ધર્મતેજ

વિશેષ : ગધેડો પણ પૂજનીય છે, જાણો છો ક્યાં?

-રાજેશ યાજ્ઞિક

શીતલાષ્ટમીના દિવસે લોકો માતાની આરાધના સાથે તેમના વાહન ગધેડાની પણ પૂજા કરે છે અને તેમને વિશેષ ભોગ પણ ધરવામાં આવે છે. ગુજરાતીમાં કહેવત છે કે ‘ગરજ પડે તો ગધેડાને પણ બાપ કહેવો પડે’. પણ કોઈ કહે કે ગધેડાની પૂજા કરવાની છે તો?! આમ તો ઘણા ગધેડો શબ્દ અપમાનજનક રીતે પણ વાપરતા હોય છે. પણ હકીકત એ છે, કે ગધેડો એક મહેનતુ પ્રાણી છે. ખેર, મૂળ વાત એ છે કે ગધેડાને બાપ કહેવો પડે થી લઈને ગધેડાની પૂજા કરવા સુધી..ઘણી વખત આપણે
વિચાર્યું પણ ન હોય તેવી પરંપરાઓ પ્રચલિત હોય છે. ગુજરાતી ભાષાની અનેક પ્રેરણાત્મક વાર્તાઓ, ખાસ કરીને બાળવાર્તાઓમાં ગધેડો મુખ્ય પાત્ર રહ્યો છે. પણ ધર્મના ક્ષેત્રમાં આપણે તેની કલ્પના કરી શકતા નથી, ખરું ને?

શું તમે ક્યારેય ગધેડાની પૂજા થતી જોઈ છે? આ વાત તમને આશ્ર્ચર્યચકિત કરી શકે છે, પરંતુ આજે હું તમને આ કાલ્પનિક પ્રશ્ન પૂછી નથી રહ્યો, પણ એક વાસ્તવિક સ્થળ વિશે જણાવવા જઈ રહ્યો છું જ્યાં ગધેડાની પૂજા કરવામાં આવે છે. ગધેડાની જ્યાં પૂજા થાય છે તે રાજ્ય છે રાજસ્થાન. રાજસ્થાન તેના ઐતિહાસિક કિલ્લાઓ, મહેલો, કલાકારીગરીના ઉત્તમ નમૂનારૂપ જૈન મંદિરો અને સુંદર રણ પ્રદેશ માટે તો જાણીતું છે જ, પણ રાજસ્થાની ભોજન પણ અતિસ્વાદિષ્ટ હોય છે. પણ એક સાવ અનોખી પરંપરા એટલે અહીં એવા મંદિરો છે, જ્યાં ગધેડાની પૂજા થાય છે.

જી હા, શીતલાષ્ટમી એ દિવસ છે જ્યારે રાજસ્થાનમાં શીતળા માતાની પૂજા કરવામાં આવે છે. શીતળા માતાની પૂજાની સાથે, માતાના વાહન ગણાતા ગધેડાનું પણ પૂજન કરવામાં આવે છે. વસંત અને ઉનાળાની ઋતુમાં શીતળા માતાની પૂજા કરવામાં આવે છે. ચૈત્ર, વૈશાખ, જ્યેષ્ઠ અને અષાઢ મહિનાના અષ્ટમીનો દિવસ શીતળા દેવીની પૂજા માટે સમર્પિત છે. કેટલીક જગ્યાએ, હોળી પછીના પહેલા સોમવાર કે ગુરુવારે પણ તેમની પૂજા કરવામાં આવે છે. બિકાનેરના શીતલા ગેટ વિસ્તારમાં માતા શીતળા મંદિર છે, જ્યાં હજારો લોકો માતા શીતળાની પૂજા કરવા આવે છે. આ સાથે માતાની સ્તુતિના મંત્રોચ્ચાર સાથે માતાની આરતી પણ કરવામાં આવે છે. ત્યારબાદ માતાની સવારી ગધેડાની પૂજા કરવાની પ્રક્રિયા શરૂ થાય છે. ગધેડાને રંગબેરંગી વોથી સુંદર રીતે સજાવવામાં આવે છે. ગધેડાને તિલક કરવામાં આવે છે અને તેને વિશેષ પ્રસાદ પણ ચઢાવવામાં
આવે છે. આ ખાસ દિવસ લોકોની શ્રદ્ધા સાથે સંકળાયેલો છે. એવું માનવામાં આવે છે કે આવી પૂજાથી ઘણા રોગોથી રાહત મળે છે.

આ પણ વાંચો…વિશેષ : સનાતન ધર્મમાં પાંચનો અંક અનેક પ્રતીકોનો પ્રતિનિધિ…

રાજસ્થાનમાં ભરતપુર રાષ્ટ્રીય અભયારણ્ય અને પક્ષી ઉદ્યાન માટે વિખ્યાત છે. અહીં શ્રદ્ધાળુ બહેનો શીતળા માતાના મંદિરમાં રાતના 12 વાગ્યાથી પૂજા કરવા પહોંચી જાય છે. કારણ અહીં પૂજા કરવા ભારે ભીડ થાય છે અને સવાર સુધીમાં તો હજારો મહિલાઓ ગધેડાનું પૂજન કરે છે. શ્રદ્ધાળુઓના કહેવા મુજબ સદીઓથી અહીં આ પરંપરાનું નિર્વહન થાય છે. આપણે જાણીએ જ છીએ કે જૂના સમયથી બાળકોને ગંભીર બીમારીઓ જેવી કે શીતળાના રોગથી બચાવવા શીતળા માતાની પૂજા આપણે ત્યાં થાય છે. આ તહેવારને બુઢ બસૌડા, અથવા બસિયૌરા પણ કહેવામાં આવે છે. શીતળા માતા પૂજાના દિવસે ઘરમાં ચૂલો સળગાવવામાં આવતો નથી. આજે પણ લાખો લોકો આ નિયમનું ખૂબ જ શ્રદ્ધાથી પાલન કરે છે.

અન્ય ધાર્મિક પરંપરાઓમાં પણ ગધેડાનું મહત્ત્વ ઓછું નથી. ગધેડાને પયગંબર મુહમ્મદનો વિશ્વાસુ સાથી માનવામાં આવે છે, અને તેમની પાસે યાફુર નામનો ગધેડો હતો. કેટલીક યહૂદી પરંપરાઓમાં,

ગધેડાને રાજાઓ અને પયગંબરો દ્વારા ઉપયોગમાં લેવાતા પવિત્ર પ્રાણી તરીકે જોવામાં આવે છે. પામ સન્ડે શોભાયાત્રામાં ઈસુની ગધેડા પર સવારીને શાંતિ અને મુક્તિના આગમન તરીકે જોવામાં આવે છે. સનાતન ધર્મમાં શીતળા માતાના વાહન ઉપરાંત ગધેડાને દેવી કાલરાત્રિનું વાહન પણ ગણાય.

આ પણ વાંચો…વિશેષ : વિજ્ઞાનને પણ ધર્મના વિશેષ જ્ઞાનનો પરચો મળી રહ્યો છે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button