આમચી મુંબઈ

મુંબઈ-પુણે એક્સપ્રેસવે: ભારે વાહનો માટે ઘાટમાં સ્પીડ લિમિટ વધશે?

મુંબઈઃ મુંબઈ-પુણે એક્સપ્રેસવેના ભોર ઘાટ વિભાગમાંથી નીચે ઉતરતા ભારે વાહનો ટૂંક સમયમાં ઢાળ નીચે થોડી વધુ ઝડપથી નીચે ઉતરી શકે એવી શક્યતા છે. અધિકારીઓ અને ટ્રાન્સપોર્ટરોએ જણાવ્યું છે કે હાલની ગતિ મર્યાદામાં વધારો કરવાનું વિચારાધીન છે. મુંબઈ-પુણે એક્પ્રેસવેમાં ખંડાલા ઘાટ તરીકે ઓળખાતા વિભાગમાં નીચે તરફ ટ્રક અને બસ જેવા ભારે વાહનો માટે ગતિ મર્યાદા હાલના 40 કિમી પ્રતિ કલાકથી વધારીને 45-50 કિમી પ્રતિ કલાક કરવા માટે ચર્ચા ચાલી રહી છે. તેમણે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

નાના વાહનો માટે 100 કિમી પ્રતિ કલાકની ઝડપ છે

10 કિમીના ઘાટ વિભાગમાં કાર માટે 60 કિમી પ્રતિ કલાકની હાલની ગતિ મર્યાદામાં ફેરફાર થવાની શક્યતા ઓછી છે. દેશના પ્રથમ એક્સેસ-કંટ્રોલ એક્સપ્રેસવેના અન્ય ભાગોમાં નાના વાહનો માટે 100 કિમી પ્રતિ કલાક અને ભારે વાહનો માટે 80 કિમી પ્રતિ કલાકની ગતિ મર્યાદા છે.

ભારે વાહનોની સ્પીડ કલાકના 45 કિલોમીટરે છે

પુણે જિલ્લાના લોનાવલા અને રાયગઢ જિલ્લાના ખાલાપુર વચ્ચે સ્થિત ઘાટ વિભાગ પર હાલની મર્યાદાને કારણે વારંવાર ઇ-ચલણનો દંડ થાય છે. ટ્રાન્સપોર્ટરો અને કેટલાક અધિકારીઓએ ભોર ઘાટ પર ભારે વાહનો માટે 40 કિમી પ્રતિ કલાકની વર્તમાન ગતિ મર્યાદાને “અવૈજ્ઞાનિક”, “અવાસ્તવિક” અને “અયોગ્ય” ગણાવી. કારણ કે ભારે વાહનો માટે તીવ્ર ઘાટ પર નીચે તરફ ધીમે ધીમે આગળ વધવું પડકારજનક છે, ટ્રાફિક ધીમો પડે છે અને અકસ્માતોનું કારણ બને છે, એમ તેમણે દાવો કર્યો હતો.

નવા નિયમથી સમય, ઇંધણ, જાળવણી ખર્ચ બચશે

ફોલોઅપ્સ અને ચર્ચાઓ પછી, અધિકારીઓએ ગતિ મર્યાદામાં વધારો કરવા માટે સકારાત્મક સંકેત આપ્યો છે, એમ ટ્રાન્સપોર્ટરોએ જણાવ્યું હતું. આ વાહનોને થોડી ઝડપથી આગળ વધવા દેવાથી સમય, ઇંધણ, જાળવણી ખર્ચ બચશે અને “બિનજરૂરી” ઇ-ચલણ ટાળવામાં મદદ મળશે, એમ તેમણે કહ્યું હતું.

સ્પીડના ભંગ માટે 2,000 રુપિયાનો વસૂલાય છે દંડ

ટ્રાન્સપોર્ટર્સમાં ખાસ કરીને બસ માલિકોના મતે, 95 કિમી લાંબા કેરેજવે પર ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (ITMS) દાખલ થયા પછી ઘાટ સેક્શન પર ઇ-ચલણમાં વધારો થયો છે, જેમાં ઘણા સ્પીડ-મોનિટરિંગ કેમેરા અને અન્ય સાધનોનો સમાવેશ થાય છે. પ્રથમ સ્પીડ ઉલ્લંઘન માટે વાહનને રૂ. 2,000નો દંડ ફટકારવામાં આવે છે, અને પછીના ઉલ્લંઘન માટે રકમ વધે છે.

વાહનો ધીમા પડવાથી ટ્રાફિકનો અવરોધ

બસ ઓપરેટર અને મુંબઈ બસ માલિક સંઘના નેતા હર્ષ કોટકે પડકારોના વ્યવહારુ પાસાને સમજાવતા કહ્યું હતું કે, “ખાસ ગિયરમાં, વાહનો ફક્ત 7-10 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે, જ્યારે તે પહેલા ગિયરમાં 25-28 કિમી પ્રતિ કલાક અને બીજા ગિયરમાં 45-47 કિમી પ્રતિ કલાકની ઝડપે છે. પરંતુ જો તમે પહેલા ગિયરમાં ખૂબ લાંબા સમય સુધી રહો, તો વાહન અત્યંત ધીમું પડે છે અને ટ્રાફિકને અવરોધે છે. બીજા ગિયરમાં, તમે કાં તો ગતિ મર્યાદાને ઓળંગી જાઓ છો અથવા વધુ પડતી બ્રેકિંગને કારણે બ્રેક ડ્રમ વધુ ગરમ થઈ જાય છે,” તેમણે સમજાવ્યું.

ઘાટમાં લગભગ 30 ટકા ઈ-ચલણ ભારે વાહન માટે કરાય છે જારી

કોટકે જણાવ્યું હતું કે તેમણે અધિકારીઓને “વૈજ્ઞાનિક રીતે” ગતિ મર્યાદા ૫૦ કિમી પ્રતિ કલાક નક્કી કરવા વિનંતી કરી છે. “આ 10 કિમીના ઘાટ પર લગભગ 30 ટકા ઈ-ચલણ ભારે વાહનોને જારી કરવામાં આવે છે, ઘણી વાર 43થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપ માટે,” તેમણે જણાવ્યું હતું. આને અનુલક્ષીને મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ (MSRDC), હાઇવે પોલીસ, રાજ્ય પરિવહન વિભાગ અને ટ્રાન્સપોર્ટરોની ટીમોએ ગયા મહિને ઘાટ સેક્શનનો સંયુક્ત સર્વે કર્યો હતો જેથી વાસ્તવિકતાનું મૂલ્યાંકન કરી શકાય.

આ પણ વાંચો…‘ખરી શિવસેના’ના અમિત શાહના નિવેદનની રાઉતે કાઢી ઝાટકણી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button