મહારેરા રજિસ્ટ્રેશન વખતે હવે ત્રિસ્તરીય તપાસ
કાયદાકીય, ટેક્નિકલ અને આર્થિક સ્તરે જાંચ થશે
મુંબઈ: મૂળ રહેવાસીઓને કોઈ પણ પ્રકારની તકલીફ થાય નહીં તેમજ પ્રોજેક્ટ સમયસર પૂરો થાય એ માટે મહારેરાએ રજીસ્ટ્રેશન માટે આવતા પ્રોજેક્ટોની તપાસ ત્રણ સ્તરે કરવાનો નિર્ણય લીધો છે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા વધુ કઠોર કરવામાં આવશે. એ અનુસાર રજીસ્ટ્રેશન માટે આવતા પ્રોજેક્ટોની કાયદાકીય (લીગલ), આર્થિક (ફાયનાન્શિયલ) તેમજ તકનીકી (ટેકનિકલ) એમ ત્રણ મુદ્દાને ધ્યાનમાં રાખી જાંચ કરવામાં આવશે. મહારેરાએ તપાસ માટે ત્રણ ઘટક અનુસાર ત્રણ સ્વતંત્ર વિભાગ નક્કી કર્યા છે. આ નિર્ણયનો અમલ તાત્કાલિક ધોરણે કરવામાં આવશે અને ત્રણેય ઘટકની પૂર્તિ ન થાય ત્યાં સુધી પ્રોજેક્ટને રજીસ્ટ્રેશન નંબર નહીં આપવામાં આવે એવી સ્પષ્ટતા મહારેરા દ્વારા કરવામાં આવી છે.
ડેવલપરો ગ્રાહકોની ફસામણી ન કરે, બાંધકામમાં પારદર્શકતા આવે અને પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય એ માટે રેરા કાયદામાં અનેક કઠોર જોગવાઈઓ કરવામાં આવી છે. મહારેરાના માધ્યમ દ્વારા આ જોગવાઈઓનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. જોકે, તેમ છતાં અનેક ડેવલપરો પ્રોજેક્ટ સમયસર પૂરો નથી કરતા. અધૂરા પ્રોજેક્ટોની સંખ્યા ખાસ્સી મોટી છે. એનું નુકસાન ગ્રાહકોને ભોગવવું પડે છે. આ ઉપરાંત પ્રોજેક્ટ વિશે પણ અનેક ફરિયાદો મહારેરા પાસે આવતી હોય છે.આ બધી બાબતોનો વિચાર કરી આગામી પ્રોજેક્ટોની જાંચ અત્યંત બારીકાઈથી કરવામાં આવશે.