અલૌકિક દર્શન: હિન્દુઓની નસોમાં લોહીના સ્થાને અધ્યાત્મની ધારા વહે છે

–ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
‘બધાં વૃક્ષોમાં હું પીપળો છું.’
આમ, હિન્દુ ધર્મમાં વૃક્ષો પ્રત્યે આદરભાવ વ્યક્ત થાય છે. પીપળાના વૃક્ષ દ્વારા પિતૃતર્પણ થાય છે, તુલસીપૂજા, બિલ્વપૂજા અને પુષ્પો દ્વારા ભગવાનનું પૂજન થાય છે તે સાચું છે, પરંતુ તેટલા પરથી એવું વિધાન તારવામાં આવે કે હિન્દુઓ વૃક્ષપૂજકો છે તો તે વિધાન સત્ય નથી જ.
- અનેકદેવવાદ:
હિન્દુ ધર્મ પર એવો એક આક્ષેપ કરવામાં આવે છે કે હિન્દુઓ અનેક દેવદેવીઓને માને છે અને તેમને પૂજે છે. હિન્દુ ધર્મના ઈતિહાસમાં છેલ્લે – છેલ્લે તેંત્રીસ કરોડ દેવની કલ્પના પણ વહેતી થઈ છે ને આ મુદ્દાને અનુલક્ષીને તો વિદેશીઓ અને વિધર્મીઓએ હિન્દુઓની હાંસી જ ઉડાડી છે.
તેંત્રીસ કરોડ દેવની કલ્પનાનું મૂળ ‘બૃહદારણ્યકોપનિષદ’ તૃતીય અધ્યાયના નવમાં બ્રાહ્મણના એક સંવાદમાં છે. વિદગ્ધ શાકલ્ય યાજ્ઞવલ્કયજીને એક પ્રશ્ન પૂછે છે: ‘દેવો કેટલા છે?’
યાજ્ઞવલ્ક્યજી જવાબ આપે છે. ‘ત્રણ હજાર ત્રણસો ને છ.’
વિદગ્ધ શાકલ્ય ફરી તે જ પ્રશ્ન પૂછે છે. યાજ્ઞવલ્ક્યજી બીજી વાર જવાબ આપે છે: ‘તેંત્રીસ’.
વળી ત્રીજી વાર પૂછે છે ત્યારે જવાબ આપે છે: ‘છ.’
વળી ચોથી વાર પૂછે છે ત્યારે જવાબ આપે છે: ‘ત્રણ.’
પાંચમી વાર પૂછે છે ત્યારે જવાબ આપે છે: ‘બે.’
છઠ્ઠી વાર પૂછે છે ત્યારે જવાબ આપે છે: ‘દોઢ.’
સાતમી વાર – છેલ્લી વાર પૂછે છે ત્યારે જવાબ આપે છે: ‘દેવ એક જ છે.’ (પરમાત્મા)
પછી યાજ્ઞવલ્ક્ય સમજાવે છે કે ત્રણ હજાર ત્રણસો છ એ તો દેવોનો મહિમા છે. ખરેખર તો દેવો તેંત્રીસ જ છે: આઠ વસુ, એકાદશ રૂદ્ર, બાર આદિત્ય, ઈન્દ્ર ને પ્રજાપતિ આ રીતે છ દેવ, ત્રણ દેવ, બે દેવ, દોઢ દેવ – એ સર્વને ગણાવી છેલ્લે કહે છે કે દેવ એક છે ને તે બ્રહ્મ.
આમ આ સંવાદમાં એક પરમ દેવ – પરમાત્માનું સ્પષ્ટ ને આખરી કથન છે. દેવો તેંત્રીસ છે, તેમ પણ ગણતરી કરીને સ્પષ્ટ રીતે કહેલ છે.
‘દેવો તેંત્રીસ છે’ – ઉપનિષદના આ વિધાનને જ વધારીને ‘દેવો તેંત્રીસ કરોડ છે’ તેવું આલંકારિક વિધાન પાછળથી થયું છે. વસ્તુત: હિન્દુ ધર્મના કોઈ પણ પ્રમાણભૂત ગ્રંથમાં દેવો તેંત્રીસ કરોડ હોવાનું જણાવેલ નથી, તેથી હિન્દુ ધર્મમાં તેંત્રીસ કરોડ દેવો માનવામાં આવે છે એ વિધાન સાચું નથી. હિન્દુ ધર્મમાં અનેક દેવોમાં માનવામાં આવે છે તે વિધાન સાચું છે. ‘ઋગ્વેદ’થી પ્રારંભીને પુરાણો સુધી સર્વત્ર અનેક દેવોનાં સ્વીકાર, વર્ણન અને પ્રાર્થના જોવા મળે છે.
અનેક દેવોનો સ્વીકાર કરવો તેમાં નિંદા કે હાંસી કરવા જેવું કશું જ નથી. હિન્દુ ધર્મમાં અનેક દેવોમાં માનવામાં આવે છે, કારણ કે અનેક દેવો છે. જે છે તેનો સ્વીકાર છે તેમાં શ્રદ્ધા છે. દેવસૃષ્ટિ એક હકીકત છે, દેવોની હસ્તી એક હકીકત છે. દેવો ઉચ્ચતર સૃષ્ટિ છે. માનવજીવન સાથે તેમનો સંબંધ પણ કરે છે. તેમના અસ્તિત્વમાં શ્રદ્ધા, તેમને પ્રાર્થના અને તેમની મદદનો સ્વીકાર – તેમાં કશું ખોટું નથી. જો અનેક દેવોની હસ્તી એ એક સત્ય છે, તેનો સ્વીકાર કરવામાં અજુગતું શું છે? તેમાં ટીકા કરવા જેવું શું છે?
હિન્દુઓ બહુદેવવાદમાં માને છે તેનો અર્થ એમ નથી કે હિન્દુઓ એકેશ્ર્વરવાદમાં માનતા નથી. હિન્દુઓ એક પરમેશ્ર્વરમાં સ્પષ્ટ રીતે, નિશ્ર્ચયાત્મક સ્વરૂપે માને છે. એકમેવ અદ્વિતીય પરમ સત્તા તો હિન્દુ ધર્મની કરોડરજ્જુ છે.
એકેશ્ર્વરવાદ અને બહુદેવવાદ વચ્ચે કોઈ વિરોધ નથી. ઈશ્ર્વર એક છે અને દેવો અનેક છે – આ બંને વિધાનો એકસાથે સાચાં હોઈ શકે છે અને છે જ. જેમ એક રાજા છે અને તેના અનેક અધિકારીઓ છે. – આ બંને વિધાનો વચ્ચે કોઈ વિરોધ નથી, બંને વિધાનો એકસાથે સાચાં છે, તેમ એકેશ્ર્વરવાદ અને બહુદેવવાદ બંને એકસાથે સત્ય છે.
બહુદેવવાદ કે અનેકદેવવાદ તે હિન્દુ ધર્મની ખામી નથી, કારણ કે તે તો સત્યનું દર્શન અને સ્વીકાર છે. તેમાં નિંદા કે ટીકા કરવા જેવું પણ કશું જ નથી.
અન્ય કોઈ પણ દેવના સ્વીકાર વિના માત્ર એક પરમેશ્ર્વરનો જ સ્વીકાર કરવો તેવો ઈસ્લામ-છાપ એકેશ્ર્વરવાદ ખરો એકેશ્ર્વરવાદ નથી, કારણ કે તેમાં દેવોના યથાર્થ અસ્તિત્વનો ઈનકાર કરીને સત્યનો ઈન્કાર કરવામાં આવે છે. અનેક દેવોના સ્વીકાર-સહિત એક પરમાત્માનો સ્વીકાર કરવો તે જ સાચો એકેશ્ર્વરવાદ છે, કારણ કે તેમાં પૂર્ણ સત્યનો સ્વીકાર થયો છે.
કોઈ સિદ્ધાંત પ્રથમ દૃષ્ટિએ કેટલો રૂપાળો લાગે છે તેના પરથી તેની ગુણવત્તા નક્કી કરવાનું વલણ સમતોલ વલણ નથી. જેમાં સત્યના વ્યાપક સ્વરૂપનો સ્વીકાર હોય તે સિદ્ધાંત જ યથાર્થ છે, કારણ કે સિદ્ધાંતનો પાયો સત્ય છે, રૂપાળાપણું નહીં. બધા દેવોનો ઈન્કાર અને એકમાત્ર ઈશ્ર્વરનો સ્વીકાર – આ સિદ્ધાંત બાહ્ય દૃષ્ટિથી રૂપાળો, મનમોહક લાગે છે, પરંતુ તે અધૂરો છે, કારણ કે અનેક દેવોની હસ્તીના સત્યનો તેમાં ઈન્કાર થયો છે, તેથી તે સિદ્ધાંત એકદેશીય એકાંગી અને પરિણામે દુરાગ્રહી પણ બની ગયો છે. જે સિદ્ધાંતમાં સત્યનાં બધાં પાસાંઓનો વ્યાપક સ્વરૂપે સ્વીકાર કરવામાં આવે તે સિદ્ધાંત જ આદર અને ગૌરવને પાત્ર છે. હિન્દુ ધર્મનો અનેકદેવવાદ-સહિતનો એકેશ્ર્વરવાદ આવો વ્યાપક સિદ્ધાંત છે તેથી તે આદર અને ગૌરવને પાત્ર છે, નિંદા કે હાંસીને પાત્ર નથી.
- મૂર્તિપૂજા :
મૂર્તિપૂજાને અનુલક્ષીને પણ હિન્દુઓ અને હિન્દુ ધર્મની નિંદા-ટીકા થાય છે. વિરોધીઓ મૂર્તિપૂજાને પૂતળી-પૂજા (idol worship) કહીને તેની હાંસી ઉડાવે છે. ઘણા હિન્દુઓ પણ પૂજાને ટોકરી વગાડવાની ક્રિયા કે નિવૃત્ત દાદા-દાદી માટે સમય પસાર કરવાની પ્રવૃત્તિ ગણીને પૂજા પ્રત્યે મોં મચકોડતા હોય છે. ધર્મના કોઈ પણ વિધિનો ઈન્કાર કરતાં પહેલાં આપણે તેમાં રહેલા સત્યને તપાસવાનો પ્રયત્ન કરવો જોઈએ.
પૂજા એટલે ભગવાનની મૂર્તિને ભગવત્સ્વરૂપ ગણીને તેમની આરાધનક્રિયા.
પૂજાને માત્ર બાહ્ય દૃષ્ટિથી જોઈએ તો તેમાં ભગવાનની મૂર્તિની અનેકવિધ ઉપચારો ને દ્રવ્યો દ્વારા આરાધના કરવામાં આવે છે, પરંતુ આ સરળ ક્રિયા પાછળ એક મૂલ્યવાન રહસ્ય છુપાયેલું છે.
પૂજામાં વિધિ અને ભાવનો સમન્વય સિદ્ધ થાય તો પૂજા કરતાં-કરતાં ભક્તના ચિત્તમાં મૂર્તિ અને મૂર્તિમાન વચ્ચે અભેદભાવ ઉત્પન્ન થાય છે. અભેદભાવમાંથી અભેદધારણા સિદ્ધ થાય છે. જ્યારે શ્રીકૃષ્ણ અને શ્રીકૃષ્ણની મૂર્તિ વચ્ચે ભક્તના ચિત્તમાં અભેદધારણા સિદ્ધ થાય ત્યારે શ્રીકૃષ્ણની મૂર્તિને જે ધરાવવામાં આવે તે શ્રીકૃષ્ણ સુધી પહોંચે છે. શ્રીકૃષ્ણની મૂર્તિને ધરાવેલ માખણ-મિસરી શ્રીકૃષ્ણ આરોગે છે અને ભક્તને તેના પ્રતિભાવની પ્રતીતિ પણ મળે છે. આવાં અનેક દૃષ્ટાંતો ભક્તોનાં જીવનમાં જોવા મળે છે.
મૂર્તિપૂજાથી પાંચ તત્ત્વો સિદ્ધ થાય છે:
- ભક્ત અને ભગવાન વચ્ચે સંબંધનું સ્થાપન,
- ચિત્તશુદ્ધિ,
- ચિત્તનું સંસ્કારીકરણ,
- ભાવપુષ્ટિ,
- અંતરંગ સાધન માટેની યોગ્યતાનું નિર્માણ.
મૂર્તિપૂજા તે એક મૂલ્યવાન અને આધ્યાત્મિક રહસ્યથી યુક્ત સાધન છે. તેની અવગણના કરવાની જરૂર નથી અને તેની નિંદા-ટીકા કરવી તે તો ઈસ્લામપરકતા જ છે. - અવતારતત્ત્વ:
અનંત પરમાત્મા શું માનવદેહ ધારણ કરીને પૃથ્વી પર આવે? અનંત પરમાત્મા માનવદેહની નાનકડી દાબડીમાં સમાઈ જાય?
ભગવાન માનવરૂપે પૃથ્વી પર આવે – આ ઘટનાને બુદ્ધિપૂર્વક સમજવી – સમજાવવી તે બહુ કઠિન કાર્ય છે, તેથી હિન્દુ ધર્મના અવતારવાદના સિદ્ધાંત વિશે પણ ઘણી નિંદા-ટીકા થાય છે.
પરમાત્મા નિર્ગુણ-નિરાકાર છે, તેમ જ તે સગુણ-સાકાર પણ છે જ. પ્રભુનું દિવ્ય વ્યક્તિત્વ પણ છે, એટલું જ નહીં, પરંતુ પ્રભુ માનવરૂપે પૃથ્વી પર અવતરે છે અને માનવરૂપે જીવે પણ છે.
અવતારતત્ત્વ એ એક આધ્યાત્મિક સત્ય છે અને માત્ર બુદ્ધિની ભૂમિકાથી તેને સમજી શકાય તેમ નથી. જેમ બુદ્ધિ સમજી-સ્વીકારી શકે તે જ સત્ય અને બીજું નહીં, એમ માનનાર વ્યક્તિ અધ્યાત્મપથ પર એક પગલું માંડી શકે નહીં. શ્રદ્ધા – શ્રદ્ધાની પાંખ પર બેસીને જ અધ્યાત્મપથ પર ગતિ શક્ય છે.
જેમની તૃતીય દૃષ્ટિ ખૂલી ગઈ છે તેવા રહસ્યદ્રષ્ટા પુરુષોએ પારદર્શી દૃષ્ટિએ જોઈને કહ્યું અને ‘ગીતા’-‘ભાગવત’માં લખ્યું કે હા, અવતારની ઘટના શક્ય છે, અવતાર એક સત્ય છે અને ભગવદવતાર શ્રીકૃષ્ણે પણ કહ્યું છે:
“संभवामि युगे युगे| ”
અવતારનો સિદ્ધાંત હિન્દુ ધર્મની પરમ શોધ છે, ગૌરવપ્રદ લાક્ષણિકતા છે. પૃથ્વી પર આવેલા ભગવાનને ભગવાનરૂપે ઓળખી લેતા તે બહુ મોટી વાત છે, બહુ મોટા ગજાનું કાર્ય છે. આ કાર્ય હિન્દુ માનસ જ કરી શકે, બીજાઓનું તે ગજું નહીં, કારણ કે હિન્દુઓની નસોમાં લોહીના સ્થાને અધ્યાત્મની ધારા વહે છે. અધ્યાત્મ આપણી ગળથૂથીમાં છે.
જેમ પુનર્જન્મ મૂલત: ભારતીય શોધ છે, પરંતુ વિશ્ર્વમાં હવે તે સત્યનો સ્વીકાર થઈ રહ્યો છે, તેમ અવતારના સત્યનો સ્વીકાર પણ આજે નહીં તો આવતી કાલે થશે જ. સત્યનો ઈન્કાર ક્યાં સુધી કરી શકાય?
(ક્રમશ:)