નાગપુરમાં લગ્ન પ્રસંગમાં ૮૦ જણને ખોરાકી ઝેરની અસર
રિસોર્ટ મેનેજમેન્ટ સામે ફરિયાદ
નાગપુર: અહીંના અમરાવતી રોડ પરના એક રિસોર્ટમાં લગ્ન સમારંભના કાર્યક્રમમાં જમ્યા પછી ૮૦ લોકોની તબિયત બગડી જતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના ૧૦મી ડિસેમ્બરે બની હતી. બપોરના ભોજન પછી વરરાજા અને સંખ્યાબંધ મહેમાનોને પેટમાં દુખાવો થયો હતો. સાંજે રિસેપ્શન સમારંભમાં પીરસાયેલા વ્યંજનોમાંથી દુર્ગંધ આવતી હતી.
ફરિયાદીએ રિસોર્ટ મેનેજમેન્ટનું ધ્યાન દોર્યું હતું પણ યોગ્ય પ્રતિભાવ મળ્યો ન હતો. મધરાતે ઓછામાં ઓછા ૮૦ મહેમાનોને ઉલટી થઈ હતી. તમામને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
વરરાજાના પિતા કૈલાશ બત્રાએ રિસોર્ટ મેનેજમેન્ટ સામે કમલેશ્ર્વર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી. એસપી હર્ષ પોદ્દારે કહ્યું કે દર્દીઓના નિવેદન નોંધવા અને તેમના કેસ રિપોર્ટ મેળવવા પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે તે પછી રિસોર્ટ મેનેજમેન્ટ સામે કેસ નોંધવામાં આવશે.