ધર્મતેજ

અલૌકિક દર્શન : અવતાર એક આધ્યાત્મિક સત્ય છે

-ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
‘શ્રીમદ્ભગવદ્ગીતા’, ‘શ્રીમદ્ભાગવત’, ‘વિષ્ણુપુરાણ’, ‘હરિવંશ’, ‘બ્રહ્મવૈર્ત-પુરાણ’, ‘રામાયણ’, ‘મહાભારત’ આદિ ગ્રંથોમાં પરમાત્માને અજન્મા કહેલ છે અને તે જ ગ્રંથોમાં પરમાત્માના અવતારત્વનો સ્પષ્ટત: સ્વીકાર પણ થયો છે. આમ, પરમાત્મા સ્વરૂપત: અજન્મા હોવા છતાં તેઓ માનવસ્વરૂપે જન્મ ધારણ કરે છે. અવતાર ધારણ કરવાથી પરમાત્માના અજન્મા-સ્વરૂપમાં કોઈ બાધા આવતી નથી. આ જ તો પરમાત્માનો મહિમા છે.

  1. ભગવાન તે ભગવાન છે અને માનવ તે માનવ છે. ભગવાનને માનવસ્વરૂપ ધારણ કરતા માનવા તે બુદ્ધિગમ્ય લાગતું નથી.

અવતાર એક આધ્યાત્મિક સત્ય છે, એક રહસ્ય છે. અધ્યાત્મજગતનાં બધાં રહસ્યો બુદ્ધિગમ્ય હોય જ તેવું નથી. આપણી બુદ્ધિનું ગજું કેટલું? બુદ્ધિમત્તાનું એક લક્ષણ એ પણ છે કે તે પોતાની મર્યાદા સમજે અને સ્વીકારે.

વસ્તુત: આ સમસ્યા શંકાશીલ અને મલિન બુદ્ધિની સમસ્યા છે. સાત્ત્વિક અને વિશુદ્ધ બુદ્ધિ માટે અવતારની ઘટનાનો સ્વીકાર કરવામાં કોઈ મુશ્કેલી નથી.

  1. પરમાત્મા અનંત છે. જે અનંત હોય તે નિરાકાર જ હોય, કારણ કે આકાર તો માત્ર મર્યાદિતને જ હોય. આમ હોવાથી અનંત પરમાત્માને માનવઆકારયુક્ત માનવા કેવી રીતે? પરમાત્મા અનંત છે અને તેઓ નિરાકાર અને સાકાર બંને છે. જે પરમાત્મા નિરાકાર છે તે સાકાર સ્વરૂપ ધારણ કરી શકે છે. તેમાં જ પરમાત્માની અનંતતા છે. જે પરમાત્મા સૃષ્ટિના આટલા આકારો ઉત્પન્ન કરી શકે છે, તે પોતે સાકાર સ્વરૂપ ધારણ કરી શકે છે. તેમાં જ પરમાત્માની અનંતતા છે. જે પરમાત્મા સૃષ્ટિના આટલા આકારો ઉત્પન્ન કરી શકે છે, તે પોતે સાકાર સ્વરૂપ ધારણ ન કરી શકે? જો પરમાત્મામાં સાકારતાનું તત્ત્વ જ ન હોય તો આ સૃષ્ટિના આટલા આકારો આવ્યાં ક્યાંથી?

પરમાત્મા નિરાકાર છે, પરંતુ નિરાકારતા તેનું બંધન નથી. પરમાત્મા અનંત છે, તો તે સાકાર પણ શા માટે ન હોય? સાકારતા પણ તેની અનંતતાનું એક પાસું છે. પરમાત્મા નિરાકાર અને સાકાર બંને છે. પરમાત્મા નિરાકાર છે અને છતાં પૃથ્વી પર સાકાર સ્વરૂપ ધારણ કરીને અવતરે છે. વસ્તુત: આમ સ્વીકારવામાં કોઈ વિરોધ પણ નથી. પાણી બરફ પણ બની શકે છે અને વરાળ પણ બની શકે છે.

  1. પુરાણોમાં અવતારનું વર્ણન છે તે આલંકારિક સ્વરૂપનું છે. કોઈ અસાધારણ મહામાનવ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવા માટે તેમને ભગવાન કહેવામાં આવે એટલું જ.

અવતાર એક સત્ય છે અને તેને આલંકારિક રૂપકકથા ગણીને તેનો ઇન્કાર કરીએ તો આપણે એક મૂલ્યવાન સત્યનો ઇન્કાર કરીએ છીએ. ‘શ્રીમદ્ભગવદ્ગીતા’ આલંકારિક સ્વરૂપની કથાઓનો ગ્રંથ નથી. તેમાં તો આધ્યાત્મિક સત્યોને નિર્ભેળ અને સરળ સ્વરૂપે વ્યક્ત કરવામાં આવ્યાં છે. ‘શ્રીમદ્ભગવદ્ગીતા’માં તો અવતારની ઘટનાનો સ્પષ્ટ સ્વીકાર કરવામાં આવ્યો છે. (‘ગીતા’ : 4 : 5 થી 8)

  1. અવતારની ઘટનાનો તાત્ત્વિક આધાર શો છે? અવતારની પ્રક્રિયાને સમજાવી શકાય તેવું કોઈ તત્ત્વજ્ઞાન છે?

સમગ્ર વૈદિક દર્શન (હિન્દુ દર્શન) અવતારની ઘટનાનો તાત્ત્વિક આધાર છે. વેદાંત અને ભાગવત દર્શનમાં આ આધાર વધુ સ્પષ્ટ સ્વરૂપ ધારણ કરે છે. સમગ્ર અસ્તિત્વ પરમાત્માનું જ સ્વરૂપ છે. પરમાત્મા પોતે જ જડ-ચેતન- બધું બન્યા છે, તો પછી પરમાત્મા અવતાર ન લઈ શકે? સમગ્ર અસ્તિત્વ પરમાત્મામાંથી અભિવ્યક્ત થાય છે તો પરમાત્મા પોતે પણ અવતાર ધારણ કરીને પોતાની રચેલી સૃષ્ટિમાં આવે તેમ માનવામાં કોઈ તાત્ત્વિક આપત્તિ નથી.

સમગ્ર અસ્તિત્વ પરમાત્માની અભિવ્યક્તિ છે અને અવતાર પણ પરમાત્માની અભિવ્યક્તિ છે. બંનેમાં ભિન્નતા છે. સમગ્ર સૃષ્ટિ પ્રકૃતિના માધ્યમ દ્વારા અને અજ્ઞાનના આવરણ સાથે અભિવ્યક્ત થાય છે. પરમાત્મા પોતાની દિવ્ય ચેતના દ્વારા જ સજ્ઞાનસ્વરૂપે અને પોતાના ભાગવત સ્વરૂપમાંથી ચ્યુત થયા વિના જ અવતારરૂપે પ્રગટ થાય છે. બંને ભિન્નભિન્ન સ્વરૂપની હોવા છતાં પરમાત્માની જ અભિવ્યક્તિ છે.

  1. પુરાણોમાં અવતારોનું વર્ણન જોવા મળે છે, પરંતુ વેદોમાં અવતારનું વર્ણન જોવા મળતું નથી. આમ શા માટે છે?

વેદોમાં ભારતીય અધ્યાત્મવિદ્યાનાં તત્ત્વો બીજરૂપે જોવા મળે છે. તે જ રીતે અવતારોનો ઉલ્લેખ પણ વેદોમાં બીજરૂપે જોવા મળે છે. આ બીજ પુરાણોમાં વૃક્ષરૂપે જોવા મળે છે.

  1. ‘ઋગ્વેદ’: १०-१२५ (अहं रुद्रेभिः सूक्तः) માં અવતારની વાણી જોવા મળે છે.
  2. ‘ઋગ્વેદ’: १-२२-१८માં વામનાવતારનું બીજરૂપ વર્ણન જોવા મળે છે.
  3. ‘શતપથ બ્રાહ્મણ’: 3-4-3-5માં કૂર્માવતારનો ઉલ્લેખ છે. આમ વૈદિક સાહિત્યમાં પણ અવતારની ઘટનાને આધાર મળે તેવા ઉલ્લેખો છે. વેદમાં અવતારનું સવિસ્તર વર્ણન નથી, માત્ર બીજરૂપ વર્ણન છે. મહાકાવ્યો અને પુરાણોમાં અવતારની લીલાઓનું સવિસ્તર વર્ણન જોવા મળે છે, તેથી વેદોમાં અવતારનો ઉલ્લેખ નથી તેમ કહી શકાય નહીં.

વેદોમાં બીજરૂપે હોવું અને પછી વિકસિત સ્વરૂપ ધારણ થાય એ ઘટના માત્ર અવતારતત્ત્વને જ લાગુ પડે છે તેવું નથી. યોગ, સાંખ્ય, વેદાંત, સર્ગવિદ્યા આદિ અનેક તત્ત્વો વેદમાં બીજરૂપે છે અને પછી વિકસ્યાં છે. જેટલું વિકસિત વેદાંત ‘બ્રહ્મસૂત્ર શાંકરભાષ્ય’ અને ‘ભામતી ટીકા’માં છે તેટલું વિકસિત વેદાંત વેદમાં નથી. વેદો તો ભારતીય અધ્યાત્મવિદ્યાની ગંગોત્રી છે. તેમાંથી ગંગા નીકળે છે, પરંતુ વિકાસ તો પછી થાય છે. આ પ્રક્રિયા અવતારતત્ત્વને પણ લાગુ પડે છે.

  1. અવતાર અને જીવ :
    અવતાર ઈશ્ર્વર છે અને જીવ જીવ છે. ઈશ્ર્વર અને જીવ વચ્ચે કેટલીક સમાનતાઓ છે અને કેટલીક ભિન્નતાઓ પણ છે.
  2. ઈશ્ર્વર એક છે, જીવ અનેક છે. એક જ ઈશ્ર્વરના અનેક અવતારો થાય છે. જીવ અનેક છે અને પ્રત્યેક જીવના અનેક અવતારો થાય છે.
  3. જીવના જીવનક્રમ પર કર્મનો નિયમ કામ કરે છે. જીવને પ્રારબ્ધકર્મોનો ભોગ હોય છે અને નવં સંચિત કર્મો પણ બને છે. અવતાર કર્મના નિયમથી સર્વથા મુક્ત છે. ઈશ્ર્વર નિયતિને આધીન નથી, કારણ કે ઈશ્ર્વર નિયંતા છે.
  4. જીવ માયાબદ્ધ છે, અવતાર માયાપતિ છે.
  5. જીવ પ્રકૃતિને આધીન થઈને સૃષ્ટિચક્રમાં ફરે છે. ઈશ્ર્વર પ્રકૃતિને આધીન થઈને નહીં, પરંતુ પ્રકૃતિના અધિપતિ તરીકે સૃષ્ટિમાં આવે છે, સ્વસંકલ્પથી આવે છે.
  6. જીવનો જન્મ અજ્ઞાનજન્ય અને અવશપણે થાય છે. પરમાત્મા સજ્ઞાન રીતે અને પોતાના દિવ્ય સંકલ્પપૂર્વક અવતરે છે.
  7. અવતાર અને જીવની જન્મ ધારણ કરવાની પ્રક્રિયા પણ ભિન્નભિન્ન હોય છે. જીવ પોતાનાં કર્મોના ફળ પ્રમાણે, અર્થાત્ પ્રારબ્ધવશાત્ પ્રાકૃતિક વેગને આધીન બનીને બેભાન અવસ્થામાં જન્મે છે. ક્યાં જન્મ ધારણ કરવો, ક્યારે જન્મ ધારણ કરવો, કયા રૂપે જન્મ ધારણ કરવો તેમાં જીવની કોઈ સ્વતંત્રતા નથી. જીવ અવશપણે ઘસડાય છે. ઈશ્ર્વર પોતાની દિવ્ય પ્રકૃતિનો આશ્રય લઈને, પ્રકૃતિના અધિપતિ તરીકે પોતે ઇચ્છે ત્યારે, પોતે ઇચ્છે તે રૂપે, પોતાની ઇચ્છાને અનુરૂપ જન્મ ધારણ કરે છે.
    અવતાર તરીકે પણ તે સજ્ઞાન, સચેતન, સ્વતંત્ર અને સર્વસમર્થ જ હોય છે. જીવ પ્રકૃતિને આધીન છે, ઈશ્ર્વર કોઈને આધીન નથી.
  8. અવતારનો જન્મ અને તેનાં કર્મો દિવ્ય હોય છે. જીવનો જન્મ અને તેનાં કર્મો લૌકિક અને પ્રાકૃતિક હોય છે.
  9. જીવ બ્રહ્મનિષ્ઠ કે બ્રહ્મસ્વરૂપ બની શકે છે, તો પણ બ્રહ્મનિષ્ઠ પુરુષ અને અવતાર વચ્ચે ઘણી ભિન્નતા છે, સ્વરૂપગત ભિન્નતા છે.

બ્રહ્મનિષ્ઠ પુરુષ મુક્તાત્મા છે, છતાં તે જીવ છે અને અવતાર તો ઈશ્ર્વર છે, વિશ્ર્વનિયંતા છે. જીવ બ્રહ્મનિષ્ઠ બનીને બાહ્ય સાથે એકત્વ પામી શકે છે, પરંતુ ઈશ્ર્વર બની શકતો નથી.(ક્રમશ:)ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button