ગીતા મહિમા : નવજીવનનો ઉજાસ

-સારંગપ્રીત
ગત અંકમાં ‘માર્દવં’ને દૈવી ગુણોમાં સ્થાન આપીને હવે ભગવાન કૃષ્ણ ધૃતિને સમજાવી રહ્યા છે.
ધૃતિ એટલે ધૈર્ય. હા, જીવનમાં નિરાશાના સમય ફરી ઊભા કરી શકે એવો આ ધૃતિ ગુણ અતિ મહત્ત્વનો છે. તે નવજીવનની ચિંગારી પ્રકટાવી શકે. રાષ્ટ્રકવિ મૈથિલીશરણ ગુપ્તનું એક અપ્રતિમ ખંડકાવ્ય છે ‘નહુષ’. આ કાવ્યમાં રાજા નહુષનું ચરિત્ર- ચિત્રણ અત્યંત પ્રભાવક છે.
ઇન્દ્રાસન પર બિરાજમાન મૂળ ધરતીના આ સમ્રાટે પોતાની ધર્મકીર્તિની પતાકા દશેય દિશામાં લહેરાવી હતી. પરન્તુ સ્વર્ગમાં પૂર્વ ઇન્દ્રની પત્ની શચી પર તે આસક્ત થયો. પણ શચી તેને ધિક્કારતી! આ બાજુ નહુષ તેને કોઈ રીતે છોડવા માગતો ન હતો. અંતે શચીએ એક યુક્તિ વાપરી. નહુષ પાસે ઋષિમુનીઓનો દ્રોહ કરાવી દીધો. ઋષિઓએ શાપ ફટકાર્યો. નહુષ ભાનમાં આવ્યો. તેણે પોતાની ભૂલ સ્વીકારી. તેનું પતન નિશ્ર્ચિત હતું પણ અંતે તે નવજીવનની ચિન્ગારી પ્રગટાવે તેવું વાક્ય કહે છે-
चलना है मुझे बस, अंत तक चलना |
गिरना मुख्य नहीं है, मुख्य है संभलना ॥
फिर उठूँगा मैं, आगे बढूँगा मैं |
नर हुँ, पुरुष हूँ, उपर चढूँगा मैं ॥
મારે બસ ચાલવું છે, અંત સુધી ચાલવું છે|
પડવું મુખ્ય વસ્તુ નથી, મુખ્ય વસ્તુ સાવચેત રહેવાની છે॥
હું ફરીથી ઊઠીશ, હું આગળ વધીશ|
હું એક માણસ છું, હું એક માણસ છું, હું ઉપર ચઢીશ॥
કવિના શબ્દો આપણને પ્રેરણા આપે છે કે જીવનમાં ચડતી-પડતી આવવાની જ. તે અનિવાર્ય છે. પણ પડી ગયા પછી ઊભું થવું પણ અનિવાર્ય છે. પડી ગયા પછી ફરી ઊભા થવામાં પુરુષનો સાચો પુરુષાર્થ રહેલો છે. પડી રહેવામાં નહીં !
એક ભાઈનો સંતો પર અચાનક ફોન આવ્યો. ‘હેલો સ્વામી ફ્રી છો ? મળવા આવવું છે’. ‘આવોને ભાઈ.’ ફોન મુકાયો. એ સાંજે આવ્યા. મોં પર ‘હવાઈયા’ ઊડતી હતી. નૂર ઝંખવાઈ ગયું હતું. ઉદાસી આખા વ્યક્તિત્વમાં જાળની જેમ પથરાઈ પડી હતી. ‘કેમ દિનુ, આટલો બધો નંખાઈ ગયો છે? થયું છે શું?’
‘સ્વામી! મારી વાઈફે કેરોસીન છાંટી લીધું… 60 ટકા બર્ન છે. હોસ્પિટલમાં છે અને જીવે કે મરે તે ભગવાનને ખબર !’ ગળે ડૂમો ભરાયો ને તેની આંખમાં વરાળ ઊકળવા લાગી. પૂછપરછ અને ઉત્કંઠા, જિજ્ઞાસા અને સાંત્વનના દોર પર વાત ખૂલતી ગઈ.
‘બળી જવાનું કારણ?’ ‘મારો સાળો મારી વાઇફને તેનાં હકના 15,000 હજાર રૂપિયા આપવાનો હતો. ગલ્લાંતલ્લાં કરતો રહ્યો… અને છેવટે એક દિવસ ખખડાવીને કહી દીધું: ‘જા, તારા પૈસા નથી આપવાનો !’ અને ભાઈના ઘરે જ…’ બસ? 3 વર્ષનો પુત્ર, હોનહાર પતિ, હરીભરી જિંદગી- બધાની કિંમત માત્ર 15,000 હજાર રૂપિયા જ છે?
આ પણ વાંચો…ગીતા મહિમા : હૃદયની વિશાળતા દરિયા જેવી હોય એવા માણસનો આ જગતમાં કોઈ શત્રુ હોતો નથી
કોરોસીનના ડબ્બાઓ, છત પરના પંખાઓ ને દોરડાઓ, શહેરનાં તળાવો ને રેલવેના પાટાઓ માણસની રાહ કેમ જુએ છે?
મારે ભણવામાં ઓછા ટકા આવ્યા, મને જીવવામાં શરમ આવે છે. હું કાંઈ કામનો નથી. મારે મરી જાવું છે!’ એક કિશોરે આગ્રહપૂર્વક કહેલું. ‘અને સ્વામી, સત્સંગી હોય ને આપઘાત કરે તો ભૂત થાય?’… એક એન્જિનિયર યુવાને આવો પ્રશ્ન કર્યો હતો.
શું જિંદગી પોપકોર્નની ખાલી થયેલી કોથળી જેવી હશે? કે કચરામાં નાખી દેવાય? છતાં કેમ આવું થાય છે? માણસ વહેલો મરવા કેમ ઝંખે છે? જીવવાની મજા કેમ નથી આવતી? અંતર સૂનું કેમ રહે છે? કારણ, દિશા વિના દોડે છે. દશા ઉપરનો રોષ છે. ક્ષુલ્લક ઉદ્દેશો માનવને મારે છે. ઊંચા ઉદ્દેશો તેને તારે છે. શરીરમાં લોહીની દિશા હૃદય તરફની હોય છે, એટલે શ્વાસ લેવાય છે. જીવનમાં ભાવનાની દિશા ભગવાન તરફ હોય તો જીવી જવાય છે.
આનંદ અને શાંતિ, ખુમારી અને આત્મવિશ્વાસવાળું જીવન જ સાર્થક છે… શણગાર મઢ્યું છે…
ગુરુ શાસ્ત્રીજી મહારાજના જીવનમાં આવી ભાવના દૃઢ હતી. સારંગપુર મંદિરની વાડીમાં ભર ઉનાળામાં પાણી વાળતા હોય કે વરસતા વરસાદમાં ભક્તોને ત્યાં પધરામણી કરતા હોય! બસ એક જ ભાવના ભગવાનની પ્રસન્નતા-પ્રાપ્તિ! આ ભાવના જ તેમને કઠિન સંજોગોમાં પણ નવજીવનના ઉલ્લાસ તરફ પ્રેરતી. તેમના સાંનિધ્યમાં જે કોઈ આવે તેઓ પણ આ ઉજાસમાં પ્રદીપ્ત થઈ ઊઠતા, પછી ભલે તે ભારતના એક સમયના વડા પ્રધાન ગુલજારીલાલ નંદા હોય કે ગોંડલ નરેશ સર ભગવતસિંહજી બાપુ હોય !
જે લોકો ભગવાન માટે ‘ખપી જવા’ની મુરાદ દૃઢપણે રાખતા હોય તે જીવતા હોય છે પોતાની અલમસ્તાઈમાં! રસતરબોળ જિંદગીમાં ! મૂંઝવણનાં કુંડાળામાં તેમનો પગ ક્યારેય પડતો નથી! બાકી મોત તો સસ્તું છે દશ રૂપિયાની માંકડ મારવાની શીશીમાં પણ મોત મળે છે…હા, જિંદગી અઘરી છે, તે અંતરના પાતાળમાંથી ફોડવાનું અમીઝરણું છે…
આ પણ વાંચો…ગીતા મહિમા: લોલુપતા પાપને વધારે