શું આમ પણ થઈ શકે?

- આલોક ગાગડેકર
એક દિવસની સાંજે જ્યારે મારા પપ્પાએ મારી મમ્મીને ઝટ તૈયાર થઈ જવાનું કહ્યું અને સાથે મને પણ નવા કપડાં પહેરાવી સાથે લઈ લેવાની મંજૂરી આપી ત્યારે હું બહુ રાજીનો રેડ થઈ ગયો હતો. ઘરમાં સૌથી નાનો હતો એટલે આવા અવસર મને બહુ મળ્યા કરતા.
મમ્મીએ પૂછ્યું તો પપ્પા એ કહ્યું કે `આપણે નોબલ નગરમાં એક વિમાન તૂટી ગયું છે એ જોવા જવાનું છે.’ મારી ઉંમર અંદાજે છ કે સાત વરસની હતી. અને અમે જઇ રહ્યાં હતાં અમુક દિવસ અગાઉ મુંબઈથી અમદાવાદ માટે નીકળેલા ઇન્ડિયન એરલાઇન્સનાં તૂટેલાં વિમાનના કાટમાળને જોવાં.
ઘટના 19/10/1988 ની હતી. અમારું ગામ `છારાનગર’ જે અમદાવાદ એરર્પોટથી એકદમ નજીક હોવાથી લોકોનાં ટોળે ટોળાં પગપાળા જ એ દૃશ્ય જોવા નીકળી પડ્યા હતા. મને પૂરી ખાતરી છે કે એ સમય સુધી અમારા ગામમાંથી કોઈપણ વિમાનમાં બેસ્યું ન હતું. એટલે લોકોને વિમાન જોવાની પ્રબળ ઈચ્છા થઇ હતી. ભલે ને એ વિમાન કોઇપણ અવસ્થામાં હોય, નજીકથી જોવું હતું. એ પહેલા માત્ર લંકેશપતિ રાવણનું પુષ્પક વિમાન જ નજીકથી જોયેલું જે એ સમયે દૂરદર્શન પર બહુ જોરશોરથી ચાલતું હતું.
આ વિમાનમાં કુલ એકસો પાંત્રીસ જણ બેઠા હતા જેમાંથી ફક્ત બે વ્યક્તિ જીવિત બચી હતી એક અશોક અગ્રવાલ' અને બીજા ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ
વિનોદ ત્રિપાઠી.’ જ્યારે મોટો થયો ત્યારે આ બે વ્યક્તિઓના નામ જનરલ નોલેજની ચોપડીમાં પણ વાચ્યાં હતાં.
વિમાનના કાટમાળ અને મુખ્ય રસ્તા વચ્ચે એક મોટું ગટરનું સિમેન્ટથી બનેલો પાઇપ હતો એની અંદરથી પસાર થતા લોકોને વાંકા વળીને જવું પડી રહ્યું હતું. હું નાનપણમાં બહુ બટકો હતો તેથી મારે વાંકુ વળવાની કે ઝૂકવાની જરૂર ન હતી. પાઇપની પેલી પાર અમે જોયું તૂટેલાં વિમાનની બળેલી પાંખો અને તૂટેલી પૂંછડી, જેમાંથી હજી ધુમાડાના ગોટે ગોટા નીકળતા હતા, પણ ના જોઈ શક્યા તો એ એકસો તેત્રીસ વ્યક્તિઓની પીડા, ના સાંભળી શક્યા એમની ચીસો, એમના પગના નિશાન જે પોતાના ઘરે જવાને બદલે ક્યારેય પાછા ના ફરવા વાળી એક મહાયાત્રા પર જતા રહ્યા હતા. વિધિનું વિધાન જુઓ `12/06/2025′ બરાબર એ જ શહેર એ જ હવાઈ મથક એ જ છારાનગર પાસે બીજું પણ વિમાન તૂટ્યું ફરક માત્ર એટલો કે પેલું વિમાન ઉતરતા તૂટ્યું હતું આ ચઢતા એમાં માત્ર બે જ વ્યક્તિ બચી હતી આમાં માત્ર એક. ત્યારે નરી આંખે જોયેલું અને આજે મોબાઈલની સ્ક્રીન પર. સાત વરસના બાળકને અકસ્માતની કણાંતિકાની શી ખબર પડવાની? પણ હમણાં ભાન થાય છે કે કમોતે મરતો એક વ્યક્તિ હોય કે હજારો જીવન કોઇપણ સંજોગોમાં અમૂલ્ય જ હોય છે. આવી દુર્ઘટના જગતમાં બીજીવાર ક્યાંય ના થાય અને આવા સવાલો જનરલ નોલેજની ચોપડીમાં ના આવે એ પ્રાર્થના સાથે મારી કલમને વિરામ આપું છું.
આ પણ વાંચો…હેવાનો તોરી-પાણીમાંથી ઊગ્યો હોય તેવો શાંતિનો દરવાજો…