વિધાનસભા પેટાચૂંટણીમાં AAP ની બેવડી જીત: કેજરીવાલનો 2027 ના ‘તોફાન’નો સંકેત અને રાજ્યસભાની અટકળો પર ખુલાસો…

નવી દિલ્હીઃ ગુજરાતની વિસાવદર બેઠક અને પંજાબની લુધિયાણા પશ્ચિમ બેઠક પર AAPની શાનદાર જીત બાદ AAP (આમ આદમી પાર્ટી)ના નેતા અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ચાર રાજ્યની પાંચ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બે બેઠકો જીતી છે. આ બેઠકોમાંથી એક ગુજરાતની વિસાવદર છે, જ્યારે બીજી પંજાબની લુધિયાણા પશ્ચિમ વિધાનસભા બેઠક છે. આ જીતથી ઉત્સાહમાં આવીને કેજરીવાલે કહ્યું હતું કે હજુ 2027માં તોફાન આવવાનું છે.
શું કેજરીવાલ રાજ્યસભામાં જશે?
લુધિયાણા પશ્ચિમ વિધાનસભા પેટાચૂંટણીમાં પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજીવ અરોરાની જીત બાદ શું કેજરીવાલ રાજ્યસભામાં જશે તે પૂછવામાં આવતા AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે હું રાજ્યસભામાં જવાનો નથી. રાજ્યસભામાં કોણ જશે તે પક્ષની રાજકીય બાબતોની સમિતિ નક્કી કરશે.
આપ બે, ભાજપ, કોંગ્રેસ અને ટીએમસીને મળી એક-એક
કેજરીવાલે કહ્યું કે આજે કેટલીક વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીના પરિણામો આવ્યા છે. 5 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીએ 2 બેઠક પૈકી ગુજરાતમાં એક વિસાવદર બેઠક અને પંજાબમાં લુધિયાણા પશ્ચિમ બેઠક જીતી છે. આ ઉપરાંત, ભાજપે એક બેઠક, કોંગ્રેસે એક બેઠક અને તૃણમૂલ કોંગ્રેસે એક બેઠક જીતી છે. હું જનતાનો અમારા પર વિશ્વાસ કરવા બદલ આભાર માનું છું.
2027ની ચૂંટણી સેમિફાઈનલ હશે અને તોફાન આવશે
એક ખૂબ જ રસપ્રદ ડેટા છે કે પંજાબમાં ફેબ્રુઆરી 2022માં ચૂંટણીઓ યોજાઈ હતી અને ગુજરાતમાં ડિસેમ્બર 2022માં ચૂંટણીઓ યોજાઈ હતી. તે સમયે અમે ગુજરાતની વિસાવદર બેઠક અને પંજાબની લુધિયાણા પશ્ચિમ બેઠક પર જેટલા માર્જિનથી જીત્યા હતા, તેનાથી લગભગ બમણા માર્જિનથી જીત્યા છીએ. આ એક સંકેત છે કે પંજાબમાં અમારી સરકાર છે અને લોકો અમારા કામથી ખુશ છે. ઘણા લોકો કહી રહ્યા છે કે આ 2027ની સેમિફાઇનલ છે. 2027માં તોફાન આવવાનું છે.

વિસાવદરમાં લોકોએ અમને બમણા માર્જિનથી જીતાડ્યા
કેજરીવાલે કહ્યું હતું કે લુધિયાણા પશ્ચિમ બેઠકની ચૂંટણીએ લોકોના મૂડને પ્રતિબિંબિત કર્યો છે. એક રીતે પંજાબના લોકોએ આમ આદમી પાર્ટીના કામ પર પોતાની મહોર લગાવી છે. ગુજરાતના વિસાવદરના લોકોએ પણ અમને બમણા માર્જિનથી જીતાડ્યા છે. ઘણી વાર એવું કહેવામાં આવે છે કે દ્વિધ્રુવીય સ્થિતિમાં શાસક પક્ષ જીતે છે.
દિલ્હી-પંજાબમાં કામ કરવાથી લોકોએ અમારામાં કર્યો વિશ્વાસ
ગુજરાતમાં શાસક પક્ષ ભાજપ છે. વહીવટ અને પોલીસ પર ભાજપનો નિયંત્રણ છે. બધી એજન્સીઓ તેમની પાસે છે. આવી સ્થિતિમાં, જો ગુજરાતના લોકો અમને બમણા માર્જિનથી વિજય અપાવે છે, તો સંદેશ સ્પષ્ટ છે કે ગુજરાતના લોકો ભાજપના 30 વર્ષના કુશાસનથી ખૂબ જ પરેશાન છે અને હવે જનતા પોતાનો અવાજ ઉઠાવશે. આ એ વાતનો પણ પુરાવો છે કે ગુજરાતના લોકોએ અમારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે કારણ કે અમે દિલ્હી અને પંજાબમાં કામ કરીને બતાવ્યું છે.’
આપણ વાંચો : વિસાવદરમાં લંબાયો ‘ભાજપનો વનવાસ’, ‘આપ’ની જીત અને ભાજપની હારના આ રહ્યા કારણો…