IPL 2024

કોહલીની સદીને વખાણ્યા પછી સેહવાગે તેની કઈ ભૂલ બતાડી?

જયપુર: બેન્ગલૂરુની ટીમ શનિવારે વિરાટ કોહલીની સેન્ચુરી છતાં રાજસ્થાન સામે હારી ગઈ ત્યાર બાદ ભૂતપૂર્વ ભારતીય ઓપનર વીરેન્દર સેહવાગે કોહલીના વખાણ કરવાની સાથે તેણે શું ભૂલ કરી એના તરફ પણ ધ્યાન દોર્યું હતું.

કોહલીએ ફટકારેલા અણનમ 113 રન આ વખતની આઇપીએલની પ્રથમ સેન્ચુરી છે. તેણે એ 113 રન 72 બૉલમાં ચાર સિક્સર અને બાર ફોરની મદદથી બનાવ્યા હતા. તેણે 50 રન 39 બૉલમાં બનાવ્યા હતા અને તેની સેન્ચુરી 67મા બૉલમાં પૂરી થઈ હતી. બેન્ગલૂરુએ ત્રણ વિકેટે 183 રન બનાવ્યા બાદ રાજસ્થાને જૉસ બટલરની અણનમ સેન્ચુરી (58 બૉલમાં ચાર સિક્સર અને નવ ફોરની મદદથી અણનમ 100)ની મદદથી 19.1 ઓવરમાં ચાર વિકેટે 189 રન બનાવીને સતત ચોથો વિજય મેળવ્યો હતો. બટલરે સિક્સર ફટકારીને સદી પૂરી કરી અને એ સાથે રાજસ્થાનની જીત પણ થઈ હતી.

સેહવાગે એક જાણીતી ક્રિકેટ વેબસાઇટને આપેલી મુલાકાતમાં પહેલાં તો કોહલીની પ્રશંસા કરતા કહ્યું, ‘કોહલી તેની આખી ઇનિંગ્સ દરમ્યાન સતતપણે માનસિક દબાણમાં હતો. તેને સામા છેડેથી (ફાફ ડુ પ્લેસીને બાદ કરતા) કોઈનો પણ સપોર્ટ નહોતો મળ્યો. કૅમેરન ગ્રીન અને ગ્લેન મૅક્સવેલ માટે તો આ આઇપીએલ ભૂલી જવા જેવી જ છે.’

આપણ વાંચો: હૈદરાબાદના હાઈ-સ્કોરિંગ મેદાન પર સનરાઇઝર્સે ચેન્નઈને 165/5 સુધી સીમિત રાખ્યું

સેહવાગે કોહલીની સદી વિશે કહ્યું, ‘મને લાગે છે કે આરસીબીને જીતવા માટે 20 રન ઓછા પડ્યા. કોહલીની ઇનિંગ્સ ગ્રેટ હતી, પરંતુ તેનો સ્ટ્રાઇક-રેટ (જે 156.94 હતો) વધવો જોઈતો હતો. જો કોઈ બૅટર 39 બૉલમાં 50 રન બનાવે તો ત્યાર પછીના 50 રન તેણે વધુ ઝડપથી બનાવવા જ જોઈએ. એ પછી તેનો સ્ટ્રાઇક-રેટ આપોઆપ 200ની આસપાસ પહોંચી જવો જોઈએ. એ વિશે તેણે ભૂલ કરી.’

ગુજરાત ટાઇટન્સનો સુપરસ્ટાર બોલર મોહમ્મદ શમી ઈજાને લીધે આ આઇપીએલમાં નથી રમ્યો. તેણે મુલાકાતમાં કહ્યું, ‘આરસીબીની ટીમ હંમેશાં કોહલી પર જ આધાર ન રાખી શકે. એકલા તેના પર શા માટે જીતવાનો બોજ નાખવો જોઈએ. બીજા બૅટર્સે કમર કસવાની જરૂર છે.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…