બાળાસાહેબના વિચારોને ઉદ્ધવ ઠાકરેએ ત્યાગી દીધા: દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈ: લોકસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન પૂરું થયું ત્યારબાદ રાજકીય પક્ષો દ્વારા પણ પોતાનો પ્રચાર વધુ ધારદાર બનાવવામાં આવ્યો છે અને એકબીજા પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ ઉદ્ધવ ઠાકરે ઉપર નિશાન તાક્યું હતું.
ઉદ્ધવ ઠાકરેએ એક અખબારને આપેલી મુલાકાતમાં દાવો કર્યો હતો કે ફડણવીસે આદિત્યા ઠાકરેને મુખ્ય પ્રધાન બનાવવાનો વાયદો કર્યો હતો. જ્યારબાદ ફડણવીસ અને ઉદ્ધવ વચ્ચે રસાકસી જામી છે. દક્ષિણ-મધ્ય મુંબઈ ખાતેના પોતાના ઉમેદવાર અનિલ દેસાઇની પ્રચાર સભામાં દેવેન્દ્ર ફડણવીસને ઉદ્ધવે લાજ વગરના વ્યક્તિ કહ્યા હતા. જ્યારબાદ ફડણવીસે વળતો પ્રહાર કરતા ઉદ્ધવને જવાબ આપ્યો છે.
આપણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધીની કરી ટીકા, પહેલા જરા વાંચો તો ખરા…
સોશિયલ મીડિયા સાઇટ એક્સ(પહેલા ટ્વિટર) પર ફડણવીસે સ્વર્ગીય બાળાસાહેબ ઠાકરેનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે હિંદુહૃદયસમ્રાટ શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેનો અમે આદર કર્યો છે અને કરતા રહીશું. પરંતુ જેમણે પણ વંદનીય બાળાસાહેબ ઠાકરેના વિચારોને ત્યાગી દીધા છે તેમનો આદર અમે કરી શકીએ નહીં.
તેમણે વધુમાં લખ્યું હતું કે બાળાસાહેબ શબ્દના પાક્કા હતા અને ક્યારે પણ શબ્દોથી પાછા ન ફરતા. સંકુચિત માનસ ધરાવીને તેમણે ક્યારે પણ સ્વાર્થનો વિચાર ન કર્યો અને તે હયાત હતા ત્યાં સુધી ખોટું ક્યારેય ન બોલ્યા. એટલે જ તે આજ સુધી વંદનીય છે. રોજ એક કપોળકલ્પિત કથા તૈયાર કરીને ઉદ્ધવ ઠાકરે કોની દિશાભૂલ કરી રહ્યા છે? પોતાની જ ને? મહારાષ્ટ્રનો વિકાસ તે કંઇ સલીમ-જાવેદની સ્ક્રિપ્ટ નથી, તેવા શબ્દોમાં ફડણવીસે ઉદ્ધવની ટીકા કરી હતી.