બાહુબલી ફિલ્મમાં કામ કરનારા મરાઠી કલાકારે ભર્યું અંતિમ પગલું, ઇન્ડસ્ટ્રી આઘાતમાં

મુંબઈ: અત્યાર સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એક્ટર અને એક્ટ્રેસે આત્મહત્યા કરી છે. તેમાં એક વધુ આત્મહત્યાનો ઉમેરો થયો છે. મરાઠી ફિલ્મ અને ટેલીવિઝન ઈન્ડસ્ટ્રીના કલાકાર તુષાર ઘાડીગાવકરે આત્મહત્યા કરી લીધી છે. મુંબઈની ગોંરેગાંવ પોલીસે આ અંગે માહિતી આપી છે.
કામ ન મળવાને કારણે તણાવમાં હતો તુષાર
ગોરેગાંવ પોલી સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, “ગોરેગાંવ પશ્ચિમના રામ મંદિર રોડ પર આવેલા એક ફ્લેટમાં એક વ્યક્તિ બેભાન અવસ્થામાં પડ્યો હોવાનો અમને કંટ્રોલ રૂમમાં મેસેજ મળ્યો હતો. અમારા અધિકારીઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે, તે વ્યક્તિ જમીન પર બેભાન થઈને પડ્યો હતો. અધિકારીઓએ તેને ટ્રોમા કેર હૉસ્પિટલ ખાતે પહોંચાડ્યો હતો. જ્યાંના મેડિકલ ઓફિસરે તેની તપાસ કરી હતી અને તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકની ઓળખ તુષાર યશવંત ઘાડીગાવકર તરીકે કરવામાં આવી હતી.”
આત્મહત્યાના કારણ વિશે પોલીસે જણાવ્યું કે, “34 વર્ષીય તુષાર ઘાડીગાવકર દારૂનો બંધાણી હતો. છેલ્લા એક વર્ષથી તે તણાવમાં હતો. જ્યારે ઘરે કોઈ ન હતું, ત્યારે તેણે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. અમે સગાસંબંધીઓનું બયાન પણ લીધું છે. તેઓને કોઈની સામે શંકા નથી.”
બાહુબલી જેવી અનેક હિટ ફિલ્મોમાં કર્યું છે કામ
મરાઠી એક્ટર વિઠ્ઠલરાવ વાધવે તુષારના દોસ્ત હતા. પોતાના મિત્રની આત્મહત્યાને લઈને તેઓ શોકાતૂર છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર તુષારનો ફોટો શેર કરીને લખ્યું કે, “દોસ્ત કેમ? શા માટે? વસ્તુઓ આવે છે અને જાય છે. આપણે કોઈ રસ્તો શોધી કાઢવો જોઈએ, પણ આત્મહત્યા તે રસ્તો નથી. તુષાર ઘાંડીગાવકર તું હાર્યો એટલે અને બધાં હારી ગયા.”
ઉલ્લેખનીય છે કે, તુષાર ઘાડીગાવકર મરાઠી ફિલ્મો, ટીવી સિરીયલ્સ અને થિયેટરમાં પોતાની ભૂમિકા માટે જાણીતો હતો. તે મરાઠી સંગીત નાટક ‘સંગીત બિબત આખ્યાન’નો પણ ભાગ હતો. આ સિવાય તેણે પોતાનું ઘંટનાદ પ્રોડક્શન પણ શરૂ કર્યું હતું. જેમાં તે સંગીત વીડિયોનું નિર્માણ કરતો હતો. તુષાર ‘લવિંગ મિર્ચી’, ‘મન કસ્તૂરી રે’, ‘બાહુબલી’,’ઉનાદ’,’જોમ્બિવલી’ જેવી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.