આચમનઃ ધર્મનો તકાજો: માનવી માનવ બનીને રહે…

- અનવર વલિયાણી
ધર્મના મર્મને કર્મમાં ઉતારવાના સનાતન સત્યને ઉજાગર કરતો એક લા’જવાબ પ્રસંગ, ઉદાહરણ ‘મુંબઈ સમાચાર’ની દાયકાઓ જૂની લોકપ્રિય પૂર્તિ ‘ધર્મતેજ’ના વાચક બિરાદરોને પ્રેરણા પાડનારો બની રહેવા પામશે:
-‘ગુરુદેવ ધર્મની સીમા ક્યાં સુધી?’
-ચીનના એક મહાન ફિલસૂફ તાઓને એક વખત તેમના જિજ્ઞાસુ શિષ્યોએ પૂછયું!
-તાઓએ નાકના ટેરવા ઉપર નજર નોંધી કહ્યું:-‘મનુષ્યના નાકના ટેરવા સુધી!’
-શિષ્યે ખુલાસો માગ્યો;
-‘એ કઈ રીતે?’
-ગુરુએ કહ્યું કે, ‘મનુષ્યનો ધર્મ જ્યારે પોતાની નિર્ધારિત હદ ઓળંગી જાય છે ત્યારે સંઘર્ષ સર્જાય છે. દરેકનો ધર્મ છે કે એ પોતાનો કર્મ એ રીતે પાળે કે બીજાને એનાથી કોઈ કષ્ટ, કોઈ ત્રાસ કે હાનિ ન પહોંચે…!’
-આમ છતાં શિષ્યને સંતોષ ન થયો, એણે કહ્યું કે ‘પ્રભુ! બૌદ્ધ ધર્મની સીમા મારા નાકના ટેરવા સુધીની જ નથી. આખા ચીન, જાપાન, વિયેતનામ, કંબોડિયા, બર્મા, શ્રીલંકા, ભારતવર્ષ, માંગોલિયાની સીમાઓ સુધી પ્રસરેલી છે. બોલો હવે કહો, ધર્મની સીમા કઈ?’
-તાઓએ કહ્યું: માણસના નાકનો ટેરવા સુધી જ.
- જે તે દેશના જાનવરો, પશુપંખી, જીવજંતુ, વૃક્ષો, પથ્થરો બૌદ્ધ ધર્મના અનુયાયી નથી. માત્ર મનુષ્યો જ એનો સ્વીકાર કરે છે અને આ બધા દેશોમાં બીજા બધા ધર્મો પણ છે એટલે જ કહું છું કે-
- ધર્મની સીમા માણસના નાકના ટેકવા સુધીની.
વ્હાલા સમજદાર વાચક બંધુઓ! તાઓએ આ વાત કેટલા હજાર વર્ષ પહેલાં કરી હશે એની ખબર નથી પણ જગતના કાનૂન સિદ્ધાંત એટલે લૉ ઑફ ટ્રોટમાં પણ આવી જ એક વાત છે અને આ સિદ્ધાંત કહે છે કે- - માણસની સઘળી સ્વતંત્રતા બીજા માણસની નાકની દાંડીને ન સ્પર્શે ત્યાં સુધીની જ હોય છે.
-આ સિદ્ધાંતને કાનૂનશા તાઓની જેમ જ સમજાવતાં કહે છે કે- - તમને તલવાર ઘુમાવવાની કે છત્રી હલાવતા હલાવતા ચાલવાની સ્વતંત્રતા ખરી પણ છત્રીની કે તલવારની અણી બીજા માણસના દેહને સ્પર્શવી જોઈએ નહીં.
-જગતભરના ઈમાન અને કાનૂની સિદ્ધાંતો માત્ર વ્યક્તિવાદી છે.
- ધર્મ કોઈ પણ હોય, પરંતુ કયો ધર્મ પાળવો એનો નિર્ણય જેમ મનુષ્યે પોતે કરવાનો છે એ જ રીતે.
- કાનૂન તમને જે સ્વતંત્રતા આપે છે એ બીજાને તકલીફ ન આપો ત્યાં સુધીની જ છે.
ધર્મજ્ઞાન
- આપણાં કર્તવ્યથી બીજાને વ્યથા પહોંચે એવો આપણો ધર્મ ન હોય.
- ધર્મ તો એનું નામ જેનું આપણને પાલન કરતા જોઈ બીજાઓને સાથ આપવાની ઈચ્છા થાય.
-કાનૂન પણ એનું જ નામ છે જેનું પાલન કરતા કોઈને જોઈએ તો આપણને એ પાળવાનું મન થાય.
પ્રેરણાસ્રોત:
જહોન ડગ્લાસ નામના એક ફિલસૂફીના પ્રોફેસરે સરસ વાત કરી છે કે-
- ધર્મ,
- કાનૂન,
- નીતિ,
- આદર્શો,
- સિદ્ધાંત
-બધામાં જો કોઈ તથ્ય હોય તો તે માણસને માણસની જેમ જીવવાનું શીખવવાની સાથે જ માનવીના મનમાં ઉદભવતા પ્રશ્નોના જવાબ શોધવાની અવિરત પ્રક્રિયા કરે છે.
-બીજા જીવો કરતાં માણસ જુદો પણ આ એક જ કારણસર પડે છે.
- બીજા જીવો માત્ર સીમિત જ્ઞાનની સીમામાં કામ કરે છે. ધર્મનો તકાજો છે કે માનવી માનવ બનીને રહે. આદમી ઔર ઈન્સાન વચ્ચેની ભેદરેખાને સમજવો રહ્યો.
આપણ વાંચો: વિશેષઃ જીવની સર્વ અવસ્થાઓનું કારણ ધર્મ ને અધર્મ જ છે…