રામલલાની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થપાઇ
અયોધ્યા: રામનગરીમાં તૈયાર કરાયેલા દિવ્ય, ભવ્ય, અલૌકિક રામમંદિરના ગર્ભગૃહમાં ગુરુવારે રામલલાની મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપવામાં આવી હતી. ભારે હર્ષોલ્લાસ સાથે રામલલાની મૂર્તિને ગર્ભગૃહમાં લવાઇ ત્યારે ત્યાં ભેગા થયેલા લોકોએ ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા હતા. રામલલાની મૂર્તિને ચાર કલાકની મહેનતથી ક્રેન દ્વારા મંદિરના ગર્ભગૃહમાં લાવવામાં આવી તે પહેલાં ત્યાં ખાસ પૂજા કરાઇ હતી.
વિશ્ર્વ હિંદુ પરિષદના મીડિયા ઇન્ચાર્જ શરદ શર્માએ આ કાર્યક્રમનો વીડિયો શૅર કર્યો હતો. અગાઉ, કર્ણાટકના શિલ્પી અરુણ યોગીરાજ દ્વારા તૈયાર કરાયેલી રામલલાની મૂર્તિને રામમંદિરમાં સ્થાપવા માટે પસંદ કરાઇ હતી.
શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રે સોશિયલ મીડિયા ‘એક્સ’ પર જણાવ્યું હતું કે શિલ્પી અરુણ યોગીરાજ દ્વારા કૃષ્ણ શિલામાંથી તૈયાર કરાયેલી મૂર્તિને ગર્ભગૃહમાં પ્રસ્થાપિત કરાઇ છે.
શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના નિરીક્ષણ હેઠળ અયોધ્યાના આ મંદિરનું નિર્માણ કરાયું હતું અને આ ટ્રસ્ટ દ્વારા મંદિરનો કારભાર સંભાળાશે. (એજન્સી)