ધર્મતેજ

મનન: શરીર: મંદિર કે જેલ કે પછી…

-હેમંત વાળા

સૃષ્ટિ માટે-બ્રહ્માંડ માટે જેટલી ભ્રમણા પ્રવર્તમાન છે તેટલી જ ભ્રમણા શરીર માટે છે. યથા પિંડે તથા બ્રહ્માંડે આ બાબત દરેક પરિપ્રેક્ષ્યમાં લાગુ પડતી જણાય છે. બ્રહ્માંડ સૃષ્ટિનું એક શ્રેષ્ઠ સર્જન છે તો માનવીના શરીર માટે પણ તેમ કહેવાય. શરીરમાં અને તેવી જ રીતે બ્રહ્માંડમાં પણ બંધનનાં કારણો છે અને અહીં જ મુક્તિ માટેનો માર્ગ પ્રત્યક્ષ થઈ શકે છે. શરીરમાં અને બ્રહ્માંડમાં સંભાવનાઓ અપાર છે,

આ બંને અસ્તિત્વનો અનેકવિધ ઉપયોગ શક્ય છે. શરીર જેમ વિકાસ પામે છે અને પછી એક સમયે મૃત્યુને વશ થાય છે તેવી જ રીતે બ્રહ્માંડનો ઉદય અને પ્રલય થતો રહ્યો છે. શરીર તેમજ બ્રહ્માંડ બંનેની ઉત્પત્તિમાં પ્રકૃતિનો હાથ છે. શરીર તેમજ બ્રહ્માંડના અસ્તિત્વ માટે પુરુષનું ચૈતન્ય અને પ્રકૃતિનું અસ્તિત્વ જવાબદાર છે.

શરીરમાં અનેક પ્રકારની સિસ્ટમ કાર્યરત હોય છે, એ દરેક પોતાના કાર્યક્ષેત્રમાં યથાર્થ છે, એ બધી સિસ્ટમ પરસ્પર સંકલનથી કાર્યરત હોય છે, તે દરેકને કારણે ખાસ પ્રકારનું પરિણામ મળે છે અને સમગ્રતામાં તે એક વિશેષ પરિણામ આપે છે. આવું જ બ્રહ્માંડમાં થઈ રહ્યું છે. શરીરની દરેક સિસ્ટમ ત્યાં સુધી જે કાર્યરત થાય જ્યાં સુધી શરીરની અંદર આત્માની હાજરી હોય. તે જ તર્ક પ્રમાણે એમ કહી શકાય કે બ્રહ્માંડમાં પણ કોઈક આત્માની હાજરી હોવી જોઈએ. બ્રહ્માંડ વિશાળ હોવાથી તે આત્મા વિશાળ હોવાની-પરમ હોવાની પરીકલ્પના કરવામાં આવે તે સ્વાભાવિક છે. બ્રહ્માંડ અને શરીરમાં માત્ર પ્રમાણમાપનો ફેર એમ માનવા મન પ્રેરાય છે અને તેવું જ આત્મા તેમજ પરમાત્મા માટે કહેવાય.

હવે પ્રશ્ન એ થાય કે જે શરીરની અંદર આત્મા રહે છે તે શરીર આત્માનું ઘર છે કે આત્મા માટેની જેલ છે. એ તો સ્વાભાવિક છે કે જો સ્વેચ્છાએ અમુક સ્થાને રહેવાનું સ્વીકારવામાં આવ્યું હોય તો તે ઘર બને અને જો ત્યાં રહેવા માટે જબરજસ્તી હોય તો તે જેલ બને. તો પછી પ્રશ્ન એ થાય કે આત્માએ ઈચ્છાથી આ શરીર ને રહેઠાણ તરીકે સ્વીકાર્યું છે કે સંજોગને આધારે આ શરીરમાં તેણે રહેવું પડે છે. અહીં સૃષ્ટિના સર્જનની પ્રક્રિયા થોડી સમજવી જરૂરી છે

આ પણ વાંચો…મનન : સાગરના પાણીનું બિંદુ ને સાગર…

અનાદી તત્ત્વ કણ છે કે બ્રહ્મ તે ચર્ચાનો વિષય છે. તે ચર્ચાને એકવાર બાજુમાં રાખીએ અને સીધા જ બીજા ડગલાથી શરૂઆત કરીએ તો એમ કહેવાય કે તે ડગલે કણ અને ચૈતન્ય પરસ્પરના સહારે, પરસ્પરને કારણે તથા પરસ્પરના હેતુને સાર્થક કરવા કાર્યરત થયા.

બંનેના સહ અસ્તિત્વને કારણે સવિકલ્પ સંકલ્પોની શૃંખલા શરૂ થઈ. આવા એક પ્રકારના સંકલ્પ-સમૂહની પૂર્તિતા માટે શારીરિક-ભૌતિક અસ્તિત્વની જરૂરિયાત ઊભી થઈ હશે. જેને પરિણામે બ્રહ્માંડની રચના ઉદભવી હશે. બ્રહ્માંડની રચનામાં શરીર ક્યારે અસ્તિત્વમાં આવ્યું તે બાબતે હું વ્યક્તિગત રીતે, હજુ સુધી કોઈ નિર્ણય કરી શકતો નથી. પણ શરીરની ઉત્પત્તિ બ્રહ્માંડના સર્જન પછી જ થઈ હોવી જોઈએ. બ્રહ્માંડ અને શરીર એક સાથે અસ્તિત્વમાં આવવાની સંભાવના જણાતી નથી.
સર્જનના કોઈક તબક્કે ચૈતન્યને-આત્માને જે તે સંકલ્પ પૂરા કરવા માટે શરીરની જરૂરિયાત જણાઈ હશે. તેમ થતાં શરીરની પરીકલ્પના કરી આત્માએ તેમાં પ્રવેશ કર્યો હશે. આ તબક્કે શરીર આત્માનું ઘર બની રહ્યું હશે. અહીં સુધી એમ કહી શકાય કે શરીર એ આત્માનું ઘર છે.

સમય જતાં, સવિકલ્પ સંકલ્પોની માત્રા અને સાથે સાથે આવા સંકલ્પોની તીવ્રતા પણ જેમ જેમ વધતી ગઈ હશે તેમ તેમ આત્મા અર્થાત ચૈતન્યનો પ્રભાવ ઓછો થતો ગયો હશે. આ પ્રક્રિયામાં, અસ્તિત્વની ઉત્ક્રાંતિમાં શરીર કેન્દ્રસ્થાને આવતું ગયું હશે. ચૈતન્યની શરીર સાથેની અતૂટ તાદાત્મ્યતા ને કારણે સમયાંતરે શરીર આત્મા માટે બંધનકારક બની રહ્યું હશે-શરીર હવે ઘરના સ્થાને જેલ બની ગયું.

ચૈતન્યનો પ્રભાવ ઘટતાં, ચૈતન્ય ને તેની અનુભૂતિ થઈ જ હશે અને ચૈતન્યએ પ્રક્રિયા સાથે ક્યાંક અણગમો તેમજ વિરોધ દર્શાવ્યો જ હશે. આત્માની પ્રકૃતિ બંધનયુક્ત, સીમિત, પરતંત્ર, લિપ્ત અને લાચાર સ્થિતિમાં રહેવાની નથી. તેથી જ શરીરથી મુક્તિ માટેનો તેનો પ્રયાસ વ્યાજબી છે. સામાન્ય વ્યવહારમાં એમ જણાય છે કે વ્યક્તિ જે રસ્તેથી આગળ વધી હોય તે જ રસ્તેથી પરત ફરવું વધારે અનુકૂળ રહે. આગળ વધતી વખતે પ્રવાસ દરમિયાન વ્યક્તિ માર્ગથી, માર્ગમાં રહેલી સંભાવનાઓથી તથા આ માર્ગમાં આવતા અવરોધો થી વાકેફ હોય. તેથી તે જ રસ્તેથી પરત આવવાની પ્રક્રિયા તેની માટે અનુકૂળ બની રહે.

આ પણ વાંચો…મનન: સનાતન સંસ્કૃતિની અકલ્પ્ય સમૃદ્ધિ

આત્મા માટે પણ આમ જ કહેવાય. જે જે કારણોસર, જે જે માર્ગથી, જે જે સાધનોના ઉપયોગ થકી શરીરનું બંધન લગભગ અતૂટ જણાતું હોય તે તે બાબતોથી વિપરીત કાર્ય કરવાથી પાછા મૂળ સ્થાને પહોંચી શકાય. આવા સંજોગોમાં શરીર એ માધ્યમ કે સાધન બની રહે. પરત ફરવાની આ સમગ્ર પ્રક્રિયામાં શરીરનું શરીરપણું ઓછું થતું જાય. અસ્તિત્વ સાથે જોડાયેલી શરીરની બંધનકર્તા બાબતો હવે ક્ષીણ થતી જાય. શરીરની ભૌતિકતા સામે ચૈતન્યનું પ્રભુત્વ વધતું જાય. પરત ફરવાની પ્રક્રિયા જો દ્રઢતાથી, વિશ્વાસથી અને વ્યવસ્થિત રીતે ચાલુ રહે તો એક સમય એવો આવે કે શરીર હોવા છતાં તે સાવ ગૌણ બની રહે. તે તબક્કે શરીર મંદિર સમાન છે તેમ કહેવાય. તે શરીર સાથે સંલગ્ન આત્મા એ ઈશ્વર.

આ થઈ શરીરની ઘરથી મંદિર સુધીની યાત્રા, જેમાં જેલ તથા સાધન જેવા પડાવો આવે. અસ્તિત્વની જે સ્થિતિ પ્રવર્તમાન હોય તે સ્થિતિ પ્રમાણે શરીરનું અસ્તિત્વ હોય. જે તે સ્થિતિ પ્રમાણે શરીર નકારાત્મક પરિણામ પણ લાવી શકે અને હકારાત્મક પરિસ્થિતિ પણ સર્જી શકે. શરીર શું છે તે જે તે વ્યક્તિની સ્થિતિ પર આધાર રાખે. તે બંધન પણ છે અને પવિત્ર સ્થાન પણ છે, તે સાધન પણ છે અને પરિણામ પણ છે, તે કારણ પણ છે અને કાર્ય પણ છે.

શરીર એક એવું અસ્તિત્વ છે કે જેમાં બધી જ સંભાવનાઓ ભરેલી છે. આવું જ બ્રહ્માંડ માટે પણ કહી શકાય. શરીર માટે જણાવાયેલાં બધાં જ સમીકરણો વિસ્તૃતતામાં બ્રહ્માંડને પણ લાગુ પડતા હશે તેમ માનવા મન પ્રેરાય છે. શરીર દરેક પ્રકારના દ્વંદ્વનું સહ અસ્તિત્વ છે. શરીર દરેક પ્રકારની સંભાવનાઓનો મેળાવડો છે. શરીર દરેક પ્રકારની અનુભૂતિ થઈ શકે તેવું સાધન છે. શરીર મર્યાદિત ક્ષેત્રમાં આકાર લેતી વિસ્તૃત ઘટના છે. શરીર ઈચ્છા મુજબ ઉપયોગમાં લઈ શકાય તેવું અસ્તિત્વ છે.

સ્થૂળ વિશ્વમાં અસ્તિત્વ ધરાવતું શરીર સૂક્ષ્મ અસ્તિત્વની પ્રત્યેક બાબતોને ઉજાગર કરવાનું કાર્યરત કરવાનું માધ્યમ છે. નાશ પામતું શરીર, ફરીથી કાર્યરત થવા માટે પૂરેપૂરું સક્ષમ છે અને આ માટે તે માત્ર સ્વરૂપ અને સ્થાન બદલે છે. શરીર સમજી શકાય તેવું ભેદી છે. મજાની વાત એ છે કે તેની જેટલી ક્ષમતા જણાય છે તેટલી જ તેની મર્યાદિતતા છે. તે જેટલું સુંદર લાગે છે તેટલું જ તે મલીન છે. સુખ અને દુ:ખની અનુભૂતિના મૂળમાં પણ શરીર છે. સારા તેમજ ખરાબ કાર્ય માટે પણ શરીર એક માત્ર સાધન છે. એ વાત તો નક્કી છે કે શરીર એ બહુ જ જટિલ ઘટના છે.

આ પણ વાંચો…મનન: નામ રૂપ અને અન્ન, ત્રણેયનાં અસ્તિત્વને કારણે સંસારનું સ્વરૂપ સ્થાપિત થયું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button