વિશ્વ બજાર પાછળ આયાતી તેલમાં ચમકારો, સિંગતેલમાં નરમાઈ | મુંબઈ સમાચાર
વેપાર

વિશ્વ બજાર પાછળ આયાતી તેલમાં ચમકારો, સિંગતેલમાં નરમાઈ

1થી 15 સપ્ટેમ્બરમાં મલયેશિયાની પામતેલની નિકાસ 2.5 ટકા વધી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
શિકાગો ખાતે ગઈકાલે સોયાતેલના વાયદામાં 93 સેન્ટનો સુધારો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ ઉપરાંત આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં પણ ચાર રિંગિટ વધી આવ્યાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આયાતી તેલમાં 10 કિલોદીઠ આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડમાં રૂ. 15 અને સન રિફાઈન્ડમાં રૂ. પાંચનો સુધારો આવ્યો હતો. જોકે, આજે નિરસ માગે સિંગતેલમાં 10 કિલોદીઠ રૂ. 10 ઘટી આવ્યા હોવાનું સૂત્રોએ જણાવતાં ઉમેર્યું હતું કે આજે એકંદરે હાજર તથા ડાયરેક્ટ ડિલિવરી શરતે વેપારો છૂટાછવાયા રહ્યા હતા.

વધુમાં આજે કાર્ગો સર્વેયર ઈન્ટરટેક સર્વિસીસ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રાથમિક આંકડાકીય માહિતી અનુસાર ગત તા. 1થી 15 સપ્ટેમ્બર દરમિયાન મલયેશિયાની પામતેલની નિકાસ આગલાઑગસ્ટ મહિનાના 7,24,191 ટન સામે 2.55 ટકા વધીને 7,42,648 ટનની સપાટીએ રહી છે.

આપણ વાંચો: સોયાબીનના ભાવ ટેકાના કરતાં નીચી સપાટીએ છતાં ઑગસ્ટમાં સોયાતેલની આયાત મોસમની ટોચ પર

આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ એડબ્લ્યુએલના આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડના રૂ. 1265 અને સન રિફાઈન્ડના રૂ. 1425, પતંજલિ ફૂડ્સના આરબીડી પામોલિનના રૂ. 1285, સોયા રિફાઈન્ડના રૂ. 1290 અને સન રિફાઈન્ડના રૂ. 1410, ઈમામીના આરબીડી પામોલિનના રૂ. 1275, સોયા રિફાઈન્ડના રૂ. 1265 અને સન રિફાઈન્ડના રૂ. 1400 તથા ગોલ્ડન એગ્રી અને અલાનાના આરબીડી પામોલિનના અનુક્રમે રૂ. 1300 અને રૂ. 1290 ક્વૉટ થઈ રહ્યા હતા.

આજે ગુજરાતમાં ગોંડલ મથકે 32,000 ગૂણી મગફળીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 950થી 1120માં થયા હતા, જ્યારે રાજકોટ મથકે 12,000 ગૂણી મગફળીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 950થી 1250માં થયાના અહેવાલ હતા.
સ્થાનિકમાં આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડના રૂ. 1295, સન રિફાઈન્ડના રૂ. 1425, સિંગતેલના રૂ. 1350, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1360 અને સરસવના રૂ. 1600ના મથાળે ટકેલા રહ્યા હતા. આ સિવાય આજે ગુજરાતનાં મથકો પર નિરસ માગે સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 10 ઘટીને રૂ. 2140માં અને લૂઝમાં 10 કિલોદીઠ 10 ઘટીને રૂ. 1330માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button