ધર્મતેજ

અલખનો ઓટલો : અમ્મર વરને વરીયા…

-ડૉ. નિરંજન રાજ્યગુરુ

ગુજરાતી સંતસાહિત્યમાં રૂપકકાવ્ય પ્રકારનાં અનેક ભજનો મળી આવે છે, ધર્મ ભક્તિ અને અધ્યાત્મને સમજાવવા માટે રોજિંદા પરિચયમાં આવનારી વસ્તુ-બાબતોને દૃષ્ટાંત, ઉપમા કે રૂપક તરીકે સ્વીકારીને એના પર નાનકડું પદ સ્વરૂપનું ધોળ કે ભજન રચવાથી લોકસમુદાયમાં પોતાના ભક્તિ વૈરાગ્યને ખૂબ સહેલાઈથી પહોંચાડી શકાય એ વાત મધ્યકાળના દરેક સંત-ભક્ત-કવિએ ધ્યાનમાં રાખી છે.

ભારતીય હિન્દુ ધર્મશાસ્ત્રોની પરંપરા મુજબ મનુષ્યજીવનના સોળ સંસ્કારોમાં જન્મ,વિવાહ અને મૃત્યુ એ ત્રણ સંસ્કારો માનવીના લૌકિક અને આધ્યાત્મિક બંને પ્રકારના જીવનઘડતમાં ખૂબ જ મહત્ત્વના સંસ્કારો છે. સદ્ગુરુની પ્રાપ્તિ અને કૃપાને અધ્યાત્મક્ષેત્રમાં સાધકના નવજન્મ તરીકે ઓળખાવવામાં આવે છે, જ્યારે પરમતત્ત્વ સાથેના જોડાણને વિવાહ.. જૈન સાધુઓ દીક્ષા ધારણ કરે ત્યારે તેમણે સંયમશ્રી સાથે વિવાહ ર્ક્યો એમ કહેવાય છે, એ પરંપરા ઘણા જૂના સમયથી આપણે ત્યાં ચાલી આવી છે.

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જૈન-જૈનેત2કવિઓમાં ઘણા સંત-ભક્ત- વેદાન્તી કવિઓએ આ જાતના પ્રસંગોનું વર્ણન વિવાહ, સ્વયંવ2, વેલી, મંગળ, વધાવો, વિવાહલુ, ચૂંદડી, પટોળી, માંડવો વગેરે નામે ઓળખાતી નાની મોટી અનેક રૂપક રચનાઓ દ્વારા ર્ક્યું છે.

આવી રચનાઓ અત્યંત લોકપ્રિય થઈને કંઠસ્થ પરંપરામાં સચવાતી આવી છે. સંસારીઓને ધર્મ, ભક્તિ, અધ્યાત્મ, સાધના, શરણાગતિ અને ગુરુમહિમા સમજાવવા માટે તેમના જીવતરમાં અને સંસારજીવનમાં ખૂબ જ જાણીતાં હોય એવાં રૂપકો લઈને આપણા સંતકવિઓએ ભક્તિ પદારથની ઓળખાણ કરાવી છે.

જેમાં આત્મા અને પરમાત્માના વ્યાપક શાશ્વત પ્રેમ સંબંધનું વેદાન્તી, જ્ઞાનમાર્ગી, યોગમાર્ગી કે ભક્તિમાર્ગી પરિભાષામાં આલેખન કરવામાં આવ્યું હોય એવી બે રચનાઓ અહીં પ્રસ્તુત છે. બંન્નેના સર્જકનું નામ રવિદાસ છે પણ બેઉ જુદા છે. પ્રથમ રચના છે ભરથ મોડ શિષ્ય રવિદાસ રચિત. જ્યારે બીજી રચના છે રવિભાણ સંપ્રદાયના સંતકવિ રવિસાહેબની .

(ધીરાની કાફીનો ઢંગ઼)
ધણી મેં તો ધાર્યો રે ચોરાશીનો ફંદ ટળી,
એવા અમર વરને વરીયા રે, કોટે વરમાલ ધરી…
– એવો ધણી મેં તો ધાર્યો રે..0

પ્રીતમ વ2ની પીઠી ચોળી, સત સંગ કરૂ અસ્નાન ,
મનના મેલ તો ધોવાઈ ગયા, થયું રે પિયાજીનું જ્ઞાન,
એવા નટવ2 નેણે નીરખ્યા રે, મન મારૂં ગયું છે મળી…
– એવો ધણી મેં તો ધાર્યો રે..0
શીલ સંતોષની ચૂંદડી ઓઢી,સેંથો વિવેક વિચાર,
કરૂણાનો કાજળ સારીયો, તિતિક્ષા ટીલડી કપાલ,
મર્મના મોતી ઠાંસીયાં રે, પ્રભુ સાથે પ્રીત કરી…
– એવો ધણી મેં તો ધાર્યો રે..0
હેત તણો હૈયે હાર જ પેર્યો, કંચવો સુધર્મ કટાર,
નથ ધરી નીરમળ નામની, એવા શોભીતા શણગાર,
પિયુજી સાથે મળીયાં રે, હૈડા માંહે હેત ધરી…
– એવો ધણી મેં તો ધાર્યો રે..0
મરજાદા મારા નાથની, ઘાઘરો છે ઘન ઘો2,
આણંદ રૂપી અણવટ વીંછિયાં, અને ઝાંઝર જુગતીનાં પેર,
એવો સોહાગ શોભે રે, પિયા સાથે રેવું ઠરી…
– એવો ધણી મેં તો ધાર્યો રે..0
અખંડ ચૂડો અવિનાશી તણો, તે સુખ વર્ણવ્યું કેમ જાય?
ભરથ મોડ ચરણે રવિદાસ બોલ્યા, ગુણ હિર કેરા એમ ગાય ,
હવે એવા વરને વરીએ રે, પાછો ફેરો કદીએ નવ ફરીએ…
– એવો ધણી મેં તો ધાર્યો રે..0

રવિસાહેબે-‘ત્રણ ગુણ તોરણિયાં બંધાવું રે સાહેલી મોરી, બેની મારો પાંચ રે તતવ કેરો માંડવો..’ એ ખૂબ જ લોકપ્રિય થયેલા ભજનમાં આ જ ભાવને ઘૂંટ્યો છે. પરંપરાગત કંઠસ્થ સંતવાણીના જીવંત પ્રવાહમાં વહેતી આવેલી આ રચનાઓ આજે પણ પૂરા આદરભાવથી લોકભજનિકોમાં ગવાય છે.એના મર્મને જાણનારા ભજનિકો ભજનગાન વખતે ઘણીવા2આવાં રૂપકોનાં માર્મિક અર્થઘટનો કરીને ભક્તિ-વૈરાગ્યનું વાતાવરણ જમાવે છે.

આ પણ વાંચો…અલખનો ઓટલો ઃ ઉત્સવનો આનંદ આધિ-વ્યાધિ-ઉપાધિમાંથી મનુષ્યને મુક્ત કરે છે

ત્રણ ગુણ તોરણિયાં બંધાવું રે સાહેલી મોરી,
બેની મારો પાંચ રે તતવ કેરો માંડવો..0

ગુણ નામના ગણેશ બેસારીયા, પ્રેમની પીઠી ચોળાય,
વરનું નામ છે અજર અમ્મ2, ધમ્મળ મંગળ ગીતડાં ગવાય રે, સાહેલી મોરી..

બેની મારો પાંચ રે તતવ કેરો માંડવો…0

નવ પાંચ સોળ મળીને જાનું સાબદી થાય,
ધીરજ નામના ઢોલ ધડુક્યા, ખમૈયાની ખારેકું વેચાય રે, સાહેલી મોરી..

બેની મારો પાંચ રે તતવ કેરો માંડવો…0

જાનું આવીને ઝાંપલે ભી, સુખમણા સંદેશા લઈને જાય,
ઈંગલા પિંગલા હાલી વરને વધાવવા, સતના ચોખલિયા ચોડાય રે,
સાહેલી મોરી..

બેની મારો પાંચ રે તતવ કેરો માંડવો…0

ચાર જુગની ચોરી રચી, ધીરજ નામની વરમાળ,
બ્રહ્મ બેઠા વેદ વાંચવા, કરણીનો કંસાર જમાય રે, સાહેલી મોરી..

બેની મારો પાંચ રે તતવ કેરો માંડવો...0

ઈંગલા પિંગલા ને સુખમણા, તરવેણીમાં ભેળી થાય,
સરવે સંતોની દયા થકી, ગુણ એના રવિરામ ગાય રે, સાહેલી મોરી..

બેની મારો પાંચ રે તતવ કેરો માંડવો…0
આવી અનેક રચનાઓનું સંકલન આ લખનારના ‘શાં શાં રૂપ વખાણું સંતો’ પુસ્તકમાં ભજનોના વિવિધ પ્રકારોનો પરિચય કરાવતાં કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો…અલખનો ઓટલો : કાયા કાગળની કોથળી…આ સૃષ્ટિમાં તમામ જીવોમાં પરમાત્માનો વાસ છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button