વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં 2 મતદાન મથક પર ફરી મતદાન યોજાયું, સવારે 07 વાગ્યાથી લાગી લાઈનો…

જૂનાગઢ: જૂનાગઢમાં આવેલ વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી માટે 19 જૂને મતદાન યોજાયું હતું. ગુરૂવારે યોજાયેલા મતદાનમાં બે મતદાન મથકનું મતદાન ચૂંટણી પંચ દ્વારા રદ કરી દેવામાં આવ્યું હતું. આ બન્ને બેઠકો પર આજે મતદાન યોજાવાનું છે. સવારે 07 વાગ્યાથી સાંજે 06 વાગ્યા સુધી આજે મતદાનની પ્રક્રિયા ચાલવાની છે. ૮૭-વિસાવદર વિધાનસભાનાં માલીડાનાં બુથ નંબર 86-માલીડા અને 111-નવા વાઘણિયાનાં બુથ પર આજે ફરી નવેસરથી મતદાન શરૂ કરી દેવામાં આવ્યું છે.
86-માલીડા અને 111-નવા વાઘણિયાનાં બુથ ફરી મતદાન શરૂ થયું
19 જૂને યોજાયેલા મતદાનની વાત કરવામાં આવે તો વિસાવદર અને કડી વિધાનસભા મતવિસ્તારોમાં સરેરાશ 55 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. વિસાવદર બેઠક પર સાંજે 6 વાગ્યા સુધીમાં 56.89 ટકા મતદાન થયું હતું. બન્ને બેઠકો પર કુલ મળીને 5.50 લાખથી પણ વધારે મતદારો છે. જેમાંથી સરેરાશ કુલ 55 ટકા મતદાન થયું હતું. જો કે, 45 ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો નહોતો.
આમ આદમી પાર્ટીએ બુથ કેપ્ચરિંગની ફરિયાદ કરી હતી
વિસાવદર વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બુથ કેપ્ચરિંગની નોંધાવાયેલી ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ ચૂંટણી પંચે માલીડા અને નવા વાઘણીયા બુથ પર મતદાન રદ કરી દેવાનો આદેશ કર્યો અને ફરી મતદાન યોજાશે તેવો નિર્ણય લીધો હતો. હવે આ બંને બુથ પર આજે સવારે 7:00 થી મતદાન શરૂ કરી દેવામાં આવ્યું જે સાંજે 06:00 વાગ્યામાં મતદાન ચાલવાનું છે. વિસાવદર અને કડી વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ 23 જૂને જાહેર કરાશે.
આપણ વાંચો : ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૭,૭૧૨ ભરતી મેળાઓ થકી ૬.૨૯ લાખ કરતા વધુને રોજગારી અપાઈ…