બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : જેનું પ્રદર્શન મૂલ્ય વધુ એ ઉત્પાદનની કિંમત વધારે

- સમીર જોશી
તમે જે વસ્તુ વાપરો છો તેના પર કઈ બ્રાન્ડનો લોગો છે તેના પરથી તમારા સ્ટેટસનું માપ નીકળે છે. આના પરથી સમજાય કે બ્રાન્ડ શા માટે જરૂરી છે. જો દૂધના ભાવ એકાદ રૂપિયો વધી જાય તો આંદોલન કરીયે. આપણા જેવી વ્યક્તિ રોજિંદા ખાદ્ય પદાર્થો જેવા કે દાળ, લોટ, સાકર, ઘી, તેલ વગેરે જેવી ચીજવસ્તુઓની કિંમતોની હંમેશાં તુલના કરીએ પછી સસ્તી ઓફર શોધીએ, જેથી બચત થાય, પણ આપણે કપડાં, એક્સેસરી કે પછી ગાડી જેવી અનેક મોંઘી વસ્તુઓ પર રાજી ખુશીથી હજારો- લાખો ખર્ચી નાખીયે છીએ.
આવું કેમ?
આવું એટલા માટે કે ખાતા આપણને કેટલા લોકો જુએ છે? બીજા અર્થમાં તમે ઘરમાં કેવા પ્રકારના ખાદ્ય પદાર્થ લાવો છો અથવા રોજિંદા જીવનની જે ઉપયોગી ચીજો જે લોકોના ધ્યાનમાં નથી આવતી તે તમે ક્યાંથી લો છો એનાથી તમને ફરક નથી પડતો, પણ તમે પહેરેલું આઉટફિટ કે ડિઝાઇનર હેન્ડબેગ જે અનેક સામાજિક મેળાવડામાં, પાર્ટીમાં, ઓફિસમાં વગેરે ઘણી જગ્યાએ પ્રદર્શિત થાય છે.
પ્રીમિયમ સનગ્લાસમાં પાડેલા ફોટાઓ અનેક લોકો સુધી સોશ્યલ મીડિયા દ્વારા પહોંચે છે. એ જ રીતે, તમે જે સ્થળે વેકેશનમાં જાવ છો તે લોકો જાણે છે, તમે જે ગાડીમાં ફરો છો તે લોકો જોવે છે, પરંતુ ઓર્ગેનિક દાળ રસોડાના કેબિનેટમાં કાયમ માટે હોય છે તેથી તેની કિંમત આપણને અથવા લોકોને નથી થતી. આનું કારણ એ કે આપણે એક્ઝિબીટ દુનિયામાં અર્થાત પ્રદર્શનીય દુનિયામાં જીવી રહ્યા છીએ.
જયારે આનો અભ્યાસ કરીયે તો એક રસપ્રદ પેટર્ન જોઈ શકીએ છીએ કે જે કોઈ ઉત્પાદન કે સર્વિસનું પ્રદર્શન મૂલ્ય વધુ તેટલી ગ્રાહકોની ઊંચી કિંમત ચૂકવવાની ઇચ્છા વધે છે. જે પ્રોડકટ્સ આપણને જાહેરમાં વધુ સારી રીતે પેશ કરે તે પ્રોડક્ટ અને સેવાઓ માટે આપણે વધુ કિંમત ચૂકવવા તૈયાર થઈએ છીએ. આમ ઉચ્ચ પ્રદર્શન મૂલ્ય ધરાવતાં ઉત્પાદનો શક્તિશાળી સામાજિક દરજ્જાનું કાર્ય કરે છે. આ જ કારણે સૌંદર્ય, ફેશન અને બીજી આવી બ્રાન્ડ્સ શા માટે વિશ્વાસપૂર્વક તેમની કિંમત ઊંચી રાખે છે, જ્યારે FMCG બ્રાન્ડ્સ તેમની પ્રીમિયમ ઓફર માટે રૂ. 5 વધુ ચાર્જ કરવામાં પણ સંઘર્ષ કરે છે.
આજ વાતને બીજી રીતે જોઈએ તો તમે માલ ક્યાં વેચો છો અથવા માલ ક્યાંથી ખરીદાય છે તે પણ વેપાર માટે મહત્ત્વનું છે. તમે જો સામાન્ય સ્ટોર અથવા રોડ પરથી અમુક ચીજ ખરીદશો અને તેવી જ વસ્તુ જો મોટા-નામી સ્ટોર અથવા મોલમાંથી ખરીદશો તો એની ખાસ કિંમત હોય છે. તમે બીજી કોઈ જગ્યાએ ભાવ-તાલ કરશો પણ મોટા સ્ટોરમાં ચુપચાપ છાપેલો દામ આપી ખરીદી લેશો.
ટૂંકમાં જે વસ્તુનું પ્રદર્શન મૂલ્ય છે તેના પર લોકો ખર્ચો કરવા તૈયાર છે, જયારે જે વસ્તુને પ્રદર્શન મૂલ્ય નથી તે ખરીદવા પહેલાં આપણે એનો ભાવ-તાલ કરીશું!.
અહીં વિધિની વક્રતા એ છે કે જીવન જરૂરિયાતની ચીજો પર આપણે સમાધાન કરીએ છીએ. બધા આવું કરતા હશે તેમ કહેવાનું તાત્પર્ય નથી, ખાવા પીવાની ચીજો સારી જગ્યાએથી અને ઉમદા ક્વોલિટીની લેવા વાળા પણ આપણને મળશે. અહીં માનવ સહજ સ્વભાવ કે લોકોની વર્તણૂકની વાત છે. અને આજ વાત બ્રાન્ડને પોતાનો ભાવ નક્કી કરવામાં મદદ કરે છે.
આપણે એમ પણ કહી શકીયે કે, જીવન જરૂરિયાતની ચીજો જો મોંઘી થાય તો તો જીવવું મુશ્કેલ થઇ જાય અને બાકી ચીજો અમુકવાર ખરીદી કરવાની હોય છે એટલે આની સરખામણી ના થઇ શકે. વાત ખોટી પણ નથી.
આ પણ વાંચો સ્પોટ લાઈટ : ડાયલોગનું રિહર્સલ ઊડતા વિમાનમાં
હવે આને બીજી રીતે જોઈએ તો; હું રોજ દૂધ મગાવું છુ તેની એક કિંમત નક્કી કરેલી છે, જે કિંમત બધા ચૂકવે છે. હવે એક દિવસ કોઈ બ્રાન્ડ આવીને કહે છે કે અમારી બ્રાન્ડ ગીરની ગાયનું દૂધ અથવા આર મિલ્ક અથવા ફેટ ફ્રી દૂધ વેચે છે. માણસ સ્વભાવ છે કે પોતા માટે ને લોકોને બતાવવા માટે પણ આવા દૂધના વધારે પૈસા ચુકવશે. જો તેનો ભાવ વધે તોય જરાપણ હો હા નહિં કરે.
માણસનો આર્થિક વિકાસ થાય છે તેમ એની ખરીદી શક્તિ વધે છે. એ તેવાં ઉત્પાદનોમાં રોકાણ કરે છે જેનું પ્રદર્શનીય મૂલ્ય હોય, જેથી તે પોતાનું જીવન ધોરણ લોકો સમક્ષ મૂકી શકે… આમ બ્રાન્ડનું ગણિત કહે છે.
આમ ઉચ્ચ પ્રદર્શનીય મૂલ્ય ધરાવતાં બ્રાન્ડેડ ઉત્પાદનો, 60-80 ટકા માર્જિન સાથે વેપાર કરશે, જયારે ઓછા પ્રદર્શનીય મૂલ્ય ધરાવતા બ્રાન્ડ વગરના ઉત્પાદન 7-15 ટકા માર્જિન રાખી ધંધો કરી હંમેશાં સંઘર્ષ કરશે. આથી પ્રીમિયમ કિંમત નક્કી કરવી તે ફક્ત ઉત્પાદનની ગુણવત્તા પર જ નહીં, પરંતુ સામાજિક દૃશ્યતા પર પણ નિર્ભર કરે છે.