
આપણે જ્યારે પાંચ આહુતિની વાત કરી ત્યારે સાથે સાથે સનાતન ધર્મમાં પાંચના અંક સાથે જોડાયેલી વિશેષતાઓ ઉપર નજર નાખવી પણ રસપ્રદ થઇ રહેશે. પાંચ આહુતિ એ પાંચ પ્રાણના પોષણની ભાવના બતાવે છે. શરીરની પાંચ ઇન્દ્રિયો પણ મહત્ત્વની છે. કર્મેન્દ્રિયો આંખ, નાક, કાન, મુખ, અને ત્વચા જે પાંચ જ્ઞાનેન્દ્રિયોનું પ્રતિનિધત્વ કરે છે, દ્રષ્ટિ, ગંધ, ધ્વનિ, સ્વાદ અને સ્પર્શ. સનાતન ધર્મમાં, પંચ એટલે કે 5 નંબર પૂજા અને શુભ કાર્યોમાં શુકનવંતો માનવામાં આવે છે. પછી તે પાંચ મુખ્ય દેવતાઓ હોય, પંચગવ્ય હોય કે પંચોપચાર પૂજા. પાંચ નંબર શુભ અને મહત્ત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે પંચનું ધાર્મિક મહત્ત્વ શું છે.
પંચદેવ
હિન્દુ ધર્મમાં પંચદેવની પૂજાનું વિશેષ મહત્ત્વ છે અને પંચદેવની પૂજા વિના કોઈપણ શુભ કાર્ય અધૂરું માનવામાં આવે છે. પંચદેવોમાં, ભગવાન સૂર્ય આકાશ તત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે, શ્રી ગણેશ જળ તત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે, મા દુર્ગા અગ્નિ તત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે, ભગવાન શિવ પૃથ્વી તત્વનું પ્રતિનિધિત્વ કરે છે અને ભગવાન વિષ્ણુ વાયુ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ પાંચ દેવી-દેવતાઓની પૂજા કર્યા પછી જ કોઈપણ કાર્ય પૂર્ણ થાય છે.
પંચોપચાર પૂજા પદ્ધતિ
પંચોપચાર પૂજા પદ્ધતિમાં, કોઈપણ દેવતાની પાંચ રીતે પૂજા થાય છે, જેમાં ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્યનો સમાવેશ થાય છે. આ પ્રકારે પૂજા કરવા માટે પાંચ પ્રકારની મુદ્રાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે આ મુદ્રામાં પૂજા કરવાથી દેવી-દેવતાઓ પૂજા સામગ્રીનો સ્વીકાર કરે છે. તેમાં પાંચ મુદ્રાઓ છે જેમ કે ગંધ મુદ્રા, પુષ્પ મુદ્રા, ધૂપ મુદ્રા, દીપ મુદ્રા અને નૈવેદ્ય મુદ્રાનો સમાવેશ થાય છે.
પંચગવ્યનું મહત્ત્વ
પૂજામાં પંચગવ્યનું પણ મહત્ત્વ છે. પંચગવ્યમાં પાંચ પ્રકારની ગાયો સાથે સંબંધિત પાંચ વસ્તુઓનો સમાવેશ થાય છે. જેમાં ભૂરા રંગની ગાયનું ગૌમૂત્ર (8 ભાગ), લાલ ગાયનું છાણ (16 ભાગ), સફેદ ગાયનું દૂધ (12 ભાગ), કાળા ગાયના દૂધમાંથી બનેલું દહીં (10 ભાગ) અને બે રંગની ગાયના ઘી (8 ભાગ)ના મિશ્રણથી જે દ્રવ્ય તૈયાર થાય છે, તેને પંચગવ્ય કહેવામાં આવે છે.
પંચામૃત
પંચામૃત વિશે તો લગભગ બધાજ જાણતા હશે. પૂજામાં પંચામૃત અર્પણ કરવો આવશ્યક છે. પંચામૃત દૂધ, દહીં, ઘી, ગોળ અને મધ ભેળવીને તૈયાર કરવામાં આવે છે. પંચામૃતનું ઔષધીય મહત્ત્વ પણ ખૂબ છે.
પંચાંગનું મહત્ત્વ
લગભગ દરેક સનાતનીના ઘરમાં પંચાંગ મળી જ આવે. વાર-તહેવાર અને મુહૂર્ત-ચોઘડિયાં જોવા, અથવા વ્રત-ઉપવાસ કરવા દિવસો જાણવા પંચાંગનો આધાર લેવાય છે. જે પુસ્તકમાં માત્ર દિવસ અને તારીખ નહીં, પણ નક્ષત્ર, કરણ, દિવસ, તિથિ અને યોગ વગેરે પાંચ માહિતી હોય તેને પંચાંગ કહેવામાં આવે છે.
પંચ પલ્લવ
પૂજામાં, પંચ પલ્લવ એટલે કે પાંચ પવિત્ર અને ધાર્મિક વૃક્ષોના પાંદડા શુભ માનવામાં આવે છે. તેમાં પીપળો, આંબો, અશોક, ગુલર (ઉંબરો કે ઉમરડો) અને વડના પાંદડાનો સમાવેશ થાય છે. કોઈપણ વિધિમાં ઘટ સ્થાપનમાં પણ પાંચનો અંક ઘટ સ્થાપનની જે વિધિ થાય છે તેમાં પણ પાંચ પાન મુકાય છે. ઉપરાંત ઘટમાં પાન, સોપારી, હળદર, દુર્વા (અથવા તુલસીદલ) અને નાણું એમ પાંચ પદાર્થનો ઉપયોગ થાય છે!