ધર્મતેજ

શિવ રહસ્ય : તારું કહેવું કેમ માની શકાય કે આ ગંગાજળ છે?

-ભરત પટેલ

પ્રથમ કર્મ એટલે સંચિત કર્મ: માનવે એક જન્મથી બીજા જન્મમાં અને બીજા જન્મમાંથી ત્રીજા જન્મમાં જમા કરેલાં કર્મ. જેનું ફળ અત્યારે મળવાનું નથી એ ક્યારેક ભવિષ્યમાં મળવાનું હશે તેને સંચિત કર્મ કહેવાય છે.

દ્વિતીય કર્મ એટલે પ્રારબ્ધ કર્મ: માનવે કરેલા કર્મના ફળ મળવા માંડયા હોય કે કર્મ પરિપક્વ થઈને ફળ દેવા તૈયાર થયા હોય એવા કર્મને પ્રારબ્ધ કર્મ કહેવાય છે.
તૃતીય કર્મ એટલે ક્રિયમાણ (પુરુષાર્થ) કર્મ: માનવ પોતાના વર્તમાન જીવનમાં જે જે કર્મ કરે તેને ક્રિયમાણ કે (પુરુષાર્થ) કર્મ કહેવાય છે.

પુરુષાર્થ કર્મ ખૂબ નજીકના ભવિષ્યમાં ફળ આપતું હોય છે. સુકેશુના ઉપદેશને દૈત્યગણ તલ્લીનતાથી સાંભળી રહ્યો હતો. વિચાર કરવા એ પણ એક કર્મ છે, ચિંતન કરવું એ પણ એક કર્મ છે.

મનુષ્ય પોતાનું ભાગ્ય પોતે જ લખે છે. તમારા જીવનમાં જો પારાવાર દુ:ખ હોય તો તેનું સર્જન પણ તમે જ કર્યું હશે અને જો તમારા જીવનમાં રાજયોગ હશે તો તેનું સર્જન પણ તમે જ કર્યું હશે. પોતાના કર્મ જ સુખ કે દુ:ખનું કારણ હોઈ શકે છે.

પ્રત્યેક કર્મનું ફળ મોડું કે વહેલું મળતું જ હોય છે. સત્કર્મોનું ફળ સુખ છે તો દુ:ષ્કર્મનું ફળ દુ:ખ જ હોય છે. બેંકના એટીએમમાંથી એટલી જ રોકડ નીકળશે કે જેટલા તમારા ખાતામાં તમે રોકડા જમા કર્યાં હોય. જમા કરેલા પૈસાથી વધુ રોકડ રકમ નીકળતી નથી. તેમ સત્કર્મ દ્વારા મેળવેલું સુખ ત્યાં સુધી યથાવત રહે છે કે જ્યાં સુધી તમે દુ:ષ્કર્મની શરૂઆત ન કરો.

સુકેશુનો ઉપરોક્ત સંદેશ સાંભળ્યા બાદ અસુરો પણ સુકેશુ સાથે ભગવાન શિવની આરાધના કરવા લાગ્યા. અસુરોની સંયુક્ત આરાધનાથી ભગવાન શિવની સમાધી તૂટી ગઈ. વાત જાણ્યા બાદ ભગવાન શિવનું ત્રીજું લોચન ખૂલ્યું. તે નેત્રમાંથી ક્રોધની જ્વાળાઓ લપકવા લાગી. સૂર્ય પર ભગવાન શિવની નજર પડતાં જ સૂર્યની કાયા ધ્રૂજવા લાગી.

ભગવાન શિવ: ‘હે સૂર્ય! તમે આટલા જ્ઞાની હોવા છતાં આવું આચરણ કઈ રીતે કરી શકો.’ સૂર્યદેવ દ્વારા માફી મગાતા બ્રહ્માજીએ સુકેશુના ઢળતા નગરને પોતાના હાથથી ઊંચકી મૂળ સ્થાને આકાશમાં પહેલાની જેમ જ સ્થાપિત કરી દીધું. સૂર્ય દેવ પણ પોતાના સ્થાને વિચરવા લાગ્યા. પૃથ્વીનું જીવન પહેલાની જેમ જ પૂર્વવત્ બની ગઈ. સુકેશુનું નગર ભગવાન શિવની કૃપાથી ફરી આકાશમાં ઝળહળવા લાગ્યું.

મહાનંદા નામની એક વારાંગના જે શિવભક્ત હતી, એની ઉપાસના હિમાલયથી પણ મક્કમ હતી. આદ્યશક્તિ અંબા સહિત ભગવાન શિવનું પૂજન કરતી હતી. આ વરાંગનાએ કિંમતી વસ્ત્રાલંકાર પરિધાન કર્યા હોવા છતાં કંઠે રૂદ્રાક્ષની માળા અવશ્ય પહેરી હોય. ‘ઓમ નમ: શિવાય’ પંચાક્ષર મંત્ર હંમેશાં રટતી જ રહેતી. તે ભગવાન શંકરના ગુણલા ગાતી અને ભક્તિપૂર્વક ભગવાન શિવને રિઝવવા નૃત્ય કરતી.

ગણિકા મહાનંદાને મન ભગવાન વિશ્ર્વેશ્ર્વર એટલે ભગવાન શિવ પતિત-પાવન અને અધમ ઉદ્વારક હતા. આ અવતારના અવતારી એવા ભગવાન શિવ પરમ ઉપાસક હતા. સાચો વૈરાગ્ય આત્મભાનથી જ પ્રગટે છે. સાચા વૈરાગ્યના મૂળ વિના ત્યાગનો છોડ ટકી શકતો નથી. આથી જ ભગવાન શિવે કહ્યું છે કે,
‘ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના,
કરીએ કોટી ઉપાયજી,
અંતર ઊંડી ઇચ્છા રહે,
તે કેમ કરીને ન જાયજી.
મહાનંદા ગણિકા હતી, પણ તે બહુ જ ગુણિયલ અને જ્ઞાની હતી.

જ્ઞાન એ પુરૂષ છે તો જ્યારે ભક્તિ એ ભાર્યા છે. જ્ઞાનભક્તિ એ દંપતીના યોગે જો વૈરાગ્ય ન જન્મે તો એને વાંઝિયાનો યોગ થાય છે. ભગવાન શિવનો મહિમા અને યથાર્થ સ્વરૂપ આ વારાંગના જ્યારે જાણે છે ત્યારે તેનો ભોગવિલાસ અને મોહ આપોઆપ દૂર થાય છે.

આ વારાંગના સંગીત વિદ્યામાં પારંગત હતી. મહારાજાના મહેલમાં જે ધનવૈભવ હોય તેવો જ ધનવૈભવ એના મહેલમાં વારાંગનાનો હતો. આશ્ર્ચર્યની વાત એ હતી કે આ ગણિકાએ એક માકડું અને કૂકડો પાળ્યો હતો. માકડાનો શણગાર પણ વિચિત્ર હતો.

માકડાને રુદ્રાક્ષની માળા પહેરાવી હતી. એના બાજુબંધ પણ રુદ્રાક્ષના હતાં. આ માકડું નિર્દોષ બાળકની જેમ નૃત્ય કરવા લાગ્યું. સામે પક્ષે કૂકડાની કલગી પણ રુદ્રાક્ષની નાની માળાથી સુશોભિત હતી. કૂકડો માકડાની સાથે તાલબદ્ધ રીતે નૃત્ય કરતો.

એક સમયે ભગવાન શિવને મહાનંદાની કસોટી કરવાની ઇચ્છા થઈ. ભગવાન શિવ એક સંતમહાત્માનું રૂપ લઇ ત્યાં પહોંચ્યાં. તેમણે ‘શિવો અહમ્’નું રટણ ચાલુ કર્યું. ઉઠતાં-બેસતાં-ખાતાં-પિતા ‘શિવો અહમ્’ જ બોલ્યાં કરે.
મહાનંદા: ‘મહારાજ! આપ શિવ કેવી રીતે કહેવાઓ? શિવજી તો કૈલાસ ઉપર રહે છે, તેમના ગળામાં તો સાપ હોય છે, તેમના મસ્તકની જટામાંથી અવિરત ગંગા વહેતી હોય છે… પરંતુ આપની પાસે એમાંનું કશું ય નથી તો આપ શિવ કઈ રીતે બની ગયાં.

સંતમહાત્મા: ‘મને બહુ જ તૃષા લાગી છે, જો કૃપા કરીને તમે ગંગાજળ લાવી આપો તો હું જલપાન કર્યા બાદ તમારા પ્રશ્ર્નનો જવાબ આપું.’
મહાનંદા તરત જ કમંડલ લઈ ગંગાજળ ભરી લાવી અને મહાત્માને આપ્યું.
સંતમહાત્મા: ‘ક્યાંથી લાવ્યા?’
મહાનંદા: ‘ગંગાતીરે જઈને ગંગામાંથી પાણી લઈ આવી છું.’
સંતમહાત્મા: ‘તારું કહેવું કેમ માની શકાય કે આ ગંગાજળ છે?’ મહાનંદા: ‘હું જાતે જ ભરી લાવી છું.’

સંતમહાત્મા: ‘એમ કેમ હું માનું, કારણ કે ગંગાજીમાં તો મોટાં મોટાં માછલાં છે, અન્ય જળચર પ્રાણીઓ છે, મોટી મોટી હોડીઓ ફરે છે, એ બધું આ જળમાં ક્યાં છે?’
મહાનંદા: ‘મહારાજ તમે કેવી વાત કરો છો? આ ગંગાજળ જ છે, પેલા ગંગાજળની ઉપાધિ મોટી છે, એને મોટા બે વિશાળ કિનારા છે, તેમાં અગાધ જળ છે, એટલે એમાં તમે કહો છો તે બધું હોય, જ્યારે આપના આ કમંડળમાં ગંગાજળની ઉપાધિ નાની છે, તેથી તેમાં એ બધું ક્યાંથી હોય?’

સંતમહાત્મા: ‘હવે તમે બરાબર સમજ્યા કે મારામાં અને શિવમાં શો ફરક છે, અને એ રીતે તું જીવની ઉપાધિને તેમ જ ઈશ્ર્વરની ઉપાધિને છોડી જે ચેતન છે તેને દેખે તો તે શિવ છે કે નહિં? તો પછી શરીરને લઈને ‘શિવો અહમ્’ ન બોલાય? બસ, તેનું જ નામ ‘શિવો અહમ્’ છે.’

મહાનંદા સમજી ગઈ તેણે ભગવાન શિવને નમસ્કાર કર્યા અને કૈલાસ ગમન કર્યું. થોડા સમય બાદ ભગવાન શિવને ફરી મહાનંદાની પરિક્ષા લેવાનો વિચાર આવ્યો. તેમણે ગણિકા મહાનંદાની પરિક્ષા લેવા ‘વૈશ્ય’નું રૂપ ધારણ કર્યું. કંઠમાં રુદ્રાક્ષની માળા, મસ્તક પર જટા, શરીર પર ભસ્મનું લેપ અને ‘ઓમ નમ: શિવાય’નો જાપ ચાલુ રાખ્યો. ભગવાન શિવે અમૂલ્ય રત્નોજડિત દિવ્ય કંકણો કાંડા પર પહેર્યાં અને મહાનંદાને દ્વારે આવી ઊભા રહ્યાં.
મહાનંદાએ આવેલા વૈશ્યનું સ્વાગત કર્યું અને પૂછયું: ‘દેવ, તમે પહેરેલાં આ રત્નજડિત કંકણો ખૂબ જ સુંદર છે.’
ભગવાન શિવ: ‘મહાનંદા! આ મૂલ્યવાન કંકણો જો તમને પસંદ હોય તો રાખી લે, પરંતુ કંકણની કિંમત તો તારે ચૂકવવી જ પડશે.’

મહાનંદા: ‘દેવ, હું કોઈ પવિત્રતા સ્ત્રી નથી. મારો વ્યવસાય તો ગણિકાનો છે. અમારું જીવન કેવું હોય તે તો તમે જાણો જ છો. આપ જો આ કિંમતી કંકણો મને આપશો તો હું ત્રણ રાત અને ત્રણ દિવસ તમારી અર્ધાંગના બનીને સતત તમારી સાથે વિહાર કરીશ.’
ભગવાન શિવ: ‘પરંતુ તારે પતિ-પત્ની તરીકે રહેવાની પ્રતિજ્ઞા સૂર્ય અને ચંદ્રની સાક્ષીએ લેવી પડશે અને આ પ્રકારે પ્રતિજ્ઞા લીધા બાદ મારા હૃદયને સ્પર્શ કરશે તો જ હું શરત સ્વીકારીશ.’
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button