જથ્થાબંધ ભાવ પર આધારિત ફુગાવો આઠ મહિનાની ટોચે
નવી દિલ્હી: કાંદા, ફળો, ડાંગર સહિતની ખાદ્યસામગ્રીના ભાવમાં થયેલા ભારે વધારાને કારણે નવેમ્બરમાં જથ્થાબંધ ભાવ પર આધારિત ફુગાવાનો દર આઠ મહિનાના શિખરે (૦.૨૬ ટકા) રહ્યો હતો.
જથ્થાબંધ ભાવ પર આધારિત ફુગાવાનો દર છેલ્લાં સાત મહિનાથી નેગેટિવ (નકારાત્મક) ઝોનમાં રહેતો હતો અને ગયા ઑક્ટોબરમાં -(માઇનસ) ૦.૫૨ ટકા રહ્યો હતો.વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના નિવેદનમાં જણાવાયું હતું કે ખાદ્યસામગ્રી, ખનિજ, મશીનરી અને
સંબંધિત સાધનસામગ્રી, કમ્પ્યૂટર, ઇલેક્ટ્રોનિક્સ, ઑપ્ટિકલ પ્રૉડક્ટ્સ, મોટર વાહનો અને
પરિવહનના અન્ય સાધનો તેમ જ ઉત્પાદન ક્ષેત્રે ભાવવધારાને કારણે ૨૦૦૩ના નવેમ્બરમાં જથ્થાબંધ ભાવ પર આધારિત ફુગાવાનો દર હકારાત્મક (પૉઝિટિવ) રહ્યો હતો.
જથ્થાબંધ ખાદ્યસામગ્રી આધારિત ફુગાવો ઑક્ટોબરમાં ૨.૫૩ ટકા હતો, તે નવેમ્બરમાં વધીને ૮.૧૮ ટકા થયો હતો.
ચાલુ અઠવાડિયાની શરૂઆતમાં બહાર પાડવામાં આવેલા સત્તાવાર આંકડા મુજબ ક્ધઝ્યુમર પ્રાઇસ આધારિત ફુગાવાનો દર નવેમ્બરમાં ત્રણ મહિનાની ટોચે (૫.૫૫ ટકા) રહ્યો હતો અને તેનું પણ મુખ્ય કારણ ખાદ્યસામગ્રીના ભાવમાં થયેલો વધારો હતો.
અગાઉ, ભારતીય રિઝર્વ બૅન્કે આર્થિક નીતિ અંગેના દ્વિમાસિક અહેવાલમાં વ્યાજદર સ્થગિત્ રાખવાની જાહેરાત કરી હતી.
કાંદાના ભાવ પર આધારિત જથ્થાબંધ ફુગાવાનો દર ઑક્ટોબરમાં ૬૨.૫૦ ટકા હતો, જે નવેમ્બરમાં વધીને ૧૦૧.૨૪ ટકા થયો હતો.
કાંદાનો છૂટક ભાવ ઘણી જગ્યાએ કિલોગ્રામ દીઠ રૂપિયા ૮૦ થઇ ગયો હતો અને તે જાન્યુઆરીમાં ફરી ઘટીને કિલોગ્રામ દીઠ રૂપિયા ૪૦ થઇ જવાની આશા છે.
સરકારે ડુંગળીના ભાવને નિયંત્રણમાં રાખવા માટે તેની નિકાસ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.
ડાંગરના ભાવને લગતો ફુગાવાનો દર ૧૦.૪૪ ટકા, ફળોના ભાવ પર આધારિત ફુગાવાનો દર ૮.૩૭ ટકા રહ્યો હતો, પરંતુ બટાટાના ભાવ પર આધારિત ફુગાવાનો દર નીચો (-૨૭.૨૨ ટકા) રહ્યો હતો. (એજન્સી)