ફોકસ : શું કામ દેશમાં ઊભરી રહ્યું છે પેટ કલ્ચર?

- સંજય શ્રીવાસ્વ
છેલ્લાં પાંચ વર્ષમાં પાળતું પ્રાણીઓ રાખવાના ટ્રેન્ડમાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે. પાળતું પ્રાણીઓ રાખનારાઓની સંખ્યામાં 50 ટકાનો વધારો થયો છે. તેથી તેના સાથે સંબંધિત બજારનો પણ જબરો વિકાસ થયો છે. આ સાથે આ સંદર્ભમાં ઘણી નવીનતાઓ પણ સામે આવી છે. આ નવા ’પેટ કલ્ચર’ની પાછળ આખરે ક્યું સામાજિક પરિવર્તન કામ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં પાળતું પશુ-પક્ષીઓનું બજાર લગભગ રૂા. 10,000 કરોડનું છે. જે આગામી બે વર્ષમાં રૂા. 14,000 કરોડ સુધી અને 2032 સુધીમાં રૂા. 21,000 કરોડથી ઉપર પહોંચવાનું અનુમાન છે.
આ આશા એટલા માટે છે કારણ કે છેલ્લાં દાયકામાં નાનાં અને મોટાં ભારતીય શહેરો અને નગરોમાં પાળતું પ્રાણીઓ રાખવાનો ટ્રેન્ડ અને ક્રેઝ ખૂબ જ વધ્યો છે અને 16 ટકાથી વધુના અણધાર્યા ઊંચા દરે વધી રહ્યો છે. થોડાં વર્ષો પહેલા કોલકાતામાં સૌથી જૂના અને સૌથી મોટાં પશુ-પક્ષી બજાર એટલે કે ગેલિફ સ્ટ્રીટ એટલે કે બાગબજારમાં પહેલા દર સપ્તાહના અંતે 35,000 લોકો આવતા હતા. આ આંકડો હવે લગભગ દોઢ ગણો વધી ગયો હોવાનું કહેવાય છે.
આ બજારમાં કૂતરા, ગલુડિયાં, કાચબા, સસલા, ગિની, પિગ, અનેક પ્રકારના ઉંદરો, પચાસ પ્રકારનાં પક્ષીઓ અને સુશોભન માછલીઓ વગેરે મળે છે.
અલબત્ત, પાળતું પ્રાણી રાખનારા લોકોની સંખ્યા વધી રહી છે. દેશમાં લગભગ 35 કરોડ નોંધાયેલાં પાળતું પ્રાણીઓ છે. જેમાં દર વર્ષે 12 ટકાથી વધુનો વધારો થઇ રહ્યો છે. આનાથી અનેક ગણા વધુ નોંધણી વગરનાં પાળતું પ્રાણીઓ છે અને તેનો બમણો વધારો થવો નક્કી છે.
સંબંધિત સર્વેક્ષણો દર્શાવે છે કે માત્ર અમીરોના વૈભવી ઘરોમાં જ નહીં, પરંતુ નીચલા મધ્યમ વર્ગના નાનાં ઘરોમાં પણ વિવિધ જાતિના કૂતરા, બિલાડી, પક્ષીઓ વગેરે ઉછેરવામાં આવી રહ્યા છે. તેઓ તેમની પસંદગીના પાળતું પ્રાણીઓને પ્રાથમિકતા આપી રહ્યા છે.
દેશમાં કૂતરો એક લોકપ્રિય પાળતું પ્રાણી છે, તેની સંખ્યા કરોડોમાં છે. હવે બિલાડી રાખવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. લોકો મેના, સસલા, કબૂતર ઉપરાંત સાપ, કાચબા અને વિદેશી પક્ષીઓ પણ પાળી રહ્યા છે.
વિદેશી પક્ષીઓની માગ એટલી વધી ગઇ છે કે છેલ્લાં કેટલાક વર્ષોમાં તેમનો ગેરકાયદેસર વેપાર કરોડોનો થઇ ગયો છે. આ ટ્રેન્ડ નાના-મોટા શહેરો અને નગરોમાં જે રીતે વધી રહ્યો છે તે બિલકુલ ઘટતો હોય એવું દેખાતું નથી. પહેલા પણ લોકો શોખ તરીકે પાળતું પ્રાણી રાખતા હતા,
પરંતુ આ અચાનક અને અણધાર્યો વધારો થોડો આઘાતજનક છે. દર વર્ષે 6 લાખથી વધુ લોકો પાળતું પ્રાણીઓના માલિક બની રહ્યા છે. તેથી ચોક્કસપણે સમાજના આચરણ, વિચારો અને કાર્ય વર્તનમાં કોઇ એવું પરિવર્તન આવ્યું છે જેણે તેમને આ તરફ સ્વયંભૂ પ્રેરિત કર્યા છે.
એ વાત સાચી છે કે સાયકોલોજી ટુડે મેગેઝિનમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે પાળતું પ્રાણીથી મળતી સંતોષની સકારાત્મક અસરનું નાણાકીય મૂલ્યાંકન આશરે 93,000 અમેરિકન ડૉલર એટલે કે 80 લાખની આસપાસ છે. જ્યારે પાળતું પ્રાણી આના કરતાં ઘણા સસ્તા છે.
પરંતુ સત્ય એ છે કે આજના સમયમાં પાળતું પ્રાણીની સંભાળ રાખવા માટે વધારાની જગ્યા, સમય, શ્રમ, પૈસા અને ધ્યાનની જરૂર રહે છે. તેથી તેનો નિર્વાહ ફક્ત તે લોકો જ કરી શકે છે જેઓ ખરેખર પાળતું પ્રાણીના પ્રેમ માટે આટલો ત્યાગ કરી શકે છે. અલબત્ત, પ્રેમ કે પ્રીતિમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કોઇને કોઇ રીતે સ્વાર્થ રહેલો હોય છે.
પાળતું પ્રાણી પર જીવ ન્યૌછાવર કરનારા, નાણાં ખર્ચ કરનારા, તેમને કિંમતી સમય આપનારને નિ:શંકપણે કોઇને કોઇ સ્વરૂપમાં કંઇક મળે છે. તે સમજવું જોઇએ કે તેઓ શું મેળવી રહ્યા છે, જેનાથી પ્રભાવિત થઇને આ ‘પેટ કલ્ચર’ વેગ પકડી રહ્યું છે. આખરે તે કઇ ખામી છે કે લોકો પાળતું પ્રાણી પર ઘણો બધો ખર્ચ કરીને તે પૂર્ણ કરવા માગે છે?
વિશ્વભરમાં એક જબરદસ્ત પેટ કલ્ચર વિકસી રહ્યું છે. ભારત સહિત અન્ય ઘણા એશિયન દેશોમાં પણ છેલ્લાં પાંચ વર્ષમાં પાળતું પ્રાણીઓની સંખ્યામાં 50 ટકાનો વધારો થયો છે. આજે વિશ્વમાં એક અબજથી વધુ પાળતું પ્રાણીઓ છે, 52 ટકા લોકોના ઘરમાં કોઇને કોઇ પાળતું પ્રાણી છે.
અમેરિકા, બ્રાઝિલ, યુરોપિયન સંઘ અને ચીન મળીને વિશ્વના અડધા પાળતું કૂતરા અને બિલાડીઓ રાખે છે. આ વર્ષે ચીન વિશ્વમાં સૌથી વધુ પાળતું પ્રાણીઓ ધરાવતો દેશ બન્યો છે. નવું ‘પેટ કલ્ચર’ સમાચારોમાં છે અને આ મુદ્દે વૈશ્વિક ચર્ચા શરૂ થઇ છે કે આખરે અડધા દાયકાની અંદર એવા ક્યા સામાજિક અને આર્થિક ફેરફારો આવ્યા છે કે પાળતું પ્રાણીઓનું બજાર ખૂબ જ વિકસ્યું છે? તેમની સંભાળ, ખોરાક, માવજત અને અન્ય જરૂરિયાતો, ઉત્પાદનોની ઝડપી અને ભારે માંગ અને આ દિશામાં તક્નિકી પ્રયોગો તથા નવીનતાઓએ દરેકનું ધ્યાન ખેંચ્યું છે.
સર્વેક્ષણોએ સાબિત કર્યું છે કે આનું મુખ્ય કારણ શહેરી વસ્તીમાં વધારો અને સંયુક્ત પરિવારોનું તૂટવું છે. ફ્લેટમાં રહેતા એકલા પરિવારો કૂતરા અને બિલાડીઓમાં એકલતાનો ઇલાજ શોધી રહ્યા છે.
મોટાભાગના પાળતું પ્રાણીઓના માલિકો 20 થી 30 વર્ષની વયના ‘મિલેનિયલ્સ’ છે. જેમાંથી મોટાભાગના નાના પરિવારો, સારી કે બમણી આવક, સારું શિક્ષણ ધરાવતા લોકો છે જે ઘરેથી કામ કરે છે. તેઓ મોડાં બાળકો પેદા કરવા અને જીવનશૈલીમાં પરિવર્તનને કારણે પાળતું પ્રાણીઓ રાખે છે.
તેઓ તેમને મનોરંજન કે રમતગમત માટે નહીં,પરંતુ પરિવારના સભ્ય તરીકે રાખી રહ્યા છે. આ પેટ કેર તેમના માટે માતા-પિતા બનવાની તાલીમ પણ છે. માતા-પિતા બાળકોના માનસિક વિકાસમાં પાળતું પ્રાણીઓની ભૂમિકાને સમજીને તેમને તેમની સાથે વિકસવાની તક આપી રહ્યા છે.
આ પણ વાંચો બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : જેનું પ્રદર્શન મૂલ્ય વધુ એ ઉત્પાદનની કિંમત વધારે
સોશિયલ મીડિયા પર પાળતું પ્રાણીઓ સંબંધિત સામગ્રી લોકોને તેમને દત્તક લેવા માટે પ્રેરણા આપી રહી છે. શ્રીમંતોના મોહલ્લાઓ ઉપરાંત ‘પેટ કલ્ચર’ તે જગ્યાઓ પર વધુ ઝડપથી વધી રહ્યું છે જ્યાં ‘મધ્યમ વર્ગ’નો વિસ્તાર થઇ રહ્યો છે.
એક તો પાળતું પ્રાણીઓ પ્રત્યેનો અભિગમ બદલાયો છે, કેટલાક પૈસા આવ્યા છે અને તેના સ્ટેટસને બનાવવા કે જાળવી રાખવા, બીજાથી અલગ દેખાવાના ચક્કરમાં પણ તેઓ ‘પેટ કલ્ચર’ના વિકાસમાં ફાળો આપી રહ્યા છે. આજની જનરેશન ઝેડ ઓછી વય છતાં પાળતું પ્રાણીઓના માલિક બનવાના શોખીન છે.
નોકરી કરતા એકલા યુવાનો પાળતું પ્રાણીઓને એકલતા અને માનસિક સ્વાસ્થ્યની દવા માને છે. કારણ કે મનોચિકિત્સકો કહે છે કે પાળતું પ્રાણીઓ તણાવ ઘટાડવામાં અને ખુશી વધારવામાં મદદ કરે છે. વૃદ્ધો તેમને વૃદ્ધાવસ્થાના સાથી તરીકે લઇ રહ્યા છે.
ભારતીય તેમના પાળતું પ્રાણીઓ પર દર મહિને સરેરાશ 5000 રૂપિયા ખર્ચ કરે છે. તેઓ તેમની હેસિયત કરતાં વધુ ખર્ચ કરવામાં અચકાતા નથી, કારણ કે તેઓ તેમને તેમના પરિવારના પ્રિય સભ્ય માને છે. તેથી તેની સાથે સંબંધિત બજાર કૂદકે ને ભૂસકે વિકસી રહ્યું છે અને સ્પર્ધાને કારણે આ ક્ષેત્રમાં દરરોજ નવા ઉત્પાદનો અને નવીનતાઓ સામેલ થઇ રહ્યા છે.