અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ 231 મૃતકોના DNA મેચ થયા, 210 મૃતદેહ સોંપાયા…

અમદાવાદઃ વિમાન દુર્ઘટનામાં ૨૩૧ મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૨૧૦ પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું.
હજુ 8 પરિવારો DNA મેચની રાહમાં
મીડિયા બ્રીફિંગમાં વધુ વિગતો આપતા ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, ૧૦ પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, ૩ એર ક્લિયરન્સમાં હોવાથી ટૂંક સમયમાં પરિવારોને સોંપાશે, ૮ પરિવારો બીજા સ્વજનના ડીએનએ મેચની રાહમાં છે એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે, ૨૧૦ મૃતકોમાં ૧૫૫ ભારતના નાગરિક, ૭ પોર્ટુગલના, ૩૬ બ્રિટિશ નાગરિક, એક કેનેડિયન તેમજ ૧૧ નોન પેસેન્જરનો સમાવેશ થાય છે.
ક્યાંના છે મૃતદેહ?
ડો.રાકેશ જોશીએ સોંપવામાં આવેલા મૃત દેહોની વિગતો પૂરી પાડી હતી. તેમણે કહ્યું કે, ઉદયપુર ૭, વડોદરા ૨૧, ખેડા ૧૧, અમદાવાદ ૬૦, મહેસાણા ૬, બોટાદ ૧, જોધપુર ૧, અરવલ્લી ૨, આણંદ ૨૩, ભરૂચ ૭, સુરત ૧૧, પાલનપુર ૧, ગાંધીનગર ૬, મહારાષ્ટ્ર ૨, દીવ ૧૪, જુનાગઢ ૧, અમરેલી ૨, ગીર સોમનાથ ૫, મહીસાગર ૧, ભાવનગર ૧, લંડન ૩, પટના ૧, રાજકોટ ૩, રાજસ્થાન ૧, મુંબઈ ૯, નડિયાદ ૧ , જામનગર ૨, પાટણ ૨, દ્વારકા ૨ તેમજ સાબરકાંઠાના ૧, નાગાલેન્ડ ૧, મોડાસા ૧ના પાર્થિવ દેહો સ્વજનોને સોંપવામાં આવ્યા હતા.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. પરિવારજનોને તેમના સ્વજનોના પાર્થિવ દેહો ઝડપથી સોંપવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલ અન્ય સંસ્થાઓ, સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના આરોગ્ય અને અન્ય વિભાગો તથા વિવિધ એજન્સી ખડેપગે કામગીરી કરી રહી છે.
આપણ વાંચો : અમદાવાદ પ્લેનક્રેશની જગ્યા ફેરવાઈ જશે સ્મારકમાંઃ જાણો વિદ્યાર્થીઓની હૉસ્ટેલ અંગે સરકારે શું લીધો નિર્ણય