
જમ્મુ અને કાશ્મીરઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલો (Pahalgam Terrorist Attack) થયો હતો. જેમાં 26 લોકોના મોત થયા હતાં. આ આતંકવાદી હુમલા બાદ ભારતે પણ કાર્યવાહી કરી અને ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હેઠળ પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓને ઠેકાણાઓ ધ્વસ્ત કરી દીધા હતાં. અત્યારે આ ઘટના મામલે મોટા અને મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (National Investigation Agency)એ પહેલગામમાં હુમલો કરનારા આતંકવાદીઓને આશ્રય આપવા બદલ બે લોકોની ધરપકડ કરી છે. હવે આ બે લોકો સામે કાર્યવાહી શરૂ કરી દેવામા આવી છે.
પરવેઝ અહમદ જોથર અને બશીર અહમદ જોથરની ધરપકડ
22મી એપ્રિલના રોજ આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગના પહેલગામમાં એક ભયાનક હુમલો કર્યો હતો, જેમાં 26 નિર્દોષ પ્રવાસીઓ માર્યા ગયા હતા જ્યારે 16 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. પહેલગામના બટકોટના પરવેઝ અહમદ જોથર અને પહેલગામના હિલ પાર્ક બશીર અહમદ જોથરે હુમલામાં સામેલ ત્રણ સશસ્ત્ર આતંકવાદીઓની ઓળખ જાહેર કરી છે અને પુષ્ટિ પણ આપી છે કે તેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલા પાકિસ્તાની નાગરિકો છે.
ત્રણ હથિયારધારી આતંકવાદીને જાણીજોઈને આશરો આપ્યો
વધારે વિગતે વાત કરવામાં આવે તો પરવેઝ અને બશીરે હુમલા પહેલા હિલ પાર્કમાં ત્રણ હથિયારધારી આતંકવાદીને જાણી જોઈને આશરો આપ્યો હતો. આ બન્ને લોકોએ આતંકવાદીઓને ભોજન, આશ્રય અને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડ્યો હતો, જેમણે તે ભયંકર બપોરે પ્રવાસીઓને તેમની ધાર્મિક ઓળખના આધારે ઓળખ કરીને મારી નાખ્યા હતા. જેને દેશભરમાં વિરોધ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને વાત કરવામા આવે તો, અત્યારે આતંકવાદીઓને આશરો આપનારા બે લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.
આતંકવાદીઓની મદદ કરી દેશ સાથે ગદ્દારી કરી
આ બન્ને આરોપીઓની NIA એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 ની કલમ 19 હેઠળ ધરપકડ કરી છે. આ સાથે સાથે 22 એપ્રિલ 2025 ના રોજ દુનિયાને હચમચાવી નાખનારા હુમલા પછી નોંધાયેલા RC-02/2025/NIA/JMU કેસની વધુ તપાસ તે કરી રહી છે. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે. જો કે, આ હુમલાના આતંકવાદીઓ હજી સુધી ઝડપાયા નથી.