માનસ મંથન : જેનો આદિ ને અંત કોઈ નથી પામી શક્યું તે ભગવાન જગન્નાથ છે

-મોરારિબાપુ
आदि अंत कोउ जासु न पावा|
मति अनुमानि निगम अस गावा॥
આદિ અંત કોઉ જાસુ ન પાવા
મતિ અનુમાનિ નિગમ અસ ગાવા
બાપ, ભગવાન જગન્નાથની આ પાવન ભૂમિમાં નવા વર્ષની પહેલી રામકથામાં આપ સૌનું સ્વાગત છે. અને આપ સૌને મારા પ્રણામ. ભગવાન જગન્નાથની મહત્ત કૃપાથી આજે આપણે અહીં રામકથા માટે એકત્રિત થયાં છીએ. એમની કૃપા ન હોય તો અહીં આવવું શક્ય ન બને. પૂરા જગતની તે રક્ષા કરે છે. ભારતની પૂર્વ દિશાના આ ધામમાંથી સત્સંગ દ્વારા ફરી કોઈ કિરણ ફૂટે, કોઈ નવો સૂરજ નીકળે જે વ્યક્તિના ચિદાકાશમાં, વ્યક્તિના અંત:કરણ માં જનમ જનમથી જે અંધકાર છે તેમાંથી આપણને મુક્ત કરે.
આ પંક્તિઓ ‘રામચરિતમાનસ’માં ભગવાન શિવ પાર્વતીજી સમક્ષ બોલે છે. જેમાં મારી સમજ અનુસાર ભગવાન જગન્નાથજીનું સ્વરૂપ, સ્વભાવ, એમની ગતિ વગેરેનું એક ગુપ્ત વર્ણન પડ્યું છે. જગન્નાથ કેવા હોવા જોઈએ? માણસ પોતાના ઘરનો નાથ પણ નથી બની શકતો.
પોતાના સમાજનો નાથ બનવું પણ મુશ્કેલ છે. તો આ તો પૂરા વિશ્વનો નાથ છે! શિવજી ભવાનીને કહે છે કે ભવાની, જેને તમે દંડકવનમાં મનુષ્ય રૂપમાં જોયા હતા એ જ ભગવાને રામ અવતાર લીધો છે. મનુષ્ય રૂપમાં આવેલા એ ભગવાનનો આદિ અને અંત આજ સુધી કોઈ પામી નથી શક્યું અને અનંત કાળ સુધી કોઈ નહીં પામી શકે. વેદોએ પણ પોતાની બુદ્ધિના અનુમાનથી થોડું કહ્યું કે ભગવાન આવા છે,આવા છે પણ અંતમાં તો નેતિ કહીને તે પણ રોકાઈ જાય છે. કોનો આદિ અને અંત ન પામી શકાય? એવી કઈ ચીજ છે? જેનો કોઈ આદિ કે અંત નથી,આ તો બિલકુલ ગણિત જેવી વાત થઈ. જેનો કોઈ આદિ નહીં તેનો કોઈ અંત નહીં. અને જેનો કોઈ આરંભ નથી તેનું કોઈ વિસર્જન નથી. સીધું ગણિત છે. કોઈનો જન્મ થાય તો તેનું મૃત્યુ થાય છે.
અહીંથી આપણે પણ નવ દિવસ પછી ચાલ્યા જશું. તો શાસ્ત્રીય બોલીમાં કહું તો એવો કયો પદાર્થ છે જેનો કોઈ આદિ-અંત નથી? એક ગામડાનો માણસ પણ કહી દેશે કે તે તો ફક્ત ભગવાન જ હોય ! એવું તત્ત્વ તો પરમાત્મા હોય, એ તો બ્રહ્મ હોય. ત્રણ પદાર્થ છે જેનો કોઈ આદિ નથી, અંત નથી. હું તમારું ધ્યાન ચાહું છું મારાં ભાઈ-બહેનો. વિષય જરા કઠિન છે, ક્લિષ્ટ છે. સમજાવવા માટે અલગ છે, વસ્તુત:તો એક જ તત્ત્વ છે. એક જ મીણમાંથી બનેલી ત્રણ મીણબત્તીઓ જેવી વાત છે. એક છે ઈશ્વર, બ્રહ્મ. હવે ઈશ્વર અને બ્રહ્મમાં પણ અર્થ કરવામાં ભેદ છે. પરંતુ ઈશ્વર, બ્રહ્મ, પરમાત્મા, ભગવાન આ બધાં તત્ત્વત એક જ છે. આ બ્રહ્મ તત્ત્વ એવું છે જેનો કોઈ આદિ કે અંત નથી.
શ્વેતકેતુને ઉદ્દાલકે કહ્યું કે આ વૃક્ષનું ફળ છે તેને તોડ. તોડે છે. બોલે શું દેખાય છે? કહે તેમાં એક બીજ છે. ઉદ્દાલકે કહ્યું તે બીને તોડ. શું દેખાય છે? કહે કંઈ નથી દેખાતું. બીજનો આદિ અને અંત છે. ફળનો આદિ અને અંત છે. શાખાઓનો આદિ-અંત છે પરંતુ બીજને તોડતાં તોડતાં જે છેલ્લે નથી દેખાતું તે તત્ત્વ છે. માનો યા ન માનો, વૈજ્ઞાનિકોએ અણુ-પરમાણુની શોધ માટે છાંદોગ્ય ઉપનિષદની મદદ લીધી હશે.
તોડતાં તોડતાં એક ક્ષણ એવી આવી કે શ્વેતકેતુએ કહ્યું કે હવે આમાં કંઈ નથી દેખાતું. ત્યારે કહ્યું કે જે કંઈ નથી દેખાતું તે તું છે. હું નહીં,તું તત્ત્વ. તું અને હુંનો ભેદ જ્યાં મટી જાય છે ત્યાં આ શ્રુતિ આવે છે. તોડતાં તોડતાં મતિ અનુમાન કરે છે. આંખો રોકાઈ જાય છે. ચિત્તનું ચિંતન પણ રોકાઈ જાય છે. કંઈ સમજમાં નથી આવતું અને પછી કહેવું પડે છે કે ‘કોઈ અદૃશ્ય’ છે !
જેમાંથી પૂરું વટવૃક્ષ થયું હતું તેનો આદિ-અંત છે પણ જે નથી દેખાતું તેને ઉપનિષદ બ્રહ્મ-પદાર્થ કહે છે. આપ તો સમજો છો,પરંતુ હું કેવળ મને સમજાવવા માટે બોલી રહ્યો છું. તો,એક છે બ્રહ્મ તત્ત્વ. જેને તમે પરમાત્મા કહો,ઈશ્વર કહો,ભગવાન કહો,ચાહે જે કહો તે. તેનો કોઈ આદિ કે અંત નથી.
આ પણ વાંચો…માનસ મંથન : તમારું બ્રહ્મચર્ય, સત્ય, અસ્તેય ને અપરિગ્રહ આ બધામાં અહિંસાનું મંગલાચરણ લગાડવું પડશે
બીજું જે તત્ત્વ છે જેનો કોઈ આદિ કે અંત નથી તે છે-સત્ય. સત્યનો કોઈ આદિ કે અંત નથી. સત્ય ક્યારે પેદા થયું? છે કોઈની પાસે તારીખ? આઇન્સ્ટાઇન ક્યારે જન્મ્યા તેની તારીખ મળે પણ એમણે જે સત્ય શોધ્યું તે સત્ય ક્યારે પેદા થયું તેની કોઈ તારીખ મળે ખરી? પતંજલિની જન્મ તારીખ મળે. કેટલાં વર્ષો પહેલાં એમણે કહ્યું હતું કે, सत्य प्रतिष्ठायाम क्रिया फलाश्रय સત્ય પ્રતિષ્ઠાયામ ક્રિયા | ફલાશ્રય એમણે જે સત્યની ઘોષણા કરી તેની કોઈ તારીખ ન મળે ! સત્ય એક એવો પદાર્થ છે જેનો કોઈ આદિ કે અંત નથી. બ્રહ્મ જરા કઠિન પડે છે પણ આપણને સત્યનો તો અનુભવ છે જ. ભલે આપણે અસત્ય બોલીએ પણ અનુભવ તો છે જ. સત્ય કશુંક છે તેવું તો જાણીએ છીએ. દીપ્તિ મિશ્રનો એક શેર છે-
કિસી કો ભી સચ કિ જરૂરત નહીં,
હમ હીં સીરફિરે હૈ કિ સચ બોલતે હૈ.
કોને પડી છે સત્યની? તો,સત્યને કોઈ પ્રગટ કરે તેની તારીખ કદાચ મળે પણ સત્યનો કોઈ આદિ-અંત નથી. ગુરુત્વાકર્ષણનો નિયમ તો બહુ પહેલાથી હતો. બ્રહ્મ અને સત્ય આ બે નથી એક જ છે. ચાહે સત્યને પકડો કે બ્રહ્મને પકડો. મહાકવિ જયદેવે ગીતગોવિંદમાં લખ્યું-અદ્દ્ભુત લખ્યું અને આ દંતકથા નથી, હકીકત છે, જે તર્કોથી પકડાતી નથી, બાકી બનેલી ઘટના હિંદુસ્તાનની છે. ભગવાન જગન્નાથના મંદિરમાં માળીની પત્ની ફૂલ સેવા કરે. માલણ છે, ઠાકોરજીની ફૂલની માળા બનાવે છે. મહાકવિનું ગીત ગોવિંદ સાંભળીને,આ માલણને તૂટ્યું-ફૂટ્યું એક પદ એને યાદ રહી ગયું હતું. આખું ન આવડે,એક પદ આવડે તે એ ગાયા કરે. પછી માળા બનાવવા માટે ફૂલ ચૂંટે.
ઈતિહાસ એમ કહે છે કે એનું નાનકડું ખેતર હતું,એમાં રીંગણી રોપેલી. માલણ એ રીંગણા તોડે ત્યારે એ ગીત ગોવિંદનું એક માત્ર પદ,અને તે પણ અસ્પષ્ટ ગાયા કરે. ભારતવર્ષની કેટલી મહાનતા-એ માલણને ખબર નથી,પણ ભગવાન જગન્નાથ એ રીંગણીના ખેતરમાં એની પાછળ પાછળ ફર્યા કરે. આગળ માલણ,પાછળ જગન્નાથ ફરે. કોઈને ખબર નથી કે આ શું થઈ રહ્યું છે,કોઈને કલ્પના પણ નથી.
એક દિવસ ઉત્સવનો દિવસ છે. ઠાકોરજીને સુંદર વસ્ત્રો પરિધાન કરાવ્યા છે. શયન થયાં. બપોરનો વિશ્રામનો સમય,દ્વાર બંધ થયા. સાયંકાલે પૂજારીએ દ્વાર ખોલ્યાં ત્યારે જોયું કે આ વસ્ત્રો ફાટેલા છે. બહુ આશ્ર્ચર્ય થયું, કે કોઈનો પ્રવેશ નથી ને આ વસ્ત્રો ફાટેલાં કેમ છે ? ભાગ્યશાળી પૂજારી પણ કે કથા એમ એમ કહે છે કે ભગવાન જગન્નાથને વાણી પ્રગટી અને એમણે કહ્યું કે, તે નવાં વસ્ત્રો પહેરાવેલાં, પણ પેલી સ્ત્રી (માલણ) ગીતગોવિંદનું એક પદ ગાયા કરે છે અને હું એની પાછળ દોડ્યા કરું છું. એ રીંગણીના ખેતરમાં, છોડના જે કાંટા હતા,તેમાં હું દોડ્યો, એણે મારાં વસ્ત્ર ફાડી નાખ્યાં છે.
જગન્નાથને એક માલણનું, ગીતગોવિંદનું એક પદ સાંભળવા, આમ પાછળ દોડવું પડે, એ પાપી હતા? જગન્નાથ રોગી હતા કે એને આ કરવું પડે ? ભગવાનને ગમે છે,કોઈ ભક્તનું ચરિત્ર જ્યારે ગવાય, ત્યારે કૃપાનિધિ બહુ હર્ષિત થાય છે અને ભક્તને ગમે છે, જ્યારે ભગવાનનું ચરિત્ર કોઈ ગાય.
- સંકલન: જયદેવ માંકડ
આ પણ વાંચો…માનસ મંથન : નિષ્કામ થવું આસાન છે – ભોગવવું આસાન છે, પરંતુ સમ્યક રહેવું બહુ મુશ્કેલ છે…