આમચી મુંબઈ

મધ્ય પ્રદેશ પ્રધાનમંડળનું વિસ્તરણ: 28 પ્રધાને શપથ લીધા

ભોપાલ: મધ્ય પ્રદેશના પ્રધાનમંડળમાં 28 વિધાનસભ્યોનો સોમવારે મુખ્ય પ્રધાન મોહન યાદવના પ્રધાનમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રલ્હાદ પટેલ, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીય સહિત 28 વિધાનસભ્યોએ પદ અને ગુપ્તતાના સોગંદ લીધા હતા. ગવર્નર મંગુભાઈ પટેલે રાજભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રધાનોને શપથ લેવડાવ્યા હતા. મોહન યાદવ પ્રધાનમંડળના વિસ્તરણમાં 18 વિધાનસભ્યોએ કેબિનેટ પ્રધાન તરીકે અને છ પ્રધાને રાજ્યકક્ષાના સ્વતંત્ર પ્રભાર સાથે જ્યારે ચાર પ્રધાને રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
વિજય શાહ, કૈલાશ વિજયવર્ગીય, પ્રલ્હાદ પટેલ, કરણસિંહ વર્મા, રાકેશ સિંહ, ઉદય પ્રતાપસિંહ, તુલસીરામ સિલાવટ, એદાલસિંહ કસાના, ગોવિંદસિંહ રાજપૂત, વિશ્વાસ સારંગ, નિર્મલા ભૂરિયા, નારાયણસિંહ કુશવાહા, સંપતિયા ઉઇકે, નાગરસિંહ ચૌહાણ, પ્રદ્યુમ્ન સિંહ તોમર, રાકેશ શુકલા, ચૈતન્ય કશ્યપ અને ઈન્દરસિંહ પરમાર કેબિનેટ પ્રધાન બન્યા છે. કૃષ્ણા ગૌર, ધર્મેન્દ્રભાવ લોધી, દિલીપ જયસ્વાલ, ગૌતમ તેતવાલ, લખન પટેલ અને નારાયણસિંહ પરમાર સ્વતંત્ર ચાર્જ સાથેના રાજ્યકક્ષાના પ્રધાન બન્યા છે, જ્યારે નરેન્દ્ર શિવાજી પટેલ, પ્રતિમા બાગડી, દિલીપ અહિરવાર અને રાધાસિંહ રાજયકક્ષાના પ્રધાન બન્યા છે.
મુખ્ય પ્રધાન મોહન યાદવ, બે નાયબ મુખ્ય પ્રધાન રાજેન્દ્ર શુકલા અને જગદીશ દેવડા સહિત પ્રધાનોની સંખ્યા હવે 31 થઈ છે. ગોવિંદસિંહ રાજપૂત ત્રીજીવાર પ્રધાન બન્યા છે. કૃષ્ણા ગૌરના સસરા દિવંગત બાબુલાલ ગૌર મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન હતા.ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button