વસઈમાં દીકરાઓએ મારપીટ કરી વૃદ્ધ માતા-પિતાને ઘરની બહાર કાઢ્યાં

પાલઘર: વસઈ નજીક બનેલી શરમજનક ઘટનામાં બે દીકરાએ વૃદ્ધ માતા-પિતાની કથિત મારપીટ કર્યા પછી તેમને ઘરની બહાર કાઢી નાખ્યાં હતાં.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના 16 જૂને વસઈના પાટીલ અલી વિસ્તારમાં બની હતી. આ પ્રકરણે અંદાજે 70 વર્ષના વૃદ્ધ દંપતીના બન્ને દીકરા અને તેમની પત્નીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 351(2) અને 352 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર પાટીલ અલી વિસ્તારમાં રહેતાં દંપતીની તેમના જ દીકરાઓ દ્વારા વારંવાર મારઝૂડ કરવામાં આવતી હતી. 16 જૂને તો મારઝૂડ કરીને દંપતીને ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યું હતું.
અધિકારીના જણાવ્યા મુજબ દંપતી પાસે રહેવાની બીજી કોઈ વ્યવસ્થા નહોતી. આખરે બિનસરકારી સંસ્થાના એક સ્વયંસેવકે તેમને કામચલાઉ આશ્રય આપ્યો હતો.
આ પણ વાંચો - ભાયંદર નજીક ક્ધટેઈનર સાથે ટકરાયા પછી ટૅન્કર ખાડીમાં પડ્યું: ડ્રાઈવરનું મોત
આ પ્રકરણે પોલીસ તપાસ કરી રહી છે. સોમવારની મોડી સાંજ સુધી આ કેસમાં કોઈની પણ ધરપકડ કરાઈ નહોતી. (પીટીઆઈ)