ધર્મતેજ
અલૌકિક દર્શન : પરમાત્મા સંકલ્પ દ્વારા બધું કરી શકે છે

-ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
- માનવચેતનાની વિકાસયાત્રામાં એક નવું સોપાન ઉમેરવા માટે અથવા કોઈ અણીના પ્રસંગે માનવજાતિને બચાવીને તેને કોઈ માર્ગ ચીંધવા માટે અવતાર આવે છે. અવતારનાં બહિરંગ કાર્યો કરતાં અવતાર આવીને માનવચેતનામાં જે તત્ત્વની સ્થાપના કરે છે તે વિશેષ મૂલ્યવાન છે.
- માનવશરીરમાં રહીને માનવીય સંજોગોમાં જીવતાંજીવતાં પરમાત્મામાં કેવી રીતે આરોહણ કરવું તેનું એક દૃષ્ટાંત અવતાર આપણી સમક્ષ રજૂ કરે છે. અવતારરૂપે પ્રભુ પોતે જ કૃપા કરીને પોતાના સુધી ચાલવાના માર્ગ પર પોતે જ ચાલી બતાવે છે.
- પોતાના ભક્તો અને સાધુપુરુષોના રક્ષણ માટે અને દુષ્ટોના નાશ માટે પણ પ્રભુ આવે છે.
આ પણ વાંચો…અલૌકિક દર્શન: હિન્દુ ધર્મમાં બધી પ્રકૃતિના માનવો માટેનો અધ્યાત્મ પથ ઉપલબ્ધ છે
‘परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्
પરિત્રાણય સાધુનામ વિનાશય ચ દુષ્કૃતામ્|’ ગીતા- 4-8
‘સાધુપુરુષોના રક્ષણ માટે અને દુષ્ટોના વિનાશ માટે (હું અવતાર ધારણ કરું છું.)’
- અવતારના પ્રકારો:
પરમાત્મા તો એકમેવાદ્વિતીય છે. ભિન્નભિન્ન અવતારોમાં એક જ ભાગવત ચેતના કાર્યરત હોય છે. આ દૃષ્ટિએ જોઈએ તો અવતારના પ્રકારો ન પાડી શકાય. આમ છતાં અવતારમાં અભિવ્યક્તિની ભિન્નતા હોય છે. આમ હોવાથી અવતારનાં સ્વરૂપ, શક્તિ, કાર્યક્ષેત્ર આદિમાં ભિન્નતા જણાય છે. આ ભિન્નતાને દૃષ્ટિ સમક્ષ રાખીને અવતારોના પ્રકાર પાડી શકાય છે. - પૂર્વાવતાર કે લીલાવતાર:
પરમાત્મા પોતાના પૂર્ણ સ્વરૂપે માનવદેહમાં અવતરે ત્યારે તે સ્વરૂપના અવતારને પૂર્ણાવતાર કે લીલાવતાર કહેવામાં આવે છે. ભગવાન નારાયણ, શ્રીરામ, શ્રીકૃષ્ણ, શ્રીચૈતન્ય, શ્રીરામકૃષ્ણ આદિ પૂર્ણાવતાર કે લીલાવતાર છે. - અંશાવતાર:
પરમાત્મા પોતાના અમુક અંશથી અવતરે ત્યારે તે અંશાવતાર કહેવાય છે. દત્તાત્રેય આદિ અંશાવતાર ગણાય છે. સૃષ્ટિનાં સર્જન તથા સંચાલન માટે પરમાત્મા પોતાના અંશથી જે સ્વરૂપો ધારણ કરે છે તે પણ અંશાવતાર ગણાય છે. બ્રહ્મા આદિ પરમાત્માના અંશાવતારો ગણાય છે. - અંશાંશાવતાર:
સૃષ્ટિ સંચાલન માટે બ્રહ્માજીની સાથે મરીચ આદિ ઋષિઓ પણ હોય છે. તેઓ ભગવાનના અંશાંશાવતાર ગણાય છે. - કલાવતાર:
પ્રત્યેક યુગમાં પરમાત્મા કોઈ વિશિષ્ટ કાર્ય માટે પોતાની અમુક કલાથી અવતરે છે, તે સ્વરૂપના અવતારને કલાવતાર કહેવામાં આવે છે. વ્યાસ, કપિલ આદિ કલાવતાર ગણાય છે. - આવેશાવતાર:
કોઈ વિશિષ્ટ સંયોગોમાં, કોઈ વિશિષ્ટ કાર્ય સિદ્ધ કરવા માટે પરમાત્મા કોઈ સમર્થ પુરુષમાં અમુક નિશ્ર્ચિત સમય માટે પોતાની ચેતના મૂકે છે. તે નિશ્ર્ચિત સમય માટે તે પુરુષ પરમાત્માની ચેતના અને શક્તિથી યુક્ત થઈને તે મહાકાર્ય પૂરું કરે છે. તે સમયે તે પુરુષ પરમાત્માનો આવેશાવતાર ગણાય છે. ભગવાન પરશુરામ પરમાત્માનો આવેશાવતાર ગણાય છે. નિશ્ર્ચિત સમયે તે કાર્ય પૂરું થયા પછી તેઓમાં અવતારી ચેતના કે શક્તિ રહેતી નથી. પછી તેઓ અવતાર તરીકે નહીં, ઋષિ તરીકે રહે છે. - અવતાર વિષયક શંકાઓનું સમાધાન:
આધુનિક માનસ બુદ્ધિવાદી માનસ છે, તેથી આધુનિક માનસ માટે અવતારમાં શ્રદ્ધા મૂકવાનું કાર્ય મુશ્કેલ છે. આધુનિક માનસમાં અવતાર વિષયક અનેક શંકાઓ ઉપસ્થિત થાય છે. આમાંની મુખ્યમુખ્ય શંકાઓનું સમાધાન અહીં પ્રસ્તુત છે. - પરમાત્મા સ્વયંસંપૂર્ણ છે. જે પૂર્ણ છે તેને માનવસ્વરૂપ ધારણ કરવાની શી જરૂર? પોતાની કઈ અપૂર્ણતા ભરવા માટે પરમાત્માને અવતાર ધારણ કરવો પડે છે? અને પૂર્ણ પરમાત્મા માનવ જેવું સામાન્ય સ્વરૂપ ધારણ કરે શા માટે?
પરમાત્મા માનવસ્વરૂપે અવતરે તેથી તેની પૂર્ણતામાં કોઈ બાધ આવતો નથી. પરમાત્મા પોતાની કોઈ અપૂર્ણતાની પૂર્તિ કરવા માટે માનવસ્વરૂપે અવતરે છે, તેવું નથી. વસ્તુત: અવતરણ પણ તેની પૂર્ણતાનું એક સ્વરૂપ છે, એક પાસું છે. પરમાત્મા અનંત છે. તેનાં અનંત પાસાં છે. અનંત પરમાત્માનાં અનંત પાસાંઓમાંનું અવતરણ પણ એક પાસું છે. જે પૂર્ણ હોય તે બધું જ હોઈ શકે, તો અવતાર શા માટે ન હોઈ શકે?
આ પણ વાંચો…અલૌકિક દર્શન : અવતાર કામક્રોધાદિ આવેગને આધીન હોતો નથી