ચિંતન: શરીર ને આત્માનું સમીકરણ

-હેમુ ભીખુ
કહેવાય છે કે શરીર એ આત્માનું મંદિર છે. આ ધારણાં ત્યાં સુધી જ સાચી કે જ્યાં સુધી આત્માને ઈશ્વર માની તે પ્રમાણેનો વ્યવહાર કરવામાં આવે. વાસ્તવિકતા જોતાં તો એમ જણાય છે કે શરીર વિશેની સમજ માટે ઘણી સંભાવનાઓ છે. શરીરને મંદિર તરીકે પણ લઈ શકાય, શરીરને જેલ પણ સમજી શકાય, શરીર સાથે ધર્મશાળા જેવો વ્યવહાર પણ થઈ શકે, શરીરને આવાસ ગણી તે રીતે પણ જીવન વ્યતીત થઈ શકે, શરીરને વાહન પણ સમજી શકાય અને શરીરને માર્ગ પણ માની શકાય. શરીર અને આત્મા વચ્ચેનું સમીકરણ કઈ રીતે સમજવામાં આવે છે તેને આધારે આ નિર્ણય લઈ શકાય.
મંદિરની અંદર ભગવાનની મૂર્તિ હોય. મંદિરમાં જેમ ઈશ્વરની આમાન્યા જાળવવામાં આવે છે, ઈશ્વરને સાક્ષીભાવે સતત સ્મૃતિમાં રાખી હંમેશાં સત્ય અને ધર્મનું આચરણ કરવામાં આવે છે, મૂર્તિમાં સ્થિત તે ઈશ્વરના સામર્થ્યને માન્ય રાખી, તે વિશે કોઈ શંકા ઊભી ન થાય તેનું ધ્યાન રાખી, ઈશ્વર પ્રત્યે સમર્પણ દાખવવામાં આવે છે, ઈશ્વરની મૂર્તિની પવિત્રતા, સાત્વિકતા તેમજ શુદ્ધતા જાળવવા કૃતનિશ્ચયી રહેવામાં આવે, તે ઈશ્વરને પરમ તત્ત્વ માની બાકીની બધી જ પરિસ્થિતિને અનિત્ય સમજી તે પ્રમાણેનો વ્યવહાર કરવામાં આવે છે – આ રીતે જો શરીરની અંદર સ્થિત આત્માની સ્વીકૃતિ બને તો શરીર મંદિર છે. શરીરને જો મંદિર ગણવામાં આવે તો આપમેળે આત્માની મુક્તતાનો અહેસાસ થઈ શકે.
શરીરને જો જેલ સમજવામાં આવે તો આત્મા એ કેદી ગણાય. અહીં માનવામાં આવે કે શરીરને કારણે આત્મા અર્થાત્ વ્યક્તિ જે ઈચ્છે છે તે પ્રમાણેનો વ્યવહાર નથી કરી શકતો. અહીં કેદી સ્વતંત્ર નથી, કેદી પુરાયેલો છે, કેદી બંધનમાં છે. આ ધારણા પણ કંઈ ખોટી નથી. આત્મા ભલે નિર્બંધ હોય, પરંતુ હકીકતમાં તો તે શરીરની અંદર પુરાયેલો તો છે જ. આત્મા ભલે સ્વતંત્ર હોય પણ જે તે પ્રક્રિયાને કારણે તેણે શરીર નામનું પાંજરું સ્વીકાર્યું તો છે જ. અહીં અગત્યની વાત એ છે કે કેદી હંમેશાં મુક્ત થવા પ્રયત્ન કરે. આત્મા સાથે પણ આ પ્રકારની ગણતરી હોવી જોઈએ. શરીરને જો જેલ ગણવામાં આવે તો મુક્તિ માટેના પ્રયત્નો પ્રખર બની શકે.
આવાસ એ એક એવું સ્થાન છે કે જ્યાં બધા જ પ્રકારની સગવડતા ઊભી કરવાનો પ્રયાસ થતો હોય છે. આ સગવડતા શારીરિક પણ હોઈ શકે અને માનસિક પણ, ભાવાત્મક પણ હોઈ શકે અને અને વાસ્તવિક પણ, વ્યક્તિગત પણ હોઈ શકે અને સામાજિક પણ, આધ્યાત્મિક પણ હોઈ શકે અને ધાર્મિક પણ – જ્યાં સગવડતા સચવાય ત્યાં આવાસની અનુભૂતિ થાય. જો શરીર આવાસ હોય તો આત્મા તે આવાસમાં સગવડતા માટે પ્રયત્ન કરતું અસ્તિત્વ છે. આમ કદાચ થતું પણ હશે. ભલે આત્મા નિર્લેપ તેમજ નિષ્ક્રિય હોય તો પણ તેના કારણપણાં હેઠળ અંત:કરણના વિવિધ સ્વરૂપો, જ્ઞાનેન્દ્રિયો તેમજ કર્મેન્દ્રિયો આકાર ધારણ કરે છે. આ બધાં જ ભેગા થઈને આત્માને પોતાની સમજ પ્રમાણેની સગવડતા આપવા પ્રયત્ન કરે છે. આ પ્રયત્ન સંનિષ્ઠ પણ હોય છે, ફેર એટલો છે કે આ બધા પ્રયત્નોમાં આત્માનું મૂળ સ્વરૂપ શું છે તે ભૂલી જવાય છે. શરીરને જો આત્માનું આવાસ ગણવામાં આવે તો, સામાન્ય સંજોગોમાં આવાસ માટેનો મોહ વધુ રહેતો હોવાથી, આત્માનું શરીર સાથેનું બંધન દ્રઢ બની શકે.
ધર્મશાળા એ પ્રાસંગિક આવાસ છે. અહીં પણ સગવડતાની અપેક્ષા હોય પરંતુ તેની માત્રા જુદી હોય અને તે ચોક્કસ સમયગાળા માટે હોય. અહીં ધર્મશાળા સાથે લગાવ ઓછો હોય. આ કારણથી જ્યારે શરીરને ધર્મશાળા માનવામાં આવે ત્યારે આત્માની મુક્તિ માટેના પ્રયત્નોમાં વધુ સગવડતા રહે. અહીં હોટલની અપેક્ષાએ ધર્મશાળાનું રૂપક વધારી એટલા માટે છે કે હોટેલમાં તો ચુકવણી કરવી પડે.
શરીરને વાહન તરીકે પણ લઈ શકાય. તે આત્માનું વહન કરે છે. આમ તો શરીરની ગતિ આત્માના સ્વભાવથી નિર્ધારિત થતી હોય છે, પરંતુ વ્યવહારમાં જોતાં એમ જણાય કે શરીર દ્વારા આત્મા અહીંતહીં ગમન કરી શકે છે. આમ તો આત્માને એક સ્થાનેથી બીજા સ્થાને જવા પગની જરૂર નથી હોતી, પરંતુ જ્યારે તે શરીરમાં સ્થિત થાય ત્યારે ચોક્કસ પ્રકારનાં પગની આવશ્યકતા પણ રહેતી હોય તેમ જણાય છે. બધા જાણે છે કે વાહનમાં પ્રવેશ કર્યા પછી ક્યારેક તો ઊતરવાનું હોય છે. આ સમજને કારણે શરીરને જો વાહન ગણવામાં આવે તો આત્માને મુક્ત કરવા માટેની ભાવના પ્રબળ બની શકે. પ્રશ્ન ખાલી એક જ છે કે જો વાહન વ્યવહારમાં મજાની અનુભૂતિ ઊભી થઈ જાય તો પછી વાહનમાંથી ઊતરવાનું મન ન થાય. આ એક જોખમી સ્થિતિ છે.
શરીરને માર્ગ પણ ગણી શકાય. માર્ગ બદલાતાં રહે, પ્રવાસીએ તે જ હોય. માર્ગ વાંકાચૂકા હોઈ શકે, પ્રવાસી નિર્ધારિત સ્થાને જવાં કૃતનિશ્ચયી હોય. આત્મા પોતાના એક પ્રવાસ દરમિયાન જે તે માર્ગ પર આવી ચડે છે અને પછી આગળ વધી જાય છે.
માર્ગ પછી અર્થ હીન બની રહે છે અને તેનું રૂૂપાંતર થઈ જાય છે. માર્ગમાં જાતજાતનાં સંમિલિત કહી શકાય તેવાં અનુભવની શક્યતા વધુ રહે છે. આ બધા અનુભવોથી જો થાકી જવાય તો આત્માની મુક્તિ માટેના પ્રયત્નો શરૂૂ થઈ જાય. પણ વાહનની જેમ, આ બધાં અનુભવો માણવાની વધુને વધુ ઈચ્છા થતી જાય તો દૂર સુધી માર્ગનો અંત દેખાય નહીં.
શરીર અને આત્મા વચ્ચેના સમીકરણને કઈ રીતે સમજવામાં આવે છે, આ સમીકરણમાં આત્માના સંદર્ભમાં શરીરનું શું સ્થાન રહે છે, શરીર અને આત્મા વચ્ચેના આ સમીકરણમાં કેવા પ્રકારનો લગાવ સ્થાપિત થવાની સંભાવના છે, તેને આધારે આત્માની મુક્તિ માટેની ઈચ્છા પ્રબળ બની શકે અથવા તેનાથી વિપરીત પણ થઈ શકે.
આપણ વાંચો : ચિંતન: રામ રસાયન તુમ્હરે પાસા