ગુજરાતમાં કોરોનાનો કહેર, 912 પોઝીટિવ દર્દી સાથે સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતુ બીજું રાજ્ય બન્યું…

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાને કહેર વરતાય રહ્યો છે. પાછલા ઘણા સમયથી કોરોના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાત સહિત દેશમાં પણ કોરોના એક્ટિવ કેસોની સંખ્યામાં વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત દેશનું સૌથી વધુ કોરોના કેસ ધરાવતું રાજ્ય બની ચૂક્યું છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધવમાં આવ્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આરોગ્ય સુવિધાઓ અને નિયંત્રણના પગલાં વધુ મજબૂત કર્યા છે. નાગરિકોને સાવચેતી રાખવા અને સ્વાસ્થ્ય માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
કેરળ પછી ગુજરાતમાં સૌથી વધુ કેસ
દેશમાં કોરોનાના એક્ટિવ કેસની દ્રષ્ટિએ કેરળ 1,184 કેસ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ગુજરાત 912 કેસ સાથે બીજા ક્રમે છે. પશ્ચિમ બંગાળ 747 કેસ સાથે ત્રીજા સ્થાને છે. ગુજરાતમાં નોંધાયેલા કેસોમાંથી અડધાથી વધુ અમદાવાદના છે, જ્યારે અમદાવાદમાં ગત 24 કલાકની વાત કરવામાં આવે તો, એક દિવસમાં 39 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જે બાદ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 589 સુધી પહોંચી છે.
અમદાવાદમાં કેસોનો ઉછાળો
અમદાવાદમાં 589 એક્ટિવ કેસમાંથી 12 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે બાકીના હોમ આઇસોલેશનમાં છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાંથી મોટાભાગના બીજા રોગો સાથે પણ સંકળાયેલા છે, પરંતુ તેમની તબિયત સુધરી રહી છે. કોઈ પણ અણધારી પરિસ્થિતીને પહોંચી વળવા રાજ્ય સરકારે હોસ્પિટલોને ઓક્સિજન બેડ અને ઇન્ટેન્સિવ કેર યુનિટ તૈયાર રાખવા સૂચના આપી છે,
ગુજરાતમાં એક જ દિવસમાં 134 નવા કેસ નોંધાયા, પરંતુ 134 દર્દીઓ સાજા પણ થયા. જાન્યુઆરીથી 20 જૂન સુધી રાજ્યમાં કુલ 2,371 દર્દીઓ કોરોનામાંથી સ્વસ્થ થયા છે. આરોગ્ય વિભાગે નાગરિકોને માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા અને ફ્લૂ જેવા લક્ષણો દેખાતાં તાત્કાલિક તબીબી સલાહ લેવા જણાવ્યું છે.