નેશનલ

ગુજરાતમાં માવઠાથી નુકસાની સામે વિશેષ પેકેજ નહીં: એસડીઆરએફ મુજબ જ સહાય મળશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ગુજરાતમાં શનિવારથી સોમવાર સુધીના ત્રણ દિવસ સર્જાયેલી માવઠાંની આપત્તિથી ખેતીવાડીને થયેલા પારાવાર નુકસાન સામે વળતર આપવા માટે ગુજરાત સરકારે વિશેષ સહાય પેકેજ જાહેર કરવાને બદલે એસડીઆરએફ એટલે કે દર વખતે કુદરતી આપત્તિ વખતે ૩૩ ટકા નુકસાન સામે જ સહાય આપવાની યોજના મુજબ ખેડૂતોને વળતર આપવાની મંગળવારે જાહેરાત કરી છે. તેમ જ વળતર માટે મંગળવારથી સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત રવી પાકને માવઠાંથી નહીંવત્ નુકસાન થયું હોવાનો પણ સરકારે સર્વે પહેલા જ દાવો કર્યો છે.

રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યમાં તા. ૨૬ તથા ૨૭મી નવેમ્બરના રોજ ૧ મી.મી. (મીલિમીટર)થી લઈને ૧૫૧ મી.મી. કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન ખાતા દ્વારા જારી થયેલી વરસાદની સચોટ આગાહીના પગલે ખેતીવાડી ખાતા દ્વારા અગાઉથી જ ખેડૂતોને ખેતરમાં કાપણી કરીને પડેલા પાક તથા માર્કેટિંગ યાર્ડોને જણસીઓના જતન તથા પલળે નહીં તેવી વ્યવસ્થા કરવા સૂચના અપાઈ હતી જેના કારણે મોટાભાગના પાકની નુકસાની બચાવી શક્યા છીએ.

તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્યમાં ખરીફ પાકોનું આશરે ૮૬ લાખ હેક્ટરમાં વાવેતર થયેલું હતું જેમાં કપાસ, એરંડા, તુવેર મુખ્યત્વે છે. જો કે મોટાભાગના પાકની કાપણી પૂર્ણ થઈ ગઈ છે. હજુ રાજ્યમાં ૧૦ થી ૧૫ લાખ હેક્ટરમાં કપાસનો પાક ઊભો હોવાનો અંદાજ છે, જેમાં મુખ્ય ફાલ વીણાઈ ગયો છે, જ્યારે છેલ્લો થોડો ફાલ વીણવાનો બાકી છે. કુલ મળીને અંદાજે ૨૦થી ૨૫ લાખ હેક્ટરમાં કપાસ, એરંડા, તુવેરના પાકનું વાવેતર થયેલું હતું. જો કે પાકની મુખ્ય કાપણી, વીણવાનું કામ પૂર્ણ થઈ ગયું હોવાથી માવઠાંની નુકસાનીની શક્યતા ઓછી છે. આમ છતાં રાજ્યમાં ત્રણથી ચાર લાખ હેક્ટરમાં કપાસ, દિવેલા, તુવેરના ઊભા પાકને અસર થયાનો પ્રાથમિક અંદાજ છે.

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ ચોખ્ખું થવા લાગ્યું છે. કમોસમી વરસાદી વાદળાઓ દૂર થવા લાગ્યા છે. કૃષિ ખાતા દ્વારા ખેતીવાડી વિભાગના અધિકારીઓને આજથી જ જિલ્લાવાર પાકની નુકસાનનો સર્વે કરવા તથા આ કામગીરી વહેલાસર પૂર્ણ કરવા સૂચના આપી છે. પાકમાં નુકસાનીનો અહેવાલ આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા એસડીઆરએફના ધોરણો મુજબ ખેડૂતોને માવઠાંની આપદામાં સહાય ચૂકવાશે એવું તેમણે ઉમેર્યું હતું.

તેમણે એવું પણ કહ્યું હતું કે, રાજ્યમાં રવી સિઝનમાં ૪૫ લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. અત્યાર સુધીમાં ૧૫થી ૧૬ લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે, જેમાં ઘઉં, ચણા, શેરડી, ધાણા, જીરૂ, વરિયાળી, શાકભાજી સહિતના પાક હજુ ઊગતી અવસ્થામાં છે. આથી બે દિવસના માવઠામાં તેમાં નુકસાનીની શક્યતા નહિવત્ છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, છેલ્લા નવ વર્ષમાં રાજ્ય સરકારે અતિવૃષ્ટિ, માવઠાં કે કુદરતી આપત્તિઓમાં ખેતી પાકને થયેલા નુકસાન સામે રાજ્યના ૮૯ લાખ ખેડૂત લાભાર્થીઓને એસડીઆરએફના નિયમો પ્રમાણે રૂ. ૭૭૭૭.૮ કરોડ ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી રૂ. ૨૯૬૬.૯ કરોડ આમ કુલ રૂ. ૧૦,૭૪૦ કરોડની સહાય ચૂકવાઇ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…