જસ્ટિસ વર્માના ભ્રષ્ટાચારની તપાસ પણ થવી જોઈએ…

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
ત્રણેક મહિના પહેલાં દિલ્હી હાઈ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાને આગ લાગી તેમાં લાખોની ચલણી નોટો બળીને રાખ થઈ ગઈ હોવાની ઘટનાએ ચકચાર જગાવી હતી આ ઘટનાને પગલે જસ્ટિસ વર્માની તાત્કાલિક બદલી કરી દેવાયેલી ને સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની તપાસ સમિતિને તપાસ સોંપતાં મામલો ઠંડો પડી ગયેલો.
પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ શીલ નાગુના અધ્યક્ષસ્થાને રચાયેલી ત્રણ જજની સમિતિએ તેનો તપાસ રિપોર્ટ આપ્યો તેમાં જસ્ટિસ વર્માને ભ્રષ્ટાચારી ગણાવતાં આ મુદ્દો ફરી ચર્ચામાં છે. તેમાં પણ ભ્રષ્ટાચારી જસ્ટિસ વર્મા સામે મહાભિયોગની દરખાસ્ત લાવીને તેમને બેઆબરૂ કરીને તગેડીને મોદી સરકાર એક દાખલો બેસાડશે કે નહીં તેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.
સુપ્રીમ કોર્ટે નિમેલી સમિતિના રિપોર્ટમાં ઘણી બધી વાતો છે. જસ્ટિસ યશવંત વર્માના ઘરમાં સ્ટોર રૂમમાં 14 માર્ચની રાત્રે આગ લાગી ત્યારે જસ્ટિસ વર્મા અને તેમનાં પત્ની મધ્ય પ્રદેશમાં હતાં. જસ્ટિસ વર્માના સત્તાવાર નિવાસસ્થાને તેમનાં પુત્રી અને વૃદ્ધ માતા જ હતાં.
જસ્ટિસ વર્માની દીકરીએ ફાયર બ્રિગેડને ફોન કર્યો. સ્ટોર રૂમને તાળું હતું તેથી આગ બુઝાવવા ગયેલા ફાયર બ્રિગેડના જવાનોએ તાળું તોડીને આગ બુઝાવી ત્યારે બીજા સામાન સાથે સળગી ગયેલી બિનહિસાબી ચલણી નોટોનાં બંડલો મળી આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો પછી જસ્ટિસ વર્માની અલ્લાહાબાદ હાઈકોર્ટમાં બદલી કરી દેવાઈ હતી પણ કોઈ પગલાં નહોતાં ભરાયાં.
મીડિયા અને સોશિયલ મીડિયામાં હોહા થઈ પછી સુપ્રીમ કોર્ટે તપાસ સમિતિ રચી હતી. તપાસ સમિતિના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જસ્ટિસ વર્માના સત્તાવાર નિવાસસ્થાન ના સ્ટોરરૂમમાં લાગેલી આગ દરમિયાન મોટી માત્રામાં રોકડ મળી આવી હતી. દારૂની બોટલમાંથી નીકળતા જ્વલનશીલ વાયુના કારણે સ્ટોરરૂમમાં મોટી માત્રામાં રાખેલી રોકડ બળી ગઈ હતી.
સ્ટોર રૂમમાં દારૂનો કબાટ ઇલેક્ટ્રિક સ્વીચ બોક્સની ખૂબ જ નજીક હતો તેથી તેમાંથી નીકળેલા વાયુના કારણે શોર્ટ સર્કિટ થઈ અને આગ લાગી. આગ લાગી એટલે બોટલો ગરમીને કારણે ફાટી ગઈ તેથી આગ વધારે ફેલાઈ ગઈ. ફાયર બ્રિગેડ અને પોલીસના 10 કર્મચારીઓએ લગભગ દોઢ ફૂટ ઊંચો નોટોનો ખડકલો જોયો હતો અને પાંચસો રૂપિયાની નોટો ચારેબાજુ પડી હતી. એ પછી આ નોટો સગેવગે કરી દેવાઈ હતી.
જસ્ટિસ વર્મા સામે શું થશે એ ખબર નથી પણ અત્યાર સુધી આ મામલે સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકારનું વલણ ભીનું સંકેલવાનું રહ્યું છે. આ ઘટના 15 માર્ચે બની હતી ને દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસે બીજા જ દિવસે સુપ્રીમ કોર્ટને જાણ કરી દીધી હતી પણ સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈ પગલાં ના લેવાયાં.
ત્રણ-ચાર દિવસ પછી એક ટોચના અખબારમાં આ સમાચાર આવ્યા પછી સુપ્રીમ કોર્ટ હરકતમાં આવી. જસ્ટિસ વર્મા પણ હરકતમાં આવ્યા. પોતાના ઘરેથી ચલણી નોટોનાં બળેલાં બંડલ મળ્યાં હોવા છતાં જસ્ટિસ વર્માએ પોતાની સામે લાગેલા ભ્રષ્ટાચારના આરોપોને નકારી કાઢ્યા હતા. જસ્ટિસ વર્માનું કહેવું હતું કે, તેમને બદનામ કરવાનું કાવતરું રચાયું છે.
આ મુદ્દો મીડિયામાં ચગેલો એટલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (સીજેઆઈ) સંજીવ ખન્નાએ 22 માર્ચે ત્રણ જજની સમિતિની રચના કરીને તપાસના આદેશ આપ્યા. પંજાબ-હરિયાણા કોર્ટના ચીફ જસ્ટિસ શીલ નાગુ, હિમાચલ પ્રદેશ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ જી.એસ. સંઘાવાલિયા અને કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ સુશ્રી અનુ શિવરામનની બનેલી સમિતિએ 25 માર્ચે તપાસ શરૂ કરી હતી અને 43 દિવસ પછી 4 મેના રોજ ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાને રિપોર્ટ સોંપી દીધો હતો.
આ દરમિયાનમાં જસ્ટિસ વર્માની અલાહાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરાઈ અને તેની સામે બાર એસોસિએશને વિરોધ કર્યા સહિતનાં નાટકો થયાં પણ જસ્ટિસ વર્મા સામે કોઈ કાર્યવાહી ના થઈ. સુપ્રીમ કોર્ટે બનાવેલી સમિતિના રિપોર્ટમાં જસ્ટિસ વર્માને દોષી ઠેરવવામાં આવ્યા પછી તેમને નોટિસ આપીને 9 મે સુધીમાં ચીફ જસ્ટિસને જવાબ આપવા માટે સમય આપવામાં આવ્યો હતો. જસ્ટિસ વર્માએ આ જવાબ આપી દીધો એ વાતને મહિનો થઈ ગયો છતાં હજુ કોઈ પગલાં લેવાયાં નથી.
સુપ્રીમ કોર્ટને તપાસ રિપોર્ટ મળ્યો પછી એ ઉપર મોકલ્યા વિના છૂટકો નહોતો પણ તેના સિવાય બીજું કશું કરાયું નથી.
સુપ્રીમ કોર્ટે તપાસ રિપોર્ટ રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને મોકલી દેવાયો હોવાનું કહીને હાથ ખંખેરી નાખ્યા છે. સુપ્રીમ કોર્ટે જસ્ટિસ વર્મા સામે મહાભિયોગ ચલાવવાની ભલામણ કરીને સાં કામ કર્યું પણ માત્ર જસ્ટિસ વર્માને હોદ્દા પર દૂર કરવાથી શું થાય? સુપ્રીમ કોર્ટની સમિતિએ જ જસ્ટિસ વર્માએ ભ્રષ્ટાચાર કર્યો હોવાનું કહ્યું છે તો આ ભ્રષ્ટાચારનું શું? માનો કે સરકાર જસ્ટિસ વર્મા સામે મહાભિયોગ ના ચલાવવાનું નક્કી કરે તો શું?
વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે જસ્ટિસ વર્મા પાસે આખો રૂમ ભરેલી નોટો ક્યાંથી આવી જસ્ટિસ વર્માએ ભૂતકાળમાં આપેલા ચુકાદાઓને આ અબજોની રોકડ સાથે કંઈ લેવા દેવા છે કે નહીં તેની તપાસ કરાવવી જોઈએ. જસ્ટિસ વર્મા ઉચ્ચ ન્યાયતંત્ર સાથે સંકળાયેલા છે એ જોતાં આ મુદ્દો ન્યાયતંત્રની વિશ્વસનીયતા અને પ્રમાણિકતાનો છે. સુપ્રીમ કોર્ટ દેશમાં સર્વોપરિ છે એ જોતાં ન્યાયતંત્રની સ્વચ્છ ઈમેજ જાળવવાની જવાબદારી સુપ્રીમ કોર્ટની છે પણ સુપ્રીમ કોર્ટે જસ્ટિસ વર્મા સામે કોઈ કાર્યવાહી કરવાનો સળવળાટ બતાવ્યો નથી. જસ્ટિસ યશવંત વર્મા સામે એફઆઈઆર નોંધવાની માગ કરતી અરજી પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
અરજદાર વકીલ નેદુમપારાની અરજી ફગાવતાં સુપ્રીમ કોર્ટની જસ્ટિસ અભય એસ. ઓકા અને ઉજજલ ભુઈયાની બેન્ચે એવું કહેલું કે, આ કેસમાં ઈન-હાઉસ તપાસ રિપોર્ટ રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને મોકલી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ અને વડા પ્રધાને હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી તેથી આ અરજી પર કોઈ સુનાવણી કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટનું વલણ ટેકનિકલી સાચું છે કેમ કે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના જજ સામે મહાભિયોગની દરખાસ્ત લાવીને તેમને દૂર કરવાનો અધિકાર સંસદને છે પણ જસ્ટિસ વર્માએ કરેલા ભ્રષ્ટાચાર સામે તો તપાસ કરાવવાનો અધિકાર તો સુપ્રીમ કોર્ટને છે જ. સુપ્રીમ કોર્ટે એ અધિકારનો ઉપયોગ કરીને એક દાખલો બેસાડવો જોઈએ.
મોદી સરકાર પણ જસ્ટિસ વર્માના મહાભિયોગના મુદ્દે ઝડપથી નિર્ણય લે એ જરૂરી છે. જસ્ટિસ વર્મા સામે ભ્રષ્ટાચારના પૂરતા પુરાવા છે અને સુપ્રીમ કોર્ટની ભલામણ પણ છે એ જોતાં મોદી સરકારે મહાભિયોગનો નિર્ણય લેવો જ જોઈએ. મોદી પોતે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની તરફેણ કરે છે ને આ મુદ્દે કોઈ સમાધાન નહીં કરાય એ સાબિત કરવું જોઈએ.
આપણ વાંચો : એકસ્ટ્રા અફેર : રાહુલ ગરબડના આક્ષેપો કરે છે પણ પુરાવા ક્યાં છે?