બુમરાહનો ટીકાકારોને જડબાતોડ જવાબ, લોકો કહેતા હું આઠ મહિનામાં ખતમ થઈશ, પણ…

લીડ્સઃ ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહના ટીકાકારો માનતા હતા કે તેની વિચિત્ર બોલિંગ એક્શનને કારણે તે આઠથી દસ મહિનામાં ટૉપ પરથી ક્યાંય ખોવાઇ જશે પરંતુ તેના આત્મવિશ્વાસને કારણે આ ભારતીય બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક દાયકા જેટલો સમય પૂર્ણ કર્યો હતો. બુમરાહે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં 83 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. ટેસ્ટ મેચમાં 14મી વખત એક ઇનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ લીધા પછી તેણે તેની સફળતાનું રહસ્ય જાહેર કર્યું હતું.
બુમરાહને પૂછવામાં આવ્યું કે શું તેને ઈજાગ્રસ્ત થયા પછી દર વખતે ખતમ માનવામાં આવે તો તેને ખોટુ લાગે છે ત્યારે તેણે કહ્યું હતું કે “લોકો વિચારતા હતા કે આટલા વર્ષોમાં (હું ફક્ત) આઠ મહિના રમીશ, કેટલાક કહેતા હતા 10 મહિના, પરંતુ હવે મેં 10 વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને 12-13 વર્ષ આઇપીએલ રમી છે.” તેણે કહ્યું હતું કે, “એટલે સુધી કે લોકો હજુ પણ લોકો (દરેક ઈજા પછી) કહે છે કે તે આગળ રમી શકશે નહીં. તેમને કહેવા દો, હું મારું કામ કરતો રહીશ. આ બાબતો દર ચાર મહિને આવતી રહેશે, પરંતુ જ્યાં સુધી ભગવાન મને આશીર્વાદ આપશે ત્યાં સુધી હું રમતો રહીશ.”
બુમરાહે કહ્યું હતું કે, “હું શક્ય તેટલી શ્રેષ્ઠ તૈયારી કરું છું અને પછી તે મારા પર કેટલા આશીર્વાદ વરસાવે છે તે ભગવાન પર છોડી દઉં છું.” ઈંગ્લેન્ડને પહેલી ઇનિંગમાં લીડ લેતા અટકાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર બુમરાહે કહ્યું હતું કે તે લોકોની ધારણા બદલવા માટે અહીં નથી. લોકો શું લખે છે તે મારા નિયંત્રણની બહાર છે અને હું લોકોને મારા વિશે શું લખવું તે સલાહ આપી શકતો નથી. જો તેઓ મારા વિશે લખીને વાચકો મેળવે છે, તો મને તેમાં કોઈ સમસ્યા નથી.”
મેચ અંગે બુમરાહે કહ્યું હતું કે પિચ બેટિંગ માટે સારી છે, પરંતુ મેચ આગળ વધશે તેમ તેમાં તિરાડ પડી શકે છે. હાલમાં આ વિકેટ બેટિંગ માટે ખૂબ સારી છે. હવામાનને કારણે નવો બોલ સ્વિંગ થશે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તમે આની અપેક્ષા રાખો છો. અમે મોટો સ્કોર કરવા અને તેમના માટે મુશ્કેલ લક્ષ્ય નક્કી કરવા માંગીએ છીએ.
આપણ વાંચો :બુમરાહે એક જ ઇનિંગ્સમાં બે મોટી સિદ્ધિ મેળવી