એકસ્ટ્રા અફેર: અમેરિકાની ઝાટકણી, પાકિસ્તાનને ઈરાન પર કેમ હેત ઊભરાયું?

-ભરત ભારદ્વાજ
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અંતે અમેરિકાએ ઝંપલાવી દીધું. રવિવારે વહેલી સવારે અમેરિકાએ ઈરાનનાં ત્રણ પરમાણુ મથકો પર હુમલો કરીને તેમનો સફાયો કરી નાખ્યો હોવાનો દાવો અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે કર્યો છે. ડોનલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પરની પોસ્ટમાં લખ્યું છે કે, અમે ઇરાનમાં ત્રણ પરમાણુ સ્થળો ફોર્ડો, નતાંઝ અને ઇસ્ફાહન પર હુમલો કર્યો છે અને ત્રણેય પરમાણુ મથકોનો સફાયો કરી નાખ્યો છે.
અમેરિકાના હુમલા સામે દુનિયાના ભારત સહિતના ઘણા દેશો ચૂપ છે ત્યારે આશ્ચર્યજનક રીતે પાકિસ્તાન ઈરાનની તરફેણમાં કૂદ્યું છે. ઈરાને અમેરિકાના હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ ગણાવ્યો હતો. પાકિસ્તાને ઈરાનની વાતમાં સૂર પુરાવીને કહ્યું છે કે, અમેરિકાએ ઈરાન પર એર સ્ટ્રાઈક કરીને તમામ આંતરરાષ્ટ્રીય કાયદા તોડી નાખ્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સત્તાવાર રીતે પોસ્ટ કરી છે કે, અમેરિકાના હુમલા પછી ઈરાનને પોતાની સુરક્ષા માટે પોતાને ગમે એ પગલાં લેવાનો અધિકાર છે.
પાકિસ્તાનના વલણે આખી દુનિયામાં આશ્ચર્ય સર્જ્યું છે કેમ કે હજુ ગયા અઠવાડિયે જ પાકિસ્તાન ના લશ્કરી વડા આસીમ મુનિરને ડોનલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં નોંતરીને લંચ આપ્યું ત્યારે તેમણે ટ્રમ્પનાં ભરપેટ વખાણ કરેલાં. ડોનલ્ડ ટ્રમ્પે ભારત-પાકિસ્તાનનું યુદ્ધ રોકાવી દીધું એ માટે તેમને નોબલ પ્રાઈઝ આપવાની તરફેણ મુનિરે કરેલી. આ વાત હજુ સાવ તાજી જ છે ત્યાં પાકિસ્તાને સત્તાવાર રીતે અમેરિકાને ઝાટકી નાખ્યું છે.
પાકિસ્તાનને અચાનક ઈરાન પર હેત કેમ ઊભરાઈ આવ્યું એ સવાલ ઊઠવો સ્વાભાવિક છે કેમ કે ઈરાન અને પાકિસ્તાનના સંબંધો બહુ વખાણવા જેવા નથી. બલકે દોઢ વરસ પહેલાં તો બંને વચ્ચે યુદ્ધની નોબત આવી ગયેલી. ગયા વરસના જાન્યુઆરીમાં ઈરાને પાકિસ્તાન પર હુમલો કર્યો હતો.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : ઈઝરાયલ-ઈરાન યુદ્ધ લાંબું ચાલે તો હાલત બગડી જાય
ઈરાને પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમમાં આવેલા બલુચિસ્તાનના કોહ-એ-સબ્ઝ એરિયામાં મિસાઈલમારો કર્યો હતો. એ વખતે પાકિસ્તાને દાવો કરેલો કે, ઈરાને કોઈ પણ ઉશ્કેરણી વિના પાકિસ્તાનની હવાઈ સીમામાં ઘૂસણખોરી કરીને અને પાકિસ્તાનની હવાઈ સીમાનો ભંગ કરીને છોડેલાં મિસાઈલના કારણે બે બાળકો સહિત ઘણાં લોકોની હત્યા કરી છે.
ઈરાને આ વાતને ખોટી ગણાવીને એવું કહેલું કે, પાકિસ્તાન ઠોકાઠોક કરે છે. ઈરાનના લશ્કરે પાકિસ્તાનના વિસ્તારોમાં ઘૂસણખોરી કરી હોવાની કે નાગરિક વિસ્તારોમાં મિસાઈલ છોડ્યાં હોવાની વાત ખોટી છે. ઈરાન અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ એ વખતે માંડ માંડ શાંત થયેલો પણ બંને વચ્ચે છમકલાં ચાલુ જ છે અને સામસામી આક્ષેપબાજી પણ થયા કરે છે.
બંને વચ્ચેના આ સ્નેરભર્યા સંબંધોને જોતાં પાકિસ્તાન ઈરાનની તરફેણમાં બોલે ને અમેરિકાની ઝાટકણી કાઢે એ સાંભળીને આશ્ચર્ય થાય જ. અમેરિકા સામે બોલવાની હિંમત પાકિસ્તાનમાં ક્યાંથી આવી એ પણ મોટું આશ્ચર્ય છે.
રાજકીય વિશ્લેષકોના મતે, પાકિસ્તાનને ઈરાન પર હેત ઊભરાયું તેનું કારણ તેનો સ્વાર્થ છે. આર્થિક રીતે સાવ પતી ગયેલા પાકિસ્તાનને જ્યાંથી મળે ત્યાંથી મદદ જોઈએ છે. આ મદદ માટે એ અત્યારે ચીનના ખોળામાં જઈને બેઠું છે ને ચીન ઈરાનની તરફદારી કરી રહ્યું છે તેથી ચીનને સારું લગાડવા માટે પાકિસ્તાન પણ ઈરાનની તરફેણ કરી રહ્યું છે. ઈરાન પોતે પણ આર્થિક રીતે સધ્ધર છે.
અમેરિકાએ ઈરાન પર જાત જાતના પ્રતિબંધો મૂક્યા છતાં ઈરાન ટકી ગયું છે કેમ કે તેની પાસે ક્રૂડ ઓઈલની તાકાત છે. ઈરાન પાસે દુનિયામાં ત્રીજા નંબરનો સૌથી મોટો ક્રૂડ ઓઈલનો ભંડાર છે અને ચીન-રશિયા તેની પડખે છે તેથી ઈરાન આર્થિક રીતે હજુય સધ્ધર છે. પોતે અમેરિકાની ઝાટકણી કાઢીને ઈરાનને માખણ લગાડે તેનાથી રીઝીને ઈરાન થોડીક મદદ કરી નાખે તો પોતાનો બેડો પાર થઈ જાય એવી પાકિસ્તાનની ગણતરી છે.
પાકિસ્તાનની બીજી ગણતરી બલુચિસ્તાનમાં માથાનો દુ:ખાવો બની ગયેલા બળવાખોરોના સફાયામાં ઈરાનનો સાથ મેળવવાની છે. ઈરાન અને પાકિસ્તાન બંનેને બલુચિસ્તાનની અલગ માગણી કરી રહેલું જૈશ અલ-અદ્લ સંગઠન નડે છે. જૈશ અલ-અદ્લ સુન્ની સલાફી સંગઠન છે. ઈસ્લામમાં મોહમ્મદ પયગંબર સાહેબ સહિતની ત્રણ પેઢીના મુસલમાનોને સૌથી પવિત્ર માનીને સલાફ કહેવામાં આવે છે.
ઓગણીસમી સદીમાં આ સલાફ વિચારધારા પ્રમાણે વિશ્વમાં ઈસ્લામનું શાસન સ્થાપવાની ચળવળ શરૂ થઈ તેને સલાફી ચળવળ કહે છે. સલાફી વિચારધારાને વરેલું જૈશ અલ-અદ્લ પાકિસ્તાન અને ઈરાનના સુન્ની બલુચી મુસ્લિમોનું અલગ રાષ્ટ્ર બનાવવા માગે છે. સલાહુદ્દીન ફારૂકી જૈશ અલ-અદ્લ સંગઠનનો વડો છે. ઈરાનમાં બહુમતી શિયા મુસ્લિમો છે પણ પાકિસ્તાન સાથેની સરહદ પરના દક્ષિણ-પૂર્વ ઈરાનમાં સિસતાન અને બલોચેસ્તાન પ્રાંતમાં થોડાક સુન્ની મુસ્લિમો પણ છે. જૈશ અલ-અદ્લ આ વિસ્તારોને ઈરાનથી અલગ કરીને અને પાકિસ્તાનના બલુચિસ્તાન સહિતના બલૂચોના વિસ્તારોને એક કરીને નવું મુસ્લિમ રાષ્ટ્ર બનાવવા માગે છે.
2012માં સ્થપાયેલા આ સંગઠનમાં 500 જેટલા આતંકવાદી જ છે. આ આતંકવાદીઓ ઈરાનમાં હુમલા કર્યા પછી પાકિસ્તાનમાં ઘૂસી જાય છે અને બલૂચ પ્રજા તેમને છાવરે છે તેથી ઈરાન તેમનો સફાયો કરી શકતું નથી. બીજી તરફ પાકિસ્તાનમાં લડી રહેલા બલુચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ)ના આતંકી પાકિસ્તાનમાં હુમલા કર્યા પછી ઈરાનમાં જતા રહે છે તેથી પાકિસ્તાન કશું કરી શકતું નથી. ઈરાન અને પાકિસ્તાન હાથ મિલાવે તો બલૂચ લડવૈયાઓનો સફાયો કરીને બલુચિસ્તાનની ચળવળને જ દબાવી દઈ શકે તેથી પાકિસ્તાનને ઈરાન સાથે હાથ મિલાવવામાં રસ છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: અમેરિકા-ચીન વ્યાપાર કરાર, ટ્રમ્પને નમ્યા વિના છૂટકો નથી
જો કે પાકિસ્તાન અમેરિકાએ આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ કર્યો હોવાની વાતો કરે એ હાસ્યાસ્પદ લાગે છે. બલકે કૂડું કથરોટને હસતું હોય એવું લાગે છે. પાકિસ્તાન પોતે ભારતમાં આતંકવાદ ફેલાવે છે, પોતાની ધરતી પર આતંકવાદીઓના કેમ્પો ચલાવે છે, આતંકવાદી સરદારોને સરકારી જમાઈ બનાવીને છાવરે છે ત્યારે તેને આંતરરાષ્ટ્રીય કાયદા યાદ આવતા નથી ને અત્યારે આંતરરાષ્ટ્રીય કાયદાઓની પત્તર ખાંડવા બેસી ગયું છે.
પાકિસ્તાન ભારત સાથેની સરહદ પર સતત તોપમારો કર્યા કરે છે ને ઉશ્કેરણી કર્યા કરે છે એ આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ જ છે. પીઓકેમાં લશ્કરના જોરે શાસન ચલાવે છે એ પણ આંતરરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ જ છે. આ તો થોડાંક ઉદાહરણ આપ્યાં, બાકી વાત માંડવી જ હોય તો ઘણું બધું કહી શકાય પણ પાકિસ્તાનનાં લખ્ખણ બધા જાણે છે તેથી વાત માંડવાનો કોઈ અર્થ નથી. ટૂંકમાં પાકિસ્તાનને અમેરિકાને કે બીજા કોઈ દેશને ઉપદેશ આપવાનો અધિકાર જ નથી.