માન્યતા મુજબ બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ એ ત્રણેય પીપળામાં વાસ કરે છે. પીપળો પવિત્ર છે અને તેની પૂજા કરવાથી પિતૃદોષ દૂર થાય છે, પિતૃ સંતૃપ્ત થતાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે.
પીપળાના વૃક્ષ સાથે કેટલીક વૈજ્ઞાનિક બાબતો પણ સંકળાયેલી છે. પીપળો એકમાત્ર એવું વૃક્ષ છે કે જે રાત્રે પણ પ્રાણવાયુ છોડે છે. પીપળાનાં છાલ, પાન, ટેટાંનો આયુર્વેદમાં પણ ઉપયોગ થાય છે. એમ કહેવાય છે કે પીપળાનો છાંયડો વધુ શીતળતા આપતો હોય છે. હવાને શુદ્ધ કરવા માટે પણ પીપળાની ભૂમિકા હોય છે.

પરંતુ એ વાત માનવા મન તૈયાર નથી થતું કે વિભૂતિ યોગમાં પીપળાને એટલા માટે સ્થાન મળ્યું હશે કે તે 24 કલાક પ્રાણવાયુ આપે છે. આવો તર્ક પછી વાસુકી સર્પ અને અનંત નાગ માટે પણ લાગુ પડે. અહીં તે પ્રકારના તર્ક માટેનો અવકાશ નથી. તેથી જ પીપળા માટે અગમ્ય વિસ્તારમાં જઈને વિચારવું પડે.

પીપળો કોન્ક્રીટની દીવાલ ફાડીને ઊગે. આ દીવાલમાં પોષક દ્રવ્યોનો સદંતર અભાવ હોવા છતાં પીપળો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખી શકે. જ્યાં મળે ત્યાંથી, જે રીતે મળે તે રીતે, જેટલી માત્રામાં મળે તેટલી માત્રામાં અને જ્યારે મળે ત્યારે તે પોતાના અસ્તિત્વ માટેનાં પોષક દ્રવ્યો મેળવી જ લે. જીવવાની, અસ્તિત્વને ટકાવી રાખવાની, વિપરીત સંજોગોમાં પણ જીવનની શરૂઆત કરવાની અભૂતપૂર્વ ક્ષમતા પીપળામાં છે.

સૌથી વિપરીત પરિસ્થિતિમાં જો કોઈ વૃક્ષ પોતાનું હર્યું-ભર્યું અસ્તિત્વ જાળવી શકવા સમર્થ હોય તો તે પીપળો છે. વળી તેમાં પ્રત્યેક વૃક્ષમાં સામાન્ય રીતે હોય છે તે બધાં જ અંગ પણ હોય છે. મર્યાદાને કારણે અહીં કશાની બાદબાકી નથી. વૃક્ષની પરિકલ્પનામાં સમાવિષ્ટ કરાયેલ કોઈપણ બાબતનો અભાવ પીપળામાં ન હોય. સાવ વિપરીત પરિસ્થિતિ વચ્ચે અસ્તિત્વમાં આવેલું તે સંપૂર્ણ વૃક્ષ છે. આમ પીપળા માટે જ કહી શકાય-પીપળો જ આ રીતે અસ્તિત્વને સાકાર કરી શકે.

પીપળાની જિજીવિશા અદ્ભુત છે. વિપરીત સંજોગોમાં પણ પોતાનાં સ્થાપિત કર્મ કરવાં માટેનું સામર્થ્ય તે કેળવી લે છે. કઠિન પરિસ્થિતિમાં પણ અસ્તિત્વની કોઈ પણ બાબત સાથે બાંધછોડ કરવાં તે તૈયાર નથી. પીપળો વિપરીત પરિસ્થિતિને પણ અનુકૂળ બનાવી અર્થપૂર્ણ અસ્તિત્વ જાળવી રાખે છે. એ સંપૂર્ણતામાં પોતાનું અસ્તિત્વ ચેરીશ કરવાં સમર્થ છે. તેથી સ્વાભાવિક રીતે પીપળો જ દિવ્ય શક્તિનું પ્રતિનિધિ બની શકે.

કોઈપણ પરિસ્થિતિમાં ઉદ્ભવવાની, ટકી રહેવાની, વિકાસ પામવાની અને અસ્તિત્વને માણવાની સંભાવના સૃષ્ટિનાં દરેક તત્ત્વ પાસે છે. પરંતુ કેટલાંક તત્ત્વ અકલ્પનીય કહી શકાય તેવી વિકટ પરિસ્થિતિમાં પણ અસ્તિત્વને અર્થપૂર્ણ બનાવી રાખે છે. સૃષ્ટિનો આ મૂળભૂત ધર્મ હોય તેમ જણાય છે. સૃષ્ટિની આ પ્રકૃતિ છે. વાસ્તવમાં સૃષ્ટિનું અસ્તિત્વ જ એટલાં માટે છે કે તે કોઈપણ સંજોગોમાં અસ્તિત્વ ટકાવી શકે છે.

પોતાની રીતે પ્રત્યેક પરિસ્થિતિમાં અસ્તિત્વને ટકાવી રાખવા સમર્થ પરિબળોનો યોગ્ય રીતે, યોગ્ય માત્રામાં, યોગ્ય હેતુસર, યોગ્ય પરિણામ માટે, યોગ્ય સંયમ સાથે, વ્યયને નિયંત્રિત રાખીને, યથાર્થ સ્વરૂપે ઉપયોગ કરવો એ સૃષ્ટિનો સ્વભાવ છે. અશ્વત્થ સૃષ્ટિનાં આ સ્વભાવનું પ્રત્યક્ષ પ્રતિક સમાન છે.

પીપળો સૃષ્ટિના સંચાલનના નિયમોના હાર્દ સમાન આ સિદ્ધાંતનું પ્રતિનિધિ છે. વિભૂતિ યોગમાં જે તે પ્રજાતિમાં શ્રેષ્ઠ બાબતોનું નિર્દેશન કરાયું છે. કઈ બાબત શ્રેષ્ઠ છે તેનો નિર્ણય માત્ર સામાન્ય જન સમાજમાં માન્ય વૈજ્ઞાનિક બાબતોને આધારિત ન હોઈ શકે.

ગીતાનું જેટલું ઊંડાણ છે, ગીતાનો જે વ્યાપ છે, ગીતામાં જે ગંભીરતા છે, ગીતામાં જે જે પ્રકારના સ્તર સ્થાપિત થયાં છે, ગીતાનું જે પ્રકારનું ઉત્તરદાયિત્વ છે, ગીતામાં જે સત્ય છે, ગીતામાં જે સમાજ પ્રત્યેની કટિબદ્ધતા પ્રતીત થાય છે, ગીતાનું જે તાત્પર્ય છે, ગીતામાં જે રીતે વેદ-ઉપનિષદ-સાંખ્ય-યોગનો સમન્વય કરાયો છે, બુદ્ધિ ઉપરાંતના ક્ષેત્ર માટે પણ ગીતાની જે સમાવેશિયતા છે;
તે બધું જોઈને એમ તો કહી જ શકાય કે પીપળાની પસંદગી માત્ર ઓક્સિજન કે આયુર્વેદ માટેના હોઈ શકે. જો સૃષ્ટિની રચના સમજાવવા માટે ગીતામાં જ, જેનાં મૂળ ઉપર છે તેવાં પીપળાના વૃક્ષનું પ્રતીક વપરાયું હોય, તો પીપળો સામાન્ય બુદ્ધિની પહોંચના વિસ્તારની બહારની ઘટના છે તેમ ચોક્કસ કહી શકાય.

સૂક્ષ્મ વિશ્વમાં પીપળો અસ્તિત્વની પરંપરાનું પ્રતીક હોઈ શકે, જીવન પ્રત્યેની કટિબદ્ધતા માટે પીપળો એ સકારાત્મક ઉદાહરણ હોઈ શકે, દરેક પરિસ્થિતિમાં સફળતાથી જીવનને સાર્થક બનાવવાના અભિગમ માટે તે સંદેશો હોઈ શકે, વૃક્ષની ઉત્ક્રાંતિનું તે અંતિમ ચરણ હોઈ શકે, તેમાંથી નીકળતા તરંગો શુદ્ધતા તથા પવિત્રતા માટે સહકારી હોઈ શકે, અને કોઈ પ્રકારની સૂક્ષ્મ શક્તિનું તેને સાનિધ્ય પ્રાપ્ત હોઈ શકે. સૃષ્ટિના સમીકરણમાં પીપળો એ સામાન્ય ઘટના ન જ હોઈ શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button