પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, ૨૩ પોલીસનાં મોત

આત્મઘાતી હુમલો: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં આતંકવાદીઓએ મંગળવારે વિસ્ફોટકો ભરેલી ટ્રક સુરક્ષા ચોકીની ઈમારત સાથે અથડાવ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલા સુરક્ષા અધિકારીઓ. (એજન્સી)
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના ડેરા ઈસ્માઈલ ખાન આર્મી બેઝ પર થયેલા આત્મઘાતી હુમલામાં ૨૩ લોકોના મોત થયા હતા. આ હુમલો ડેરા ઈસ્માઈલ ખાનના એક લશ્કરી ઇમારતમાં થયો હતો. એક રિપોર્ટ અનુસાર વિસ્ફોટને કારણે ત્રણ રૂમ ધરાશાયી થઈ ગઇ છે અને ઈમારતોના કાટમાળમાંથી મૃતદેહોને કાઢવામાં આવ્યા છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે કારણ કે કેટલાક ઘાયલ અધિકારીઓની હાલત ગંભીર છે.
નામ જાહેર ન કરવાની શરતે બોલતા એક સ્થાનિક અધિકારીના જણાવ્યા અનુસાર, વહેલી સવારના આ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અફઘાન સરહદ નજીક આવેલા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં એક પોલીસ સ્ટેશનને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ હુમલો થયો ત્યારે લોકો ઊંઘતા હતા. એ સમયે
વિસ્ફોટકોથી ભરેલા આત્મઘાતી વાહને લશ્કરી ઇમારતમાં વિસ્ફોટ કર્યો હતો.
તહરીક-એ-જેહાદ પાકિસ્તાન એ તહરીક-એ-તાલિબાને સાથે સંકળાયેલું નવું જૂથ છે. તેણે આ હુમલાની જવાબદારી લીધી છે. આ આતંકી સંગઠન અફઘાનિસ્તાનની તર્જ પર પાકિસ્તાનમાં સરકાર બનાવવા માગે છે. આ કારણે તે સતત સરકારી વિભાગો અને અધિકારીઓને નિશાન બનાવી રહી છે.
પાકિસ્તાની મીડિયાના જણાવ્યા અનુસાર ફિદાયીન એક વાહનમાં લશ્કરી ઇમારતના ગેટમાં પ્રવેશ્યો હતો. ગેટ પર પહોંચતા જ તેણે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ વર્ષે જાન્યુઆરીમાં ખૈબર પખ્તુનખ્વામાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા ૧૦૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ખૈબર પખ્તુનખ્વાનો વિસ્તાર અફઘાનિસ્તાનની સરહદે છે.