ગીતા મહિમા : તમે વિશિષ્ટ છો !

-સારંગપ્રીત
ક્યારે પણ પોતાની જાતને ઓછી ન આંકવી જોઈએ. દરેકની અંદર કુદરતી વિશેષતા સમાયેલી હોય છે. બસ, એને ઓળખીને એનો સદ્ઉપયોગ કરીને આગળ વધવું ખૂબ મહત્ત્વ ધરાવે છે
ગત અંકમાં ‘ધૃતિ’ને દૈવી ગુણોમાં સ્થાન આપીને હવે ભગવાન કૃષ્ણ ‘તેજ’ ને સમજાવી રહ્યા છે.
અહીં સામાન્યપણે લોકો એવું માનશે કે તેજ એટલે તિખારા ! જેમાંથી લોકો દાઝી ઊઠે તે તેજસ્વી ! એવું નથી. તેજ એટલે તમારી અંદરનું સત્ત્વ ! જે તમને જીવંત રાખે છે. બહારથી નહીં અંદરથી ! આ જ તમારી આગવી વિશેષતા છે, જે ભગવાને તમને આપી છે.
ભારતના પૂર્વરાષ્ટ્રપતિ અને પ્રખર વૈજ્ઞાનિક ડો.કલામે You are born to blossom નામના પુસ્તકમાં લખ્યું છે કે કોઇ વ્યક્તિ સામાન્ય નથી, સામાન્ય દેખાવ કે સામાન્ય રીત-ભાત જોઈને માણસ પર સદા માટે સર્વક્ષેત્રમાં સામાન્યનો સ્ટેમ્પ મારવો કદાપિ યોગ્ય નથી. હકીકત તો એ છે કે ભગવાને દરેક વ્યક્તિને વિશિષ્ટ બનાવી છે. તેજસ્વી બનાવી છે.
સામાન્ય બુદ્ધિ ઘણી વાર અસામાન્ય કાર્યો કરી શકે છે. જે છોકરાઓ ભણવામાં સામાન્ય લાગતા હોય એને મા-બાપ, મોટા ભાઈબહેનો કે શિક્ષકો અવારનવાર ઠપકો આપતા હોય છે. જે ઉંમરે એમને પ્રોત્સાહનની જરૂર હોય એ ઉંમરે એમને મહેણાં-ટોણાં સાંભળવા મળે છે. એમની પ્રગતિ એથી અવરોધાય છે અને નિરાશા એમને ઘેરી વળે છે.
પરંતુ કેટલીક વ્યક્તિઓમાં જીવનનું બળ એટલું બધું હોય છે કે મહેણાં અને મશ્કરીની ઉપરવટ જઈને પણ તે સફળતા મેળવે છે.
ચર્ચિલે આ બાબતમાં પોતાની આત્મકથામાં બહુ સરસ વાત લખી છે, શરૂઆતનાં વર્ષોમાં ચર્ચિલ ભણવામાં બહુ ઠોઠ. ઈંગ્લેન્ડમાં એ વખતે બાળકો માટે લેટિન ભાષા શીખવાનું ફરજિયાત હતું. આપણી ભાષાઓમાં જેમ સંસ્કૃતમાંથી ઊતરી આવ્યાનું મનાય છે, એમ અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન વગેરે ભાષાઓની જનની તરીકે લેટિન ભાષા ગણાય છે. લેટિન આવડે નહીં તો અંગ્રેજી પણ ન આવડે એમ માનીને વિદ્યાર્થીઓને લેટિન ભાષા શરૂઆતથી જ શીખવવામાં આવતી હતી. ચર્ચિલને લેટિન કોઈ રીતે આવડે નહિ. લેટિનનાં રૂપ મેન્સા-મેન્સી ગોખી ગોખીને જીભના લોચા વળી જાય, પણ ગાડું આગળ ચાલે નહિ.
આ પણ વાંચો…ગીતા મહિમા : નવજીવનનો ઉજાસ
શિક્ષકો ઘણી મહેનત કરે, પણ ચર્ચિલને વિદ્યા ચડે નહિ. ચર્ચિલ લોર્ડનો દીકરો. શિક્ષકો ખાસ કાળજી લઈને એને ભણાવે, પણ ચર્ચિલના મગજમાં લેટિન કોઈ રીતે ઘૂસે નહિ. આખરે શિક્ષકો થાક્યા. ચર્ચિલ ઉપર ‘ડોબા’ની છાપ મારી દીધી.
પરંતુ, આવો આ ડોબો અંગ્રેજી ભાષાના નિષ્ણાત લેખક તરીકે પ્રખ્યાત થયો. લેટિનની ઓશિયાળ વિના જ એણે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ મેળવ્યું. ચર્ચિલની ભાષા વાચકને મોહ પમાડે અને જકડી રાખે એવી છે.
આપણે જેને બુદ્ધિ કહીએ છીએ, એ બહુ વિચિત્ર વસ્તુ છે. માત્ર, માણસના આઈ. ક્યૂ. બહુ ઉપરથી એની સફળતા કે પ્રગતિનું માપ કાઢી શકાતું નથી. અને આઈ.ક્યૂ. બાબતમાં પણ ઘણીવાર અસાધારણ બનાવો બની શકે છે. ઓછા આઈ.ક્યૂ. વાળી વ્યક્તિઓ વધારે આઈ. ક્યૂ. વાળી વ્યક્તિઓ કરતાં એમના ક્ષેત્રમાં જ વધું આગળ નીકળી જઈ શકે છે.
નોબલ પારિતોષિક વિજેતા રિચાર્ડ ફીમેનનાં પત્ની એમના જીવનનો એક પ્રસંગ યાદ કરતાં કહે છે કે, ભૌતિકશામાં નોબેલ પારિતોષિક મેળવનાર રિચાર્ડ ફીમેન, નોબેલ પારિતોષિક માટેના અર્પણ સમારંભમાથી પાછા ફરતાં ન્યૂયોર્ક રોકાયા. ત્યાં પોતાના સ્કૂલનો રેકોર્ડ જોઈને એમણે કહ્યું સ્કુલમાં કોઈ વિષયમાં મને સારાં માર્કસ મળતાં નહોતા ! મારો આઈ.ક્યૂ. પણ માત્ર ‘124’ હતો , જે સામાન્ય કરતાં સહેજ ઊંચો હતો.
પછી, એકાએક પોતાની પત્ની તરફ ફરીને એમણે કહ્યું ‘નોબલ પારિતોષિક મેળવવું એ કોઈ ખાસ બાબત નથી,
પરંતુ ‘124’ આઈ.ક્યૂ. સાથે નોબલ પારિતોષિક જીતવું એ ખરેખર એક ખાસ બાબત છે! સાચું ને? અને આમ બોલતી વખતે એમનો ચહેરો આનંદથી પુલકિત થઈ ગયો.
આ પણ વાંચો…ગીતા મહિમા : હૃદયની વિશાળતા દરિયા જેવી હોય એવા માણસનો આ જગતમાં કોઈ શત્રુ હોતો નથી
કેટલીક વ્યક્તિઓ ખૂબ જ હોશિયાર હોય છે. તેમનો આઈ.ક્યૂ. ખુબ જ ઊંચો હોય છે. કેટલીક કુદરતી બક્ષીસો (ચિત્રકલા, સંગીત, જેવી) પણ તેમને મળી હોય છે, પરંતુ બચપણથી જ તેઓની એટલી બધી આળપંપાળ કરવામાં આવે છે કે, પરિણામે તેઓ તદ્દન પરાવલંબી બની જાય છે કોઈ તેમને કાયમ પ્રોત્સાહન આપ્યા કરે, કાયમ તેમનું ધ્યાન રાખે, કાયમ તેમની પ્રશંસા કરે એવું ઝંખ્યા કરે છે. પ્રશંસા કરવા માટે કાયમ કોઈ નવરું નથી હોતું. પરિણામે આવી વ્યક્તિઓ ઘણીવાર શક્તિ હોવા છતાં અકાળે કરમાઈ જાય છે .
મહંતસ્વામી મહારાજ સમજાવે છે કે ઘણીવાર બીજાનું જોવામાં આપણે આપણું સત્ત્વ ખોઈ બેસીએ છીએ. ભગવાને આપણને એક વિશિષ્ટ ઊર્જા આપી છે. તેને જાણવાની જરૂર છે. તે આપણું આંતરિક તેજ છે. અને દરેકને તેજસ્વી બનવાનો પૂરો અધિકાર છે.
આ પણ વાંચો…ગીતા મહિમા: લોલુપતા પાપને વધારે