મિડલ ઈસ્ટ સંકટ: અમેરિકાના ઈરાન પર હુમલા બાદ PM મોદીએ રાષ્ટ્રપતિ પેજેશ્કિવન સાથે વાતચીત કરી, શાંતિની અપીલ

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં જારી યુદ્ધ વચ્ચે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિવન સાથે ફોન પર વાતચીત કરી છે. પીએમ મોદીએ મસૂદ પેજેશ્કિવન સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરી અને વણસતા યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ લખીને ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને ઘટાડવા માટે વાતચીત કરવાની અપીલ કરી છે.
ક્ષેત્રિય શાંતિ સ્થાપવાની અપીલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાત્કાલિક તણાવ ઘટાડવા માટે તમામ મુદ્દે કૂટનીતિ મારફત ઉકેલ લાવવા અને ક્ષેત્રિય શાંતિ, સુરક્ષાનો માહોલ ઊભો કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે ભારત હંમેશાં માને છે કે વાતચીત અને કૂટનીતિ જ કોઈ પણ સંકટનું સમાધાન કરે છે. પીએમ મોદીએ મસૂદ પેજેશ્કિવનની સાથે વાતચીત એ વખતે કરી છે, જ્યારે અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો છે. અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો છે, ત્યારબાદ દુનિયાની નજર મિડલ ઈસ્ટ પર ટકી છે.
ઈઝરાયલના પક્ષમાં અમેરિકાનું ઈરાન પર યુદ્ધ
ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પરમાણુ સ્થળો પરના હુમલા પછી અમેરિકાએ ખૂદ ઈરાનની સામે એક ખતરનાક યુદ્ધ શરુ કર્યું છે. વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું છે કે જે પરમાણુ સ્થળો પર હુમલા માટે અમેરિકા સંપૂર્ણ જવાબદાર છે. તેમણે કહ્યું છે કે કોઈ એવી લક્ષમણ રેખા બચી નથી, જે અમેરિકાએ પાર કરી ના હોય.
આ પણ વાંચો મોસાદની ‘બ્લેક વિડો’ નહીં, પણ ‘આ’ છે દુનિયાની ખતરનાક મહિલા જાસૂસ
ઈઝરાયલે અમેરિકાની કરી પ્રશંસા
ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર અમેરિકાએ હુમલો કર્યા પછી ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહુએ અમેરિકાના રાષ્ટ્રપતિનો આભાર માન્યો છે. ઈરાનના પરમાણુ કેન્દ્રો પર અમેરિકાએ કાર્યવાહીએ કરવાનું સારું કામ કર્યું છે, જે દુનિયાના બીજા કોઈ દેશ કરી શકે એમ નથી. ઈઝરાયલ વર્ષોથી ઈરાનના પરમાણુ કાર્યક્રમના અસ્તિત્વને જોખમ હોવાનું જણાવ્યું છે. એની સામે ઈરાન વર્ષોથી કહે છે કે તેના પરમાણુ હથિયારો શાંતિપૂર્ણ ઉદ્દેશો માટે છે.